તમારા ઘરનું ROનું પાણી તમને બીમાર તો નથી બનાવી રહ્યું? જાણો પાણી શુદ્ધ કરવાની સાચી રીત અને એક્સપર્ટની સલાહ
ચોમાસામાં પાણીની શુદ્ધતા માટે લોકો RO ખરીદી લે છે, પણ શું દરેક ઘરમાં RO જરૂરી છે? નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઇડ્રોલોજીના રિપોર્ટ મુજબ ખોટી રીતે વપરાતું RO શરીરના જરૂરી મિનરલ્સ ઘટાડી શકે છે. જાણો તમારા માટે RO, UV કે UF માંથી શું શ્રેષ્ઠ છે.

ચોમાસાની ઋતુ શરૂ થતાં જ પીવાના પાણીની શુદ્ધતાને લઈને લોકોમાં ચિંતા વધી જતી હોય છે. આવા સમયે મોટાભાગના લોકો જાહેરાતો જોઈને કે અન્યોનું અનુકરણ કરીને ઘરમાં RO વોટર પ્યુરિફાયર લગાવી લે છે અને તેના પાણીને સૌથી સુરક્ષિત માને છે. પરંતુ શું દરેક ઘરમાં RO ની જરૂર હોય છે? સરકારી રિપોર્ટ અને આરોગ્ય નિષ્ણાતોના મતે તેનો જવાબ ના છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઇડ્રોલોજી (NIH) ના અહેવાલ મુજબ પ્યુરિફાયરની પસંદગી જાહેરાતો જોઈને નહીં પરંતુ ઘરમાં આવતા પાણીની ગુણવત્તા ચકાસ્યા પછી જ કરવી જોઈએ.

RO ક્યારે લગાવવું જરૂરી છે? નિષ્ણાતોના જણાવ્યા મુજબ માત્ર બે પરિસ્થિતિઓમાં જ RO પ્યુરિફાયર જરૂરી બને છે: જ્યારે પાણીનું કુલ ઓગળેલું ઘન તત્વ એટલે કે TDS (Total Dissolved Solids) 500 mg/L (PPM) થી વધુ હોય. પીવાના પાણી માટે 150 થી 250 PPM નું TDS સૌથી યોગ્ય માનવામાં આવે છે. જ્યારે લેબોરેટરી ટેસ્ટમાં પાણીમાં ફ્લોરાઈડ, આર્સેનિક, આયર્ન, હેવી મેટલ્સ કે જંતુનાશક દવાઓના અંશ મળી આવે. આ બે પરિસ્થિતિઓ સિવાય ઘરમાં RO ની કોઈ જરૂર હોતી નથી.

ઓછા TDS વાળા પાણીમાં RO ના નુકસાન: જો પાણીમાં TDS વધારે ન હોય અને રાસાયણિક પ્રદૂષણ ન હોય તો RO નો ઉપયોગ ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે. RO ટેકનોલોજી નુકસાનકારક તત્વોની સાથે પાણીમાં રહેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા જરૂરી મિનરલ્સ પણ દૂર કરી દે છે. રિપોર્ટ અનુસાર RO થી શુદ્ધ કરેલા પાણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમનું પ્રમાણ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા નક્કી કરાયેલા લઘુત્તમ સ્તરથી પણ નીચે જતું રહે છે. લાંબા સમય સુધી આવા મિનરલ વગરનું પાણી પીવાથી હૃદયરોગ, હાડકાંની નબળાઈ અને હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓનું જોખમ વધી જાય છે.

પાણીનો મોટો બગાડ: RO ટેકનોલોજીની સૌથી મોટી ખામી પાણીનો બગાડ છે. મશીનમાં જતા 1 લીટર પાણીમાંથી માત્ર 250 મિલીલીટર જ પીવાલાયક બને છે, જ્યારે 750 મિલીલીટર પાણી વેસ્ટ તરીકે બહાર નીકળી જાય છે. એટલે કે આશરે 75 ટકા પાણી વેડફાઈ જાય છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) એ પણ 500 PPM થી ઓછા TDS વાળા વિસ્તારોમાં RO પર પ્રતિબંધ મૂકવા અને પાણીનો બગાડ અટકાવવા સૂચન કરેલું છે.

UV અને UF પ્યુરિફાયર ક્યારે પસંદ કરવું? UV પ્યુરિફાયર: જો તમારા ઘરમાં નગરપાલિકા કે પાઈપલાઈનથી પાણી આવે છે અને તેનું TDS 300 PPM થી ઓછું છે, પણ બેક્ટેરિયા કે વાયરસનો ભય હોય તો UV પ્યુરિફાયર શ્રેષ્ઠ વિકલ્પ છે. તે મિનરલ્સ ઘટાડ્યા વગર સૂક્ષ્મ જીવાણુઓનો નાશ કરે છે. UF પ્યુરિફાયર: જે જગ્યાએ પાણીમાં કચરો કે બેક્ટેરિયા હોય પણ TDS ઓછું હોય ત્યાં UF પ્યુરિફાયર ઉપયોગી છે. તે વીજળી વગર પણ કામ કરે છે અને તેના ખાસ મેમ્બ્રેન દ્વારા કચરો અને બેક્ટેરિયા દૂર કરે છે. નિષ્ણાતોની સલાહ છે કે કોઈપણ પ્યુરિફાયર ખરીદતા પહેલા રૂ. 200-300 ના સાધારણ TDS મીટરથી અથવા લેબમાં પાણીની ચકાસણી કરાવવી જોઈએ. પાણીની ગુણવત્તાના આધારે જ પ્યુરિફાયરની પસંદગી કરવી આરોગ્ય માટે હિતાવહ છે.
નવસારીમાં ભયાવહ પૂર, પાણીમાં ડૂબી ગાડીઓ, 1 લાખથી વધુ લોકો પ્રભાવિત, જળબંબાકાર વચ્ચે NDRF દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન, જુઓ Video
