કષ્ટભંજન દેવ હનુમાનજીને સુરતમાં બનેલો 1 કિલો સોનાનો સુવર્ણજડિત મુગટ અર્પણ કરાયો, જાણો તેની વિશેષતાઓ
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત, વડતાલ ગાદીનાં પ.પૂ.ધ.ધુ.1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં શતામૃત મહોત્સવ અંતર્ગત દાદાને વિશેષ વાઘાનો તેમજ સિંહાસનને ગુલાબના ફૂલોથી શણગારવામાં આવેલ તથા ભક્તોનું ઘોડાપુર દર્શનાર્થે ઉમટ્યું હતું. ઘણા હરિભક્તોએ રૂબર હાજર રહી તથા યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન દર્શનનો લ્હાવો લીધો હતો.

સાળંગપુર ધામ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીની પ્રાણ-પ્રતિષ્ઠા થયાને 175 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય અને દિવ્ય શતામૃત મહોત્સવમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને એક એક કિલોના બે અલગ- અલગ શુદ્ધ સોનાના હીરાજડિત મુગટ તથા કુંડળ સંતોના હસ્તે અર્પણ કરાશે. આજે શાસ્ત્રોક્ત વિધિ કર્યા બાદ સુરતના ભંડારી પરિવારે બનાવડાવેલો મુગટ દાદાને અર્પણ કરવામાં આવ્યો.

સુરતમાં બનેલા 1 કિલો સોનાના મુગટની વિશેષતા એ છે કે સુરતમાં બનેલો દાદાનો આંખોને આંજી દે એવો મુગટ અને કુંડળ 1 કિલો સોનામાંથી બનાવાયો છે.

આ મુગટમાં ગદા, બે મોર જે કળા કરતા જોઈ શકાય છે, મોરપીંછ અને ફ્લાવરની આકૃતિ કરવામાં આવેલી છે અને મુગટમાં મોરની ચાંચ અને આંખમાં મીણાની કારીગરી કરવામાં આવેલી છે.

તમને જણાવી દઈએ કે આ સોનાના બનેલા મુગટ અને કુંડળમાં 7000થી વધુ ડાયમંડ લગાડવામાં આવ્યા છે.

મુગટ અને કુંડળની ડિઝાઈન કરતાં 1 મહિનો અને બનાવતા 10 કારીગરોને 3 મહિનાનો સમય લાગ્યો હતો.