અમદાવાદમાં 15 જગ્યાએ યોજાશે મોકડ્રીલ, આ સ્થળોએ મોટેથી બે વાર વાગશે સાયરન
ગુજરાતમાં આવતીકાલ બુધવારને 7મી મેના રોજ, 18 સ્થળોએ પાકિસ્તાન સાથેના સંભવિત યુદ્ધને લઈને ઓપરેશન અભ્યાસ' અંતર્ગત મોકડ્રીલ યોજવામાં આવશે. આ મોકડ્રીલ દરમિયાન લાંબી અને ટૂંકી એમ બે પ્રકારે સાયરન વગાડવામાં આવશે. આ ઉપરાંત સાંજે 7.30થી 8 સુધીમાં અલગ-અલગ સમયે અડધો કલાક માટે બ્લેકઆઉટ રહેશે. અમદાવાદ શહેર અને જિલ્લામાં કૂલ 15 સ્થળોએ મોકડ્રીલનું આયોજન કરાયું છે. ગુજરાતના 18 સ્થળોએ યોજાનાર મોકડ્રીલના આયોજન માટે મુખ્યપ્રધાનના અધ્યક્ષસ્થાને સમિક્ષા બેઠક યોજાઈ હતી.


ગુજરાતમાં આવતીકાલ 7 મે 2025ના રોજ યોજાનાર સિવિલ ડીફેન્સ મોક ડ્રીલના આયોજનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લાઓના વહિવટી તંત્રના અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સથી સમીક્ષા કરી હતી. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ચીફ સેકેટરી પંકજ જોષી, એ.સી.એસ. હોમ એમ. કે. દાસ અને ડી.જી.પી. વિકાસ સહાય પણ ઉપસ્થિત રહ્યાં હતા.

મોકડ્રીલ દરમિયાન સાયરનથી ચેતવણી આપવામાં આવે ત્યારે નાગરિકોએ સતર્ક રહી બે પ્રકારના સાયરનને સમજવા જોઈએ. જેમાં (૧) વોર્નિંગ સિગ્નલ એટલે કે સંભવિત હવાઈ હુમલાનો સંકેત આપતો લાંબો સાયરન વાગશે. ઓલ ક્લીયર સિગ્નલ જે ટૂંકો અને એક ધારી સાયરન વાગશે જે ખતરો પસાર થઈ ગયો છે તેમ દર્શાવે છે.

અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોના આશરે 15 સ્થળોએ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. શહેર અને ગ્રામ્યના વિવિધ જાહેર સ્થળોએ મોકડ્રીલ અંતર્ગત સિવિલ ડિફેન્સની ગાઇડલાઈન અનુસારના વિવિધ ઇન્સ્ટોલેશન્સમાંથી કેટલાંક ઇન્સ્ટોલેશન્સ પર્ફોર્મ કરવામાં આવશે.

અમદાવાદ જિલ્લામાં પોલીસ સ્ટેશન, સરકારી કચેરીઓ, ફાયર સ્ટેશન, પાવર સ્ટેશન, ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારો, ભીડભાડવાળા વિસ્તારો, મંદિરો જેવાં સ્થળોએ સાયરન વગાડવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોકડ્રીલ અંગે તૈયારીઓ સુનિશ્ચિત કરવામાં આવશે.

રાજ્યના જે જિલ્લાઓમાં આ મોકડ્રીલ થવાની છે તેમાં, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરુચ (અંકલેશ્વર), તાપી (કાકરાપાર), સુરત, ભાવનગર, જામનગર, દેવભૂમી દ્વારકા (ઓખા, વાડીનાર), કચ્છ-પૂર્વ (ગાંધીધામ), કચ્છ-પશ્ચીમ (ભુજ, નલીયા) ઉપરાંત પાટણ, બનાસકાંઠા, ગીર સોમનાથ, મહેસાણા, નવસારી, નર્મદા, ડાંગ અને મોરબી એમ કુલ-18 જિલ્લામાં મોકડ્રીલ થશે.

સાંજે 7.30થી 8 દરમિયાન વિવિધ જિલ્લાઓમાં અલગ-અલગ સમયે અડધો કલાક માટે બ્લેકઆઉટ રહેશે. બ્લેકઆઉટ દરમિયાન ઘરો, ઓફિસો અને વાહનોની તમામ લાઇટ બંધ કરવી અથવા તેને ઢાંકી દેવી જરૂરી છે. વીજળીનો પ્રકાશ બહાર સહેજે પણ ના દેખાય તેની તકેદારી રાખવી, પ્રકાશનો લીકેજ અટકાવવા માટે બ્લેકઆઉટ પડદા અથવા ભારે કાપડનો ઉપયોગ કરો. બારીઓ પાસે મોબાઇલ ફોન અથવા ફ્લેશલાઇટનો ઉપયોગ કરવાનું ટાળો.

વર્ષ 1962માં ચીને કરેલા ભારત પરના આક્રમણ પછી, કેન્દ્ર સરકારે અન્ય દેશો અનુસાર ભારતમાં પણ નાગરિક સંરક્ષણ તંત્ર વર્ષ 1963થી શરૂ કર્યું છે. આ તંત્ર શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ યુદ્ધ દરમિયાન પ્રજાના જાનમાલનું રક્ષણ કરવું, ગૃહ મોરચે પ્રજાનો જુસ્સો ટકાવી રાખવો, અફવાઓથી પણ પ્રજાજનોને બચાવવા તથા ઔદ્યોગીક ઉત્પાદનની પ્રક્રિયા અને પૂરવઠો ચાલુ રહે તે જોવાનો છે

































































