હવે વોટ્સએપ પરથી જ ઘરબેઠા બની જશે આયુષ્માન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રક્રિયા
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રૂ. 5,00,000 સુધીની મફત સારવાર મેળવવા માટે હવે આયુષ્માન કાર્ડ બનાવવું કે ડાઉનલોડ કરવું ખૂબ જ સરળ બન્યું છે. જાણો વોટ્સએપ બોટ દ્વારા આ કાર્ડ બનાવવાની પદ્ધતિ.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) નો લાભ લેવા માટે પાત્રતા ધરાવતા નાગરિકો માટે આયુષ્માન કાર્ડ હોવું જરૂરી છે. આ યોજના હેઠળ પાત્ર પરિવારોને વાર્ષિક રૂ. 5,00,000 સુધીનું કેશલેસ સ્વાસ્થ્ય વીમા કવચ પૂરું પાડવામાં આવે છે. જોકે, ઘણા પાત્ર લોકો એવા છે જેમણે હજુ સુધી પોતાનું આયુષ્માન કાર્ડ બનાવ્યું નથી. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોવ, તો હવે તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમે ઘરેબેઠા તમારા મોબાઈલ ફોનમાં વોટ્સએપ (WhatsApp) ની મદદથી આયુષ્માન કાર્ડ બનાવી શકો છો.

ઘરબેઠા વોટ્સએપથી કેવી રીતે બનાવશો આયુષ્માન કાર્ડ? જો તમે પણ વોટ્સએપ દ્વારા ઘરબેઠા આયુષ્માન કાર્ડ બનાવવા માંગો છો, તો નીચે દર્શાવેલા સરળ સ્ટેપ્સને અનુસરો:

1. સૌથી પહેલાં તમારા મોબાઈલ ફોનમાં વોટ્સએપ ઓપન કરો. 2. હવે તમારે 'આયુષ્માન સારથી' વોટ્સએપ ચેટબોટ પર જવું પડશે. 3. આ માટે તમારા ફોનમાં +91 72908 23838 નંબર સેવ કરો. 4. હવે વોટ્સએપમાં આ નંબર પર 'Hi' અથવા કોઈ પણ મેસેજ મોકલો. 5. મેસેજ મોકલ્યા પછી તમને સેવાઓ પસંદ કરવાનો વિકલ્પ મળશે. 6. તેમાંથી 'આયુષ્માન કાર્ડ' નો વિકલ્પ પસંદ કરો. 7. ત્યારબાદ 'Apply for PMJAY Card' ના વિકલ્પ પર ક્લિક કરો. 8. તમે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને આધાર નંબરની મદદથી લોગિન પ્રોસેસ પૂરી કરી શકો છો. 9. લોગિન થયા બાદ ઈ-કેવાયસી (e-KYC) ની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. 10. આ પ્રક્રિયા પૂરી થતાં જ તમારું આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકાશે.

જો તમે પહેલાથી જ આયુષ્માન યોજનાના લાભાર્થી છો પરંતુ તમારી પાસે કાર્ડની ભૌતિક કે ડિજિટલ કોપી નથી, તો પણ આ જ પ્રક્રિયા દ્વારા તમે તમારું આયુષ્માન કાર્ડ ઘરબેઠા ડાઉનલોડ પણ કરી શકો છો.

આયુષ્માન કાર્ડ બનાવવાની અન્ય રીતો: સરકારી/સંબંધિત હોસ્પિટલ દ્વારા: પીએમ આયુષ્માન યોજના હેઠળ નોંધાયેલી (એમપેનલ્ડ) હોસ્પિટલોમાં જઈને પણ તમે આયુષ્માન કાર્ડ માટે રૂબરૂ અરજી કરી શકો છો.

ઓફિશિયલ વેબસાઈટ દ્વારા: આ સિવાય તમે અધિકૃત વેબસાઈટ www.beneficiary.nha.gov.in પર જઈને પણ આયુષ્માન કાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો છો. આ પ્રક્રિયા પૂરી કરવા માટે તમારે આધાર નંબર અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબરની જરૂર પડશે. આ માધ્યમથી પણ ડિજિટલ આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકાય છે.

કોણ છે આ યોજના માટે પાત્ર? પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન ભારત યોજના હેઠળ દેશના કરોડો લાભાર્થીઓ મફત અને કેશલેસ સારવાર મેળવી રહ્યા છે. આ યોજના માટે લાભાર્થીઓની પાત્રતા મુખ્યત્વે સામાજિક-આર્થિક અને જાતિ વસ્તીગણતરી (SECC) 2011 ના આંકડાઓના આધારે નક્કી કરવામાં આવે છે. આ ઉપરાંત, તાજેતરના સુધારા મુજબ 70 વર્ષ કે તેથી વધુ વય ધરાવતા તમામ વરિષ્ઠ નાગરિકો પણ આયુષ્માન કાર્ડ મેળવવા માટે સંપૂર્ણપણે પાત્ર ગણાય છે.
હવે વ્હોટ્સએપ પર મળશે આયુષ્માન ભારતની તમામ સુવિધાઓ, લોન્ચ થયો ‘આયુષ્માન સારથી’ ચેટબોટ, જાણો કેવી રીતે કરશો ઉપયોગ?
