પાકિસ્તાન ભીખ માંગવામાં ‘વર્લ્ડ લીડર’ બન્યું! હવે આ ખરેખરમાં ગરીબી છે કે પછી કોઈ કાર્યરત ગેંગ તરફનો ઈશારો? આખરે વિદેશમાં કેટલા ‘પાકિસ્તાની’ ભિખારી પકડાયા?
પાકિસ્તાનના લોકો વિદેશમાં જઈને ભીખ માંગે છે, તે હવે ચર્ચાનો વિષય બન્યો છે. આને કારણે દેશની છબી અને આર્થિક પરિસ્થિતિ અંગે પ્રશ્નો ઊભા થયા છે. ઘણા દેશોમાં પકડાયેલા ભિખારીઓમાં નોંધપાત્ર સંખ્યામાં પાકિસ્તાની હોવાનું સામે આવતાં આ પાછળ કોઈ સંગઠિત ગેંગ હશે, તેવી સંભાવના પણ વ્યક્ત થઈ રહી છે.

એક અહેવાલ મુજબ, વિદેશમાં પકડાયેલા ભિખારીઓમાંથી 90% પાકિસ્તાની છે. સાઉદી અરેબિયા અને યુએઈએ તાજેતરમાં 60,000 થી વધુ પાકિસ્તાનીઓને Deport કરી દીધા છે. બીજીબાજુ પાકિસ્તાન સરકારે હવે કડક કાયદા બનાવ્યા છે અને હજારો શંકાસ્પદોના પાસપોર્ટ રદ કર્યા છે તેમજ માનવ તસ્કરીમાં જોડાયેલ એજન્ટો માટે 10 વર્ષની જેલની સજાની જોગવાઈ કરી છે.

આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાન માટે શરમનો એક નવો યુગ શરૂ થયો છે. તાજેતરના અહેવાલો દર્શાવે છે કે, વિદેશમાં ભીખ માંગવાની સમસ્યા હવે ફક્ત વ્યક્તિગત મજબૂરી નથી રહી પરંતુ એક સંગઠિત 'આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ' બની ગઈ છે. આ મુદ્દાએ માત્ર સાઉદી અરેબિયા અને યુએઈ જેવા મિત્ર દેશો સાથેના સંબંધોમાં તણાવ જ નથી કર્યો પરંતુ પાકિસ્તાની સંસદને કડક કાયદા ઘડવાની પણ ફરજ પાડી છે.

એક ચોંકાવનારા આંકડા મુજબ, વિદેશમાં ભીખ માંગતા પકડાયેલા લગભગ 90 ટકા લોકો પાકિસ્તાની મૂળના છે. આ આંકડો માત્ર વ્યક્તિગત ગરીબીને જ નહીં પરંતુ એક આયોજનબદ્ધ રણનીતિ હેઠળ કાર્યરત ગેંગ તરફ પણ ઈશારો કરે છે. એવામાં હંમેશની જેમ પાકિસ્તાની અધિકારીઓએ સ્વીકાર્યું છે કે, આ સમસ્યા હવે દેશની વૈશ્વિક છબીને કલંકિત કરી રહી છે.

આ સિન્ડિકેટથી સાઉદી અરેબિયા સૌથી વધુ પ્રભાવિત થયું હતું. ફક્ત વર્ષ 2025 માં સાઉદી અરેબિયાએ 56,000 પાકિસ્તાની નાગરિકોને ભીખ માંગવાના આરોપમાં Deport કર્યા.

યુનાઇટેડ આરબ અમીરાતે (UAE) કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આશરે 6,000 પાકિસ્તાની ભિખારીઓને Deport કર્યા છે. આવી જ રીતે, અઝરબૈજાને કડક કાર્યવાહી કરી છે અને ભીખ માંગવા બદલ આશરે 2,500 પાકિસ્તાનીઓને Deport કર્યા છે.

પાકિસ્તાનીઓ આ દેશોમાં પ્રવેશવા માટે ટુરિસ્ટ, ઉમરાહ અને વર્ક વિઝાનો દુરુપયોગ કરે છે તેમજ ભિખારીઓની ટોળકીનો શિકાર બને છે. ભિખારીઓના આ જૂથો વિદેશમાં જાહેર સ્થળો અને મસ્જિદોની બહાર નિયમિત શિફ્ટમાં કામ કરે છે. આ એક વ્યાવસાયિક વ્યવસાય બની ગયો છે, જ્યાં તાલીમથી લઈને લોકેશન નક્કી કરવા સુધીની દરેક વસ્તુ સિન્ડિકેટ દ્વારા સંભાળવામાં આવે છે.

વધુમાં એજન્ટોનું એક નેટવર્ક આ પાકિસ્તાનીઓને તેમની ભીખ માંગવાની કમાણીના નોંધપાત્ર ભાગના બદલામાં વિઝા અને ટિકિટ પ્રદાન કરે છે. આ ઘટના અંગે પાકિસ્તાન સરકારે દાવો કર્યો છે કે, વર્ષ 2025 માં કંબોડિયા ગયેલા 24,000 પાકિસ્તાનીઓમાંથી 12,000 પાછા ફર્યા નથી, જ્યારે મ્યાનમાર ગયેલા 4,000 માંથી 2,500 લોકો ગુમ છે. અધિકારીઓને ડર છે કે, આ ગુમ થયેલા લોકો માનવ તસ્કરી, સાયબર ક્રાઇમ અથવા આંતરરાષ્ટ્રીય ભીખ માંગતી ગેંગનો શિકાર બન્યા હશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાની સંસદમાં આ મુદ્દા પર વ્યાપક ચર્ચા થઈ હતી. ચર્ચા બાદ સરકારે "Prevention of Smuggling of Migrants (Amendment) Bill 2025" રજૂ કર્યું. પાકિસ્તાની સંસદે સ્વીકાર્યું કે, આ હાલાકીને રોકવા માટે માત્ર ચેતવણીઓ પૂરતી નથી પરંતુ દંડાત્મક કાર્યવાહી જરૂરી છે. સરકારે અત્યાર સુધીમાં 2,000 થી વધુ લોકોના પાસપોર્ટ સસ્પેન્ડ કર્યા છે અને 7,800 બીજા લોકો સામે કાર્યવાહી ચાલી રહી છે.
દેશ અને દુનિયાના વિશેષ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.
