Stock Market : દેશની ખ્યાતનામ કંપનીએ ₹1161 કરોડમાં ક્રિકેટ ટીમ ખરીદી, થોડા સમય માટે સ્ટોકમાં તેજી આવી અને પછી ગગળ્યો
એક ભારતીય કંપનીએ તાજેતરમાં જ ₹1161 કરોડમાં ક્રિકેટ ટીમ ખરીદી, જેની ચર્ચા ચારે તરફ થઈ રહી છે. આ જાહેરાત બાદ કંપનીના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો પરંતુ તે ઉછાળો ફક્ત શરૂઆત પૂરતો જ હતો.

સન ટીવી નેટવર્ક લિમિટેડના બોર્ડે લંડન સ્થિત ક્રિકેટ ફ્રેન્ચાઇઝ નોર્ધન સુપરચાર્જર્સ લિમિટેડમાં 100% ઇક્વિટી હિસ્સો ખરીદવાની મંજૂરી આપી છે. આ ટીમ ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) દ્વારા સંચાલિત પ્રોફેશનલ લીગ 'ધ હંડ્રેડ'માં ભાગ લે છે.

આ અધિગ્રહણ GBP 100.5 મિલિયન (લગભગ ₹ 1,161 કરોડ) માં કરવામાં આવ્યું છે. નોર્ધન સુપરચાર્જર્સે નાણાકીય વર્ષ 2023-24 માં ગ્રેટ બ્રિટન પાઉન્ડ (GBP) 1.89 મિલિયન (લગભગ ₹ 22 કરોડ) નું ટર્નઓવર નોંધાવ્યું છે.

જણાવી દઈએ કે, કંપની હાલમાં નફામાં છે. આ ડીલ કંપનીની આવકના 53 ગણા વેલ્યુએશન પર કરવામાં આવી છે અને એ 31 ડિસેમ્બર 2025 સુધી પૂર્ણ થવાની શક્યતા છે.

આ અધિગ્રહણ દ્વારા, સન ટીવીએ રમતગમત અને મનોરંજન જગતમાં તેની આંતરરાષ્ટ્રીય હાજરીને વધુ મજબૂત બનાવી છે. કંપની પાસે પહેલાથી જ IPL ની સનરાઇઝર્સ હૈદરાબાદ અને દક્ષિણ આફ્રિકાની SA20 લીગની સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપ ફ્રેન્ચાઇઝ છે.

હવે કંપનીએ યુકે જેવા ખાસ ક્રિકેટ બજારમાં 'ધ હંડ્રેડ' ટીમને જોડીને તેના પોર્ટફોલિયોમાં વધારો કર્યો છે. સન ટીવી કહે છે કે, 'ધ હંડ્રેડ' એક ઝડપથી વિકસતી લીગ છે અને ભવિષ્યમાં વધુ સારું નાણાકીય રિટર્ન મળશે તેવી સંભાવના છે. 21 જુલાઈ સોમવારના દિવસે શેરનો ભાવ 591.10 પર બંધ થયો હતો પરંતુ મંગળવારના દિવસે એટલે કે 22 જુલાઈના રોજ શેરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. શેરનો ભાવ 591.10 થી ઘટીને 587.00 રૂપિયાએ આવી ગયો છે.

અહેવાલ મુજબ, કંપનીનો Return on Equity (ROE) 18.69% છે, જે બતાવે છે કે કંપનીનું મેનેજમેન્ટ સારી રીતે કામ કરી રહ્યું છે. ઉપરાંત, કંપનીનું મૂલ્યાંકન પણ એની સમકક્ષ બીજી કંપનીઓની સરખામણીએ યોગ્ય છે. તેમ છતાં, કંપનીએ છેલ્લા ત્રણ તિમાસિક ક્વાર્ટરમાં સતત ખરાબ પરિણામો જાહેર કર્યા છે. આ કારણે રોકાણકારોમાં નિરાશા ફેલાઈ છે અને તેના શેરના ભાવમાં તાજેતરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
