IND vs ENG: સતત બે મેચમાં ફ્લોપ વૈભવ સૂર્યવંશીને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવશે?
ઈંગ્લેન્ડ સામે સતત બે T20 મેચમાં મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહેલા 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીના સ્થાનને લઈને ચર્ચા તેજ બની છે. સંજુ સેમસનની વાપસીની અટકળો વચ્ચે હવે સવાલ એ છે કે શું ટીમ ઈન્ડિયા આગામી મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરશે કે પછી યુવા બેટ્સમેન પર વિશ્વાસ જાળવી રાખશે?

ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાના યુવા ઓપનર વૈભવ સૂર્યવંશી સતત બીજી મેચમાં પણ મોટી ઈનિંગ રમવામાં સફળ રહ્યો નથી. ડેબ્યૂ મેચમાં તેણે 14 રન બનાવ્યા હતા, જ્યારે નોટિંગહામમાં રમાયેલી ત્રીજી T20માં 5 બોલમાં 13 રન બનાવીને આઉટ થયો હતો. જોકે, બંને ઈનિંગમાં તેણે આક્રમક બેટિંગની ઝલક જરૂર બતાવી હતી.

વૈભવને સંજુ સેમસનની જગ્યાએ તક આપવામાં આવી હોવાથી હવે તેના સ્થાનને લઈને ચર્ચા શરૂ થઈ છે. સતત બે મેચમાં મોટી ઈનિંગ ન રમતા સોશિયલ મીડિયા પર સંજુ સેમસનની વાપસીની માંગ પણ ઉઠી રહી છે. ઘણા ચાહકો માને છે કે અનુભવી બેટ્સમેનને ફરી એકવાર તક મળવી જોઈએ.

જોકે, હાલના સંકેતો મુજબ ટીમ મેનેજમેન્ટ વૈભવ પર વિશ્વાસ જાળવી રાખવાના મૂડમાં દેખાઈ રહ્યું છે. યુવા ખેલાડીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાને સાબિત કરવા પૂરતી તક આપવામાં આવે તેવી શક્યતા વધુ છે. તેથી આગામી મેચમાં પણ તે ઓપનિંગ કરતો જોવા મળી શકે છે.

બીજી તરફ મિડલ ઓર્ડરમાં તિલક વર્મા પણ સતત નિષ્ફળ રહ્યો છે. જો ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવે તો સંજુ સેમસનને ઓપનિંગ નહીં પરંતુ મિડલ ઓર્ડરમાં તક આપવાનો વિકલ્પ પણ મેનેજમેન્ટ પાસે ઉપલબ્ધ છે.

ટીમ ઈન્ડિયા હાલ શ્રેણીમાં દબાણ હેઠળ છે અને જીતની શોધમાં છે. આગામી મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થાય છે કે નહીં તેના પર સૌની નજર રહેશે. વૈભવ સૂર્યવંશી પાસે પણ પોતાની પ્રતિભા સાબિત કરવાની મોટી તક છે અને એક સારી ઈનિંગથી તે તમામ સવાલોના જવાબ આપી શકે છે. (PC:PTI/X/BCCI)
Breaking News: સૌરવ ગાંગુલીને જય શાહ તરફથી જન્મદિવસની મોટી ભેટ, ક્રિકેટ જગતનું સર્વોચ્ચ સન્માન મળશે
