Health Tips: સીઝન બદલાતા વાયરલ ફીવર ન થાય તે માટે આ ઉકાળાઓનું સેવન કરો
સીઝન બદલાતા હાલમાં વાયરલ ફિવરના કેસ વધી રહ્યા છે અને કોરોના મહામારી વચ્ચે ઉકાળાં પીવા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક રહે છે તેવામાં આજે અમે તમારા માટે કેટલાક ઉકાળાની રેસીપી લઇને આવ્યા છીએ.

આદુનો ઉકાળો : આદુ છોલીને ધોઈ લેવું અને ઝીણું છીણીને અથવા વાટીને એક ગ્લાસ પાણીમાં અડધી માત્રામાં પાણી રહે ત્યાં સુધી ઉકાળવું અને ગોળ નાખવો હોય તો ગોળ નાખી ફરીથી ઉકાળી હુંફાળું ગરમ હોય ત્યારે પીવાથી શરદી સળેખમમાં, પેટનાં દુખાવામાં રાહત થાય છે. અને મધ નાખવું હોય તો ગેસ પરથી ઉતાર્યા બાદ ઉમેરવું.

અજમાનો ઉકાળો : અજમાને થોડો હથેળીમાં મસળીને તેમાં અડધો ગ્લાસ પાણીમાં અડધો કલાક પલાળી તેને બરાબર ઉકાળી બે ત્રણ ઉભરા આવે પછી હુંફાળું ગરમ પીવાથી પેટનો દુઃખાવો, ગેસ અને વાયુના કારણે થતા રોગોમાં રાહત આપે છે.

હિંગ મરીનો ઉકાળો : ત્રણ ચપટી હિંગ અને પા ચમચી મરીનો પાઉડર એક ગ્લાસ પાણીમાં ઉકાળીને લેવામાં આવે તો માથાનો દુઃખાવો, પેટનો દુઃખાવો અને વાયુના કારણે થતી તકલીફમાં કુદરતી પેઈન કિલર તરીકે કોઈ પણ પ્રકારની આડ અસર વગર તાત્કાલિક રાહત આપે છે.

તુલસી અને મરીનો ઉકાળો : તુલસીના પાન અને મરીનો ભૂકો ઉકાળીને પીવાથી દાંતનો દુઃખાવો, શરદી ઉધરસ, માથાનો દુઃખાવો, શ્વાસની તકલીફ વગેરે તકલીફો દૂર કરે છે.

વરિયાળી અને ખડી સાકરનો ઉકાળો : વરિયાળી અને ખડી સાકર ઉકાળી તેને ઠંડો કરીને માટીના વાસણમાં રાખીને પીવાથી એસિડિટી અને ગરમીથી થતાં રોગોમાં ઉપયોગી સાબિત થાય છે.

અરડૂસીનો ઉકાળો : અરડૂસીનાં પાનનો રસ પાણીમાં નાખી ઉકાળો પીવાથી કફ અને ઉધરસની તકલીફ, શ્વાસ લેવામાં તકલીફ હોય કે ટીબી ન્યુમોનિયા જેવી ગંભીર બીમારી દરમિયાન દવા સાથે આપી શકાય છે.