Farali Patra Recipe : નવરાત્રીમાં ઘરે જ બનાવો ચટપટા ફરાળી પાત્રા, જુઓ તસવીરો
નવરાત્રીમાં મોટાભાગના લોકો ઉપવાસ કરતા હોય છે. ત્યારે ફરાળમાં શું ખાવુ તે પ્રશ્ન થતો હોય છે. ઘણી વાર વધારે પ્રમાણમાં ફ્રાય કરેલો ખોરાક ખાવાથી તબિયત લથડી જાય છે. તો આજે આપણે જોઈ શું કે ઉપવાસમાં ખાવા લાયક ચટપટા ફરાળી પાત્રાં સરળતાથી કેવી રીતે બનાવી શકાય.

ફરાળી પાત્રા બનાવવા માટે શિંગોડાનો લોટ,સ્વાદાનુંસાર મીઠું, ચપટી ખાંડ, લીલા મરચાની પેસ્ટ, લીંબૂનો રસ, પતરવેલના (અળવી) પાન, સમારેલી કોથમીર તેમજ પાણીની જરુર પડશે.

પાત્રાની અંદર લગાવવામાં આવતુ બેટર બનાવવા માટે એક બાઉલમાં શિંગોડાનો લોટ લો. તેમાં મીઠું, ખાંડ, લીલા મરચાની પેસ્ટ તેમજ લીંબૂનો રસ ઉમેરીને મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં થોડુ થોડુ પાણી ઉમેરીને થોડુ ઘટ્ટ બેટર બનાવી લો.

હવે અળવીના પાનને ધોઈને કપડાથી સાફ કરી લો. ત્યારબાદ પાન પરની નસો દૂર કરી લો. આ પાન પર તૈયાર કરેલું ખીરું થોડું થોડું લગાવો. તેના પર બીજું પાન મૂકો. ઉપર ફરી થોડું બેટર લગાવીને ટાઈટ રોલ વાળી લો. આ રીતે તમામ પાનમાંથી રોલ તૈયાર કરી લો.

સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકો. સ્ટીમર ઉપર મુકવાની પ્લેટ પર તેલ લગાવી તેના પર પાનના રોલને બાફવા મૂકી દો. તે બફાઈ જાય એટલે ગેસ બંધ કરીને તેને બહાર કરી લો. આ રોલમાંથી મીડિયમ સાઈઝના ટુકડા કરી લો.

એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરુ ઉમેરીને તતડવા દો. ત્યારબાદમાં તેમાં તલ, લીમડાના પાન, ખાંડ, લીંબૂનો રસ, સમારેલું લીંલુ મરચું, મીઠું તેમજ પાણી ઉમેરીને તેને 2-3 મિનિટ ઉકળવા દો. બાદમાં તેમાં સમારેલા પાત્રા ઉમેરીને મિક્સ કરી લો. ત્યારબાદ કોથમીર તેના પર ગાર્નીશ કરીને સર્વ કરી શકો છો.
