2007માં ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર કોચની આ દેશની ટીમમાં મળી સૌથી મોટી જવાબદારી
UAEએ T20 વર્લ્ડ કપ પહેલા પોતાના કોચ તરીકે 2007માં ભારતીય ક્રિકેટ ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર કોચ લાલચંદ રાજપૂતને નિયુક્ત કર્યા છે. તેમણે અગાઉ અફઘાનિસ્તાનનું કોચિંગ કર્યું હતું, આ સિવાય તેમણે ઝિમ્બાબ્વેને T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરવામાં મદદ કરી હતી.

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર લાલચંદ રાજપૂતને ત્રણ વર્ષ માટે UAEની પુરૂષોની રાષ્ટ્રીય ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભૂતપૂર્વ ખેલાડીએ વચગાળાના મુખ્ય કોચ મુદસ્સર નઝરનું સ્થાન લીધું, જેને હવે ભવિષ્યના સ્ટાર્સને તૈયાર કરવા માટે નેશનલ ક્રિકેટ એકેડમીના વડા બનાવવામાં આવ્યા છે.

T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આને UAEનું એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. લાલચંદ રાજપૂતના કોચિંગ હેઠળ જ ટીમ ઈન્ડિયાએ 2007 T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. તે સમયે ટીમનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હતો.

લાલચંદ રાજપૂતે વર્ષ 1985માં ભારત માટે 6 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. નિવૃત્તિ પછી તેમણે કોચિંગ શરૂ કર્યું અને ભારતના સૌથી સફળ કોચમાંના એક બન્યા.

રાજપૂતે આ પહેલા 2016-17માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ દ્વારા ટેસ્ટ ટીમનો દરજ્જો આપવામાં આવ્યા બાદ અફઘાનિસ્તાનનું કોચિંગ કર્યું હતું. તેમણે ઝિમ્બાબ્વે પુરૂષ ક્રિકેટ ટીમ સાથે 2018 થી 2022 દરમિયાન કામ કર્યું અને ઓસ્ટ્રેલિયામાં 2022 T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરવામાં મદદ કરી.

આ અંગે લાલચંદ રાજપૂતે અમીરાત ક્રિકેટ બોર્ડનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું- આ રોમાંચક ભૂમિકા માટે મને નિયુક્ત કરવા માટે હું અમીરાત ક્રિકેટ બોર્ડનો આભાર માનું છું. યુએઈ તાજેતરના વર્ષોમાં મજબૂત ટીમ ઉભરી આવી છે. ખેલાડીઓએ ODI અને T20 બંનેમાં સારું પ્રદર્શન કર્યું છે. વર્તમાન ટીમમાં શાનદાર ખેલાડીઓ છે. હું તેમની સાથે કામ કરવા અને ક્રિકેટ કુશળતાને આગળ વધારવા માટે ઉત્સુક છું.
