હવે કોઈ કર્મચારી PF વગર નહીં રહે: EES-2025 યોજના હેઠળ નોંધણીની પ્રક્રિયા થઈ સરળ
જો તમે ક્યાંક નોકરી કરો છો અને તમારી કંપનીએ અત્યાર સુધી તમારું PF (પ્રોવિડન્ટ ફંડ) કાપ્યું નથી, તો તમારા માટે સારા સમાચાર છે. સરકારે 'EES-2025' નામની એક નવી યોજના બહાર પાડી છે. જાણો તે યોજના વિશે.

દેશના કરોડો શ્રમિકો અને કર્મચારીઓના હિતમાં કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયે એક મોટી જાહેરાત કરી છે. માહિતીના અભાવે કે કંપનીની બેદરકારીને કારણે જે પાત્ર કર્મચારીઓ અત્યાર સુધી પ્રોવિડન્ટ ફંડ (EPF) ના સુરક્ષા કવચથી વંચિત રહ્યા છે, તેમને હવે હક અપાવવા માટે "કર્મચારી નોંધણી યોજના-2025" (EES-2025) શરૂ કરવામાં આવી છે.

આ યોજના હેઠળ નોકરીદાતાઓ જૂની ભૂલો સુધારી માત્ર ₹100 ના નજીવા દંડ સાથે કર્મચારીઓની નોંધણી કરી શકશે.

6 મહિના માટે ખાસ તક EPFO એ નોકરીદાતાઓ માટે છ મહિનાની સ્પેશિયલ વિન્ડો ખોલી છે. જેમાં 1 જુલાઈ, 2017 થી 31 ઓક્ટોબર, 2025 દરમિયાન નોકરી કરતા હોય પરંતુ PF લાભ ન મળ્યો હોય તેવા કર્મચારીઓને આવરી લેવામાં આવશે.

કંપનીઓ કોઈપણ કાનૂની ગૂંચવણ વગર સ્વેચ્છાએ આગળ આવી કર્મચારીઓને સામાજિક સુરક્ષાનો લાભ આપી શકશે.

નોકરીદાતાઓ માટે મોટી રાહત સામાન્ય રીતે જૂનું PF જમા કરાવવામાં મોટો દંડ અને વ્યાજ લાગતું હોય છે, પરંતુ આ યોજના હેઠળ જો નોકરીદાતા સ્વેચ્છાએ નોંધણી કરે તો તેમને દંડ પેટે માત્ર ₹100 ચૂકવવા પડશે.

વળી, જે કિસ્સામાં અગાઉ કર્મચારીનો હિસ્સો કાપવામાં આવ્યો ન હોય, ત્યાં નોકરીદાતાએ માત્ર પોતાનો હિસ્સો અને વહીવટી ફી જ જમા કરાવવાની રહેશે. આનાથી કંપનીઓ પરનો આર્થિક બોજ હળવો થશે અને લાખો કર્મચારીઓને નિવૃત્તિ પછીનો આધાર મળશે.
અધવચ્ચેથી PF ઉપાડ્યું છે ? તો તમારા વ્યાજની ગણતરી કેવી રીતે થશે
