Indian Railways : શું ચાલુ ટ્રેને ગમે ત્યારે ચેન ખેંચી શકાય ? જાણો રેલવેના નિયમો અને દંડની જોગવાઈ
ટ્રેનમાં આપેલી ઇમરજન્સી ચેન તમારી સુરક્ષા માટે છે, પણ શું તમે જાણો છો કે તેનો ખોટો ઉપયોગ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે? સામાન પડી જવો કે સ્ટેશન ચૂકી જવું એ ચેન ખેંચવાનું કારણ નથી! જાણો કઈ સ્થિતિમાં ચેન ખેંચી શકાય અને વગર કારણે ખેંચવા પર કેટલો દંડ થઈ શકે છે.

ભારતીય રેલવેની દરેક પેસેન્જર અને એક્સપ્રેસ ટ્રેનના દરેક કોચમાં લાલ રંગની ઇમરજન્સી ચેન આપવામાં આવે છે. આ ચેન આપવાનો મુખ્ય હેતુ મુસાફરોની સુરક્ષા અને અણધારી આફત સમયે કામ આવે એટલે હોય છે. જોકે, ઘણા મુસાફરો આ સુવિધાનો ખોટો ઉપયોગ કરતા હોય છે, પરંતુ રેલવેના નિયમ મુજબ આ ચેનનો ઉપયોગ માત્ર અને માત્ર અત્યંત કટોકટીની સ્થિતિમાં જ કરી શકાય છે.

જો મુસાફરી દરમિયાન ટ્રેનમાં ચોરી, લૂંટફાટ, ડાકુઓનો હુમલો કે મહિલાઓ સાથે છેડતી જેવી કોઈ ગંભીર ગુનાહિત ઘટના બને, તો મુસાફરો પોતાની અને અન્ય મુસાફરોના રક્ષણ માટે તરત જ ઇમરજન્સી ચેન ખેંચી શકે છે. આવી સ્થિતિમાં ટ્રેન રોકીને નજીકના રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) કે ગાર્ડની મદદ મેળવી શકાય છે.

ટ્રેનના કોઈ પણ કોચમાં અચાનક શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણે આગ લાગી જાય, અથવા ટ્રેનના પાટા પર કોઈ મોટો ખતરો કે અકસ્માત સર્જાવાની શક્યતા દેખાય, તો તેવા સંજોગોમાં વિલંબ કર્યા વગર ચેન ખેંચવી સંપૂર્ણપણે કાયદેસર અને જરૂરી છે. આનાથી સમયસર મોટી જાનહાનિ અટકાવી શકાય છે.

સફર દરમિયાન જો કોઈ સહ-મુસાફરની તબિયત અચાનક અત્યંત નાજુક બની જાય—જેમ કે હાર્ટ એટેક આવે, શ્વાસ લેવામાં તકલીફ થાય કે અન્ય કોઈ ગંભીર મેડિકલ ઇમરજન્સી ઊભી થાય—તો દર્દીનો જીવ બચાવવા માટે ચેન ખેંચીને ટ્રેન રોકી શકાય છે, જેથી આગામી સ્ટેશને તરત જ મેડિકલ ટીમની મદદ મેળવી શકાય.

ટ્રેનની ઇમરજન્સી ચેન એ કોઈ વ્યક્તિગત સુવિધા નથી પરંતુ જાહેર સુરક્ષાનું સાધન છે. પોતાની આળસ, બેદરકારી કે અંગત ફાયદા માટે ટ્રેન રોકવી એ રેલવે કાયદા મુજબ ગંભીર ગુનો બને છે. આવી બાબતો ટ્રેનના સમયપત્રકને ખોરવે છે અને હજારો અન્ય મુસાફરોને હેરાન કરે છે.

ઘણીવાર મુસાફરો ગાઢ નિંદ્રામાં હોવાને કારણે પોતાનું ડેસ્ટિનેશન સ્ટેશન ચૂકી જતા હોય છે અને ટ્રેન ઉપડી ગયા પછી ઉતાવળમાં ચેન ખેંચી લે છે. રેલવે નિયમો અનુસાર, આ તમારી પોતાની બેદરકારી છે અને તેના માટે ચાલુ ટ્રેને ચેન ખેંચવી એ સખત મનાઈ છે.

જો ચાલુ ટ્રેને બારી કે દરવાજામાંથી તમારો કોઈ કિંમતી સામાન જેમ કે મોબાઇલ, પર્સ કે બેગ ભૂલથી નીચે પડી જાય, તો પણ તમે ટ્રેનની ચેન ખેંચી શકતા નથી. આવી સ્થિતિમાં ચેન ખેંચવાને બદલે તરત જ ટીટીઈ (TTE) કે રેલવે પોલીસને લોકેશન પોલ નંબર સાથે જાણ કરવાની હોય છે.

જો તમારા કોઈ સગા, મિત્ર કે પરિચિત વ્યક્તિ સ્ટેશને પહોંચવામાં મોડા પડ્યા હોય અને ટ્રેન ઉપડી જાય, તો તેમને બેસાડવા માટે ઇમરજન્સી ચેન ખેંચવી એ કાયદાકીય રીતે મોટો ગુનો છે. ટ્રેન કોઈ એક વ્યક્તિ માટે રોકી શકાતી નથી.

જો કોઈ મુસાફર અયોગ્ય કે વગર વાંક-ગુના વગર ઇમરજન્સી ચેન ખેંચતા પકડાય છે, તો તેની સામે ઇન્ડિયન રેલવે એક્ટની કલમ 141 હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. આ ગુના બદલ ₹1,000 સુધીનો દંડ અથવા 1 વર્ષ સુધીની કેદની સજા (અથવા બંને) થઈ શકે છે.

સફર દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલી, તબીબી મદદ કે ફરિયાદ માટે રેલવેના સાર્વત્રિક હેલ્પલાઈન નંબર 139 પર સંપર્ક કરી શકાય છે. આ ઉપરાંત સુરક્ષા સંબંધિત ગંભીર બાબતો કે ગુનાની જાણ કરવા માટે સુરક્ષા હેલ્પલાઈન નંબર 182 નો ઉપયોગ કરવો વધુ હિતાવહ છે.
24 પછી 32 ટીમો! T20 વર્લ્ડ કપમાં મોટો ફેરફાર કરવાની તૈયારીમાં ICC, જાણો શું છે માસ્ટરપ્લાન
