છોટાઉદેપુર અને દાહોદના 120 કિમી વિસ્તારમાં 17 મહિનાથી નર વાઘ સ્થાયી થયાની પુષ્ટિ
છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાની હદમાં છેલ્લા 17 મહિનાથી નર વાઘની સતત હાજરી નોંધાઈ છે. વન વિભાગ કેમેરા ટ્રેપિંગ દ્વારા વાઘ પર નજર રાખી રહ્યું છે.
ગુજરાતના જંગલોમાં વાઘની હાજરી હોવાની પુષ્ટિ તો ઘણા સમય પહેલાં થઈ ચૂકી હતી, પરંતુ હવે તે ચોક્કસ કયા વિસ્તારમાં ફરી રહ્યો છે તેનો સ્પષ્ટ ખુલાસો થયો છે. છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાની સરહદી હદમાં છેલ્લા 17 મહિનાથી એક નર વાઘની સતત હાજરી હોવાનું સામે આવ્યું છે.
દાહોદથી લઈને છોટાઉદેપુર સુધીના આશરે 120 કિલોમીટરના વિસ્તારમાં આ વાઘ મુક્તપણે આંટાફેરા મારી રહ્યો છે. છેલ્લા 25 થી 30 દિવસના સમયગાળા દરમિયાન પણ તેની હિલચાલ વન વિભાગના કેમેરા ટ્રેપમાં કેદ થઈ છે.
આ અંગે વન વિભાગ દ્વારા કેમેરા ટ્રેપિંગ સિસ્ટમથી વાઘની ગતિવિધિઓ પર ચોવીસે કલાક સતત નજર રાખવામાં આવી રહી છે. વન વિભાગે સ્થાનિક ગ્રામજનો અને જંગલ વિસ્તારમાં જતાં લોકોને સાવચેતી રાખવા તેમજ સુરક્ષિત રહેવા ખાસ અપીલ કરી છે.
