23 વર્ષની અનુષ્કા શર્મા બની ટીમ ઈન્ડિયાની કેપ્ટન, જાણો કોણ છે આ યુવા ખેલાડી
ભારતીય મહિલા ક્રિકેટમાં એક યુવા નામે સૌનું ધ્યાન ખેંચ્યું છે. માત્ર 23 વર્ષની ઉંમરે આ ખેલાડીને ઓસ્ટ્રેલિયા સામેની T20 શ્રેણી માટે ઈન્ડિયા-Aની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. ઘરેલુ ક્રિકેટ અને WPLમાં પ્રભાવ પાડ્યા બાદ તેને આ મોટી જવાબદારી મળી છે. હવે ઓસ્ટ્રેલિયા-A સામેનું પ્રદર્શન તેના ભવિષ્ય માટે કેટલું મહત્વનું સાબિત થશે તે જોવું રસપ્રદ રહેશે.

ઈન્ડિયા-A અને ઓસ્ટ્રેલિયા-A વચ્ચે સપ્ટેમ્બરમાં ત્રણેય ફોર્મેટની શ્રેણી રમાવાની છે. BCCIએ ગુરુવારે ત્રણેય ફોર્મેટ માટે ભારતીય ટીમોની જાહેરાત કરી હતી. T20 શ્રેણી માટે અનુષ્કા શર્માને કેપ્ટન બનાવવામાં આવી છે, જ્યારે યાસ્તિકા ભાટિયા ODI અને બિનસત્તાવાર ટેસ્ટમાં ટીમનું નેતૃત્વ કરશે.

અનુષ્કા શર્મા મધ્યપ્રદેશના ગ્વાલિયરની 23 વર્ષીય બેટિંગ ઓલરાઉન્ડર છે. તેણે નાની વયથી જ ઘરેલુ ક્રિકેટમાં પોતાની પ્રતિભા બતાવી છે. મધ્યપ્રદેશની કેપ્ટન તરીકે પણ તેણે સારું પ્રદર્શન કર્યું છે, જેના કારણે તેની પસંદગી WPLમાં થઈ હતી.

ગત WPL સિઝનમાં ગુજરાત જાયન્ટ્સે અનુષ્કાને પોતાની ટીમમાં સામેલ કરી હતી. પોતાની ડેબ્યૂ સિઝનમાં તેણે સાત ઇનિંગ્સમાં 177 રન બનાવ્યા હતા અને તેનો સ્ટ્રાઇક રેટ 129 રહ્યો હતો. આ પ્રદર્શન બાદ તેને ભારતીય સિનિયર ટીમમાં પણ તક મળી હતી.

અનુષ્કાએ દક્ષિણ આફ્રિકા સામે ભારત માટે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું. ત્રણ મેચમાં તેણે 72 રન બનાવ્યા હતા. હવે તેને ભારત-Aની T20 ટીમની કેપ્ટનશીપ મળવી એ તેની ક્ષમતામાં પસંદગીકારોના વિશ્વાસને દર્શાવે છે.

ઓસ્ટ્રેલિયા-A સામેની T20 શ્રેણી 12, 15 અને 17 સપ્ટેમ્બરે રમાશે. ત્યારબાદ 20, 23 અને 25 સપ્ટેમ્બરે ત્રણ ODI મેચ થશે, જ્યારે 29 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી બિનસત્તાવાર ટેસ્ટ રમાશે. અનુષ્કા માટે આ શ્રેણી ભારતીય ટીમમાં પોતાનું સ્થાન મજબૂત કરવાની મોટી તક બની શકે છે. (PC:PTI/X)
Breaking News: ટીમ ઈન્ડિયાના ન્યૂઝીલેન્ડ પ્રવાસને લઈ ફેન્સમાં ભારે ઉત્સાહ, 48 કલાકમાં 26,000 ટિકિટો વેચાઈ ગઈ
