હવે વ્હોટ્સએપ પર મળશે આયુષ્માન ભારતની તમામ સુવિધાઓ, લોન્ચ થયો ‘આયુષ્માન સારથી’ ચેટબોટ, જાણો કેવી રીતે કરશો ઉપયોગ?
કેન્દ્ર સરકારની મોટી જાહેરાત: હવે આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા, હોસ્પિટલ શોધવા કે ઈ-કેવાયસી કરવા માટે સરકારી કચેરીઓના ચક્કર કાપવામાંથી મુક્તિ મળશે.

કેન્દ્ર સરકાર દ્વારા દેશના કરોડો નાગરિકોને મોટી રાહત આપતા ડિજિટલ હેલ્થ સેવામાં એક મોટું કદમ ઉઠાવવામાં આવ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે પી નડ્ડાએ સોમવારે ‘આયુષ્માન સારથી’ (Ayushman Sarathi) નામે PM-JAY નો સત્તાવાર વોટ્સએપ ચેટબોટ લોન્ચ કર્યો છે. આ નવી સુવિધા બાદ હવે આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓ માત્ર એક WhatsApp મેસેજ દ્વારા 24 કલાક, ગમે ત્યારે અને ગમે ત્યાંથી યોજના સંબંધિત સેવાઓનો સીધો લાભ મેળવી શકશે.
સકારના જણાવ્યા અનુસાર, હવે લોકોને આયુષ્માન કાર્ડ બનાવવા, માહિતી મેળવવા કે કોઈ ફરિયાદ નોંધાવવા માટે સરકારી કચેરીઓ અથવા કોલ સેન્ટરોના ધક્કા ખાવા નહીં પડે. આ ચેટબોટ સીધો PM-JAY સિસ્ટમ સાથે જોડાયેલો છે અને રિયલ ટાઇમમાં સચોટ માહિતી પૂરી પાડશે.
WhatsApp પર કઈ-કઈ સુવિધાઓ મળશે?
આયુષ્માન સારથી ચેટબોટના માધ્યમથી ઘરબેઠા નીચે મુજબની મહત્વની સેવાઓનો લાભ લઈ શકાશે:
- આયુષ્માન ભારત યોજના માટે પોતાની પાત્રતા (એલિજિબિલિટી) તપાસવી.
- નવું આયુષ્માન કાર્ડ બનાવવું અને તેને ડાઉનલોડ કરવું.
- ફરીથી ઈ-કેવાયસી (e-KYC) કરવું અને આધાર કાર્ડ લિંક કરવું.
- આયુષ્માન કાર્ડને લોક અથવા અનલોક કરવાની સુવિધા.
- 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના વડીલો માટે ‘આયુષ્માન વય વંદના કાર્ડ’ ની માહિતી મેળવવી.
- યોજનાનું વોલેટ બેલેન્સ અને અત્યાર સુધી થયેલી સારવારનો રેકોર્ડ જોવો.
- પોતાના ઘરની નજીક આવેલી માન્યતા પ્રાપ્ત (એમ્પેનલ્ડ) હોસ્પિટલો શોધવી.
- કોઈપણ ફરિયાદ નોંધાવવી, તેની સ્થિતિ તપાસવી અથવા ફરિયાદ પાછી ખેંચવી.
- કૉલ બેક (Call Back) માટે વિનંતી કરવી અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી સેવાનો પ્રતિભાવ (ફીડબેક) આપવો.
કેવી રીતે કરશો ઉપયોગ?
આ સરકારી વ્હોટ્સએપ સેવાનો લાભ લેવા માટે લાભાર્થીઓએ પોતાના મોબાઈલમાં નીચે મુજબની પ્રક્રિયા કરવાની રહેશે:
- સૌથી પહેલા પોતાના મોબાઈલમાં સત્તાવાર નંબર +91 72908 23838 સેવ કરવાનો રહેશે.
- ત્યારબાદ વોટ્સએપ પર જઈને આ નંબર પર ‘Hi’ લખીને મેસેજ મોકલવાનો રહેશે.
- લાભાર્થીઓ સત્તાવાર ક્યૂઆર કોડ (QR Code) સ્કેન કરીને પણ સીધા આ ચેટબોટ સાથે જોડાઈ શકે છે. આ સેવા અઠવાડિયાના સાતેય દિવસ અને 24 કલાક ઉપલબ્ધ રહેશે.
શું છે આયુષ્માન સારથી ચેટબોટનો મુખ્ય ઉદ્દેશ્ય?
આ ચેટબોટ કેન્દ્ર સરકારની એક નવી ડિજિટલ આરોગ્ય સેવા છે, જેને નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) અને સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ખાસ કરીને લાભાર્થીઓની સુવિધા માટે તૈયાર કરવામાં આવ્યો છે. સરકારનો મુખ્ય હેતુ એ છે કે લોકોને હોસ્પિટલો કે હેલ્પ ડેસ્ક પર લાંબી લાઈનોમાં ઊભા ન રહેવું પડે અને મોબાઈલ સ્ક્રીન પર જ બધી સુવિધાઓ મળી જાય. ખાસ કરીને ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોને આનાથી ઘણો મોટો ફાયદો થશે અને સરકારી તંત્ર પરની નિર્ભરતા ઘટશે.
