સરહદી રાજ્ય ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે, યુદ્ધ જેવી સ્થિતિને લઈને ઉચ્ચકક્ષાની બેઠક બોલાવી કરી સમીક્ષા, તંત્રને આપ્યા અનેક આદેશ
પાકિસ્તાનની સરહદને અડીને આવેલા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, હાલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા તંગદિલીના વાતાવરણને ધ્યાને લઈને સંબંધિત વિભાગોના વડાઓ સાથે સમિક્ષા બેઠક યોજી હતી. સરહદી રાજ્ય તરીકે ગુજરાતની સતર્કતા અને સજ્જતાની સમીક્ષા આ ઉચ્ચસ્તરીય બેઠકમાં કરાઈ હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપાત કાલીન સ્થિતિમાં સંપર્ક જળવાઈ રહે તે માટે હોટલાઇન, સેટેલાઈટ ફોન જેવા દૂરસંચાર અને સંપર્કના વૈકલ્પિક માધ્યમોની ચકાસણી કરી લેવાની પણ તાકીદ કરી હતી.

હાલની તનાવપૂર્ણ સ્થિતિમાં સંબંધિત જિલ્લાઓના સરહદી ગામોના ઈવેક્યુએશન પ્લાન કાર્યરત કરવા સાથોસાથ નાગરિક સંરક્ષણની સજ્જતા, સુરક્ષિત સ્થાનો-સેઈફ હાઉસની ઓળખ તેમજ પાણી, ખોરાક અને અન્ય સંસાધનોની પર્યાપ્ત ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા પણ બેઠકમાં સૂચનાઓ આપી હતી.

નાગરિકોને આવશ્યક વસ્તુઓનો અને પેટ્રોલ-ડીઝલ જેવા ફ્યુઅલનો પુરવઠો મેળવવામાં કોઈ તકલીફ ન રહે તે માટે સંબંધિત જિલ્લા અને તંત્ર વાહકોને આ જથ્થા નો પૂરતો સંગ્રહ તકેદારીના ભાગરૂપે કરી લેવા પણ મુખ્યમંત્રીએ સૂચનો કર્યા હતા.

લોકોમાં ખોટો ભય કે દહેશત ન ફેલાય અને અફવાઓથી લોકો ગેરમાર્ગે ન દોરાય તે માટે લોકજાગૃતિ અભિયાન શરૂ કરવા પણ સૂચવ્યું હતું. લોકોને પણ સરકાર ના વિવિધ વિભાગોના અધિકૃત સોશીયલ મીડિયા પ્લેટફોર્મ પર આપવામાં આવતી સત્તાવાર માહિતી અને સમાચારો અને સૂચનાઓ પર ધ્યાન આપવાનો તેમણે અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીએ આર્મી, એરફોર્સ, નેવી, કોસ્ટ ગાર્ડ, બી.એસ.એફ અને અન્ય કેન્દ્રીય એજન્સીઓની સતર્ક કામગીરીની સરાહના કરતાં તેમને જરૂરીયાત મુજબની મદદ રાજ્ય સરકાર દ્વારા ત્વરાએ મળશે તેવી ખાતરી પણ આપી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ કરીને સરહદી વિસ્તારો કે ગામોમાં કોઈપણ સંદિગ્ધ ગતિવિધિઓ, શંકાસ્પદ વસ્તુઓ કે વ્યક્તિઓ વિશે માહિતી મળે તો તુરંત જ તંત્ર એલર્ટ મોડ પર રહીને તત્કાલ કાર્યવાહી કરે તેમ સ્પષ્ટપણે જણાવ્યું હતું.