સીટ એક તો પછી રેલવે કેમ આપે છે 2 બેડશીટ ? કેટલા દિવસે ધોવાય છે અને બદલાય છે ટ્રેનના ચાદર-ઓશીકા ?
ટ્રેનના AC કોચમાં મુસાફરોને આપવામાં આવતી 2 ચાદરોનો સાચો ઉપયોગ શું છે અને તેને કેટલા સમય પછી ધોવામાં કે બદલવામાં આવે છે, તે અંગે રેલવે મંત્રાલયે સંસદમાં તમામ વિગતો આપી છે.

ટ્રેનના AC કોચમાં મુસાફરી કરનારાઓને બેડરોલની સુવિધા મળે છે. દરેક બેડરોલમાં બે ચાદર, ઓશીકું, કંબલ અને ટુવાલ હોય છે. એક સીટ પર રેલવે તરફથી બે બેડશીટ આપવામાં આવે છે. કોઈ તેને ઓઢે છે, તો કોઈ તેને સીટ પર જ પાથરી લે છે, પરંતુ આ ચાદરોનો સાચો ઉપયોગ શું છે, તે વિશે રેલવેએ પોતે સ્પષ્ટતા કરી છે.

ટ્રેનમાં કેમ મળે છે 2 ચાદર? રેલ મંત્રાલય દ્વારા સંસદમાં આપવામાં આવેલા જવાબ મુજબ બેડરોલમાં આપવામાં આવતી 2 ચાદરોના સાચા ઉપયોગથી લઈને તેના ધોવાણ અને રિપ્લેસમેન્ટ સુધીની પૂરી માહિતી આપવામાં આવી છે. રેલવેના જણાવ્યા અનુસાર બેડરોલમાં મળતી બે ચાદરોમાંથી 1 ચાદર સીટ પર પાથરવા માટે હોય છે, જ્યારે બીજી ચાદરનો ઉપયોગ કંબલ સાથે ઓઢવા માટે કરવો જોઈએ, જેથી કંબલ સીધો મુસાફરોના સંપર્કમાં ન આવે.

કેટલા દિવસે ધોવાય છે રેલવેના ચાદર અને કંબલ?: આની પાછળ પણ રેલવેએ કારણ દર્શાવ્યું છે. રેલવેના જણાવ્યા અનુસાર કંબલને દરેક ઉપયોગ પછી ધોવામાં આવતો નથી, તેથી મુસાફરોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક્સ્ટ્રા ચાદર આપવામાં આવે છે, જેથી કંબલ સીધો શરીરના સંપર્કમાં ન આવે. જોકે, હવે રેલવે આમાં પણ ફેરફાર કરી રહ્યું છે. નોર્થ વેસ્ટ રેલવેની કેટલીક ટ્રેનોમાં અને કામાખ્યા સુધી ચાલતી વંદે ભારત સ્લીપર ટ્રેનમાં કંબલ કવર સાથે આપવામાં આવી રહ્યા છે. ઊનના કંબલ પર લાગેલા કવરથી એક્સ્ટ્રા ચાદર આપવાની ઝંઝટ પણ ખતમ થઈ જાય છે. રેલવેએ એ પણ જણાવ્યું કે કેટલી વાર બેડરોલને ધોવામાં આવે છે.

કેટલી વાર ધોવાય છે રેલવેમાં આપવામાં આવતી ચાદર? ચાદર, ઓશીકાના કવર અને ટુવાલને દરેક ઉપયોગ પછી ધોવામાં આવે છે. ઊનના કંબલને મહિનામાં 1 થી 2 વાર ધોવામાં આવે છે. રેલવેના નિયમો અનુસાર, ટ્રેનોમાં ઉપયોગમાં લેવાતી કોટન બેડશીટને 1 વર્ષ પછી હટાવી દેવામાં આવે છે. પોલિએસ્ટર બેડશીટનું આયુષ્ય 2 વર્ષનું હોય છે. ઓશીકાના કવર અને ફેસ ટુવાલનું આયુષ્ય 9 મહિનાનું હોય છે. જ્યારે ઓશીકા અને ઊનના ધાબળાને 2 વર્ષમાં બદલી નાખવામાં આવે છે.

ચાદરની ચોરીથી કરોડોનું નુકસાન: તાજેતરમાં રેલવેએ RTI દ્વારા માહિતી આપી હતી કે ટ્રેનોમાં બેડરોલની ચોરીથી તેને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. જાન્યુઆરી 2022 થી મે 2026 વચ્ચે 1.27 કરોડ બેડરોલની ચોરી થઈ હતી. આ ચોરીઓના કારણે રેલવેના કોન્ટ્રાક્ટરોને 104.51 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. સૌથી વધુ 46.54 લાખ ફેસ ટુવાલ, 41.13 લાખ બેડશીટ, 23.59 લાખ ઓશીકાના કવર અને 12.95 લાખ કંબલની ચોરી થઈ છે. આ સમયગાળા દરમિયાન 2.76 લાખ ઓશીકા પણ ચોરાયા હતા.
ટ્રેનના AC ફર્સ્ટ ક્લાસ કેબિનનો દરવાજો તોડી તસ્કરો ₹1.10 લાખ રોકડા અને કિંમતી સામાન ચોરી ગયા
