E20 પેટ્રોલથી જો ગાડી ખરાબ થઈ જાય તો ક્યાં કરવી ફરિયાદ ? જાણો ફરિયાદ કરવાની રીત અને વળતર મેળવવાની આખી પ્રોસેસ
દેશમાં હવે E20 (એથેનોલ મિશ્રિત) પેટ્રોલનો વપરાશ વધી રહ્યો છે, પરંતુ શું તેનાથી તમારી કાર કે બાઇકમાં ખરાબી આવી રહી છે? જો E20 પેટ્રોલથી તમારી ગાડીને નુકસાન થાય તો ગભરાશો નહીં! જાણો સર્વિસ સેન્ટરનો રિપોર્ટ કઈ રીતે મદદ કરશે, કયા દસ્તાવેજો જોડાવા પડશે અને ગ્રાહક કોર્ટમાંથી વળતર કેવી રીતે મળશે.

E20 પેટ્રોલમાં 20% એથેનોલ અને 80% સામાન્ય પેટ્રોલનું મિશ્રણ હોય છે. દેશમાં પેટ્રોલની આયાત ઘટાડવા સરકારે તેને પ્રોત્સાહન આપ્યું છે, પરંતુ આ નવા ફ્યુઅલના ઉપયોગથી વાહનોના માઇલેજમાં 5 થી 10 ટકાનો ઘટાડો થઈ શકે છે.

ARAI (ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઈન્ડિયા) અનુસાર, એપ્રિલ 2023 પહેલાં બનેલી ગાડીઓમાં E20 ના ઉપયોગથી સમસ્યા આવી શકે છે. આ ફ્યુઅલથી લોખંડના ભાગોને નુકસાન નથી થતું, પરંતુ ફ્યુઅલ સિસ્ટમના રબરના પાઈપ, ગાસકેટ, સીલ અને ઓ-રિંગ્સ ઓગળી કે ખરાબ થઈ શકે છે.

જો E20 પેટ્રોલ ભરાવ્યા પછી તમારી ગાડીમાં અચાનક કોઈ ટેકનિકલ ખામી આવે, તો સૌથી પહેલાં કાર કે બાઇકને કંપનીના અધિકૃત (Authorised) સર્વિસ સેન્ટર પર લઈ જવી. ત્યાં વાહનની પૂરી તપાસ કરાવવી અને ખામીનું મુખ્ય કારણ E20 પેટ્રોલ છે કે નહીં, તે અંગે સર્વિસ સેન્ટર પાસેથી લેખિત તપાસ રિપોર્ટ મેળવી લેવો.

જો સર્વિસ સેન્ટરના રિપોર્ટમાં સાબિત થાય કે ગાડી E20 સુસંગત (E20-compliant) હતી છતાં પેટ્રોલના કારણે નુકસાન થયું છે, તો તમે ગ્રાહક સુરક્ષા આયોગ (Consumer Forum) માં ફરિયાદ નોંધાવી શકો છો. અરજી કરતી વખતે સર્વિસ સેન્ટરનો રિપોર્ટ સાથે જોડવો ફરજિયાત છે.

જો ગ્રાહક કોર્ટમાં તમારો દાવો અને પુરાવા મજબૂત સાબિત થાય, તો કોર્ટ કેસના આધારે કાર બ્રાન્ડ કે ડીલરને વાહનની મફત મરામત કરવા, નવી ગાડી આપવા અથવા યોગ્ય નાણાકીય વળતર ચૂકવવાનો આદેશ આપી શકે છે. જોકે, નિર્ણય તમામ પુરાવાઓની તપાસ પર આધાર રાખે છે.

ફરિયાદ દાખલ કરતી વખતે તમારી પાસે ગાડી ખરીદીનું અસલ બિલ, અધિકૃત સર્વિસ સેન્ટરનો તપાસ રિપોર્ટ અને પેટ્રોલ પંપથી E20 ફ્યુઅલ ભરાવ્યાની પાકી રસીદ (Fuel Bill) હોવી આવશ્યક છે. આ ઉપરાંત, કાર કંપની કે ડીલર સાથે થયેલી ઈમેઈલ, મેસેજ કે કોલ ચર્ચાના રેકોર્ડ પણ સાચવી રાખવા પડશે.

તમારી અરજીમાં ગાડીની સંપૂર્ણ વિગત, ખરીદીની તારીખ, ક્યારે અને કયા પેટ્રોલ પંપ પરથી E20 પેટ્રોલ ભરાવ્યું તેની ચોક્કસ માહિતી આપવી. તે પછી જ ગાડીમાં કઈ તકલીફ શરુ થઈ અને સર્વિસ સેન્ટરે શું રિપોર્ટ આપ્યો, તેની સ્પષ્ટ નોંધ બિલની નકલો સાથે જોડવી જેથી વળતરનો દાવો મજબૂત બને.
Indian Railways : શું ચાલુ ટ્રેને ગમે ત્યારે ચેન ખેંચી શકાય ? જાણો રેલવેના નિયમો અને દંડની જોગવાઈ
