ગુજરાતમાં વિવિધ પ્રજાતિના 18થી 20 લાખ પક્ષી, 3.62 લાખથી વધુ પક્ષીઓ સાથે નળ સરોવર બન્યુ હોટસ્પોટ
સમગ્ર વિશ્વમાં ગુજરાત અનેકવિધ જૈવ-પક્ષી વિવિધતા માટે જાણીતું છે. પક્ષીઓ માટે જાણીતા નળ સરોવરમાં સૌથી વધુ 3 લાખ 62 હજાર પક્ષીઓ છે. દેવભૂમિ દ્વારકામાં પક્ષીઓની સૌથી વધુ 456 પ્રજાતિ જોવા મળી હતી. જયારે કચ્છમાં સૌથી વધુ 4 લાખ 56 હજારથી વધુ પક્ષીઓ દેખાયા હતા. દેશમાં સૌ પ્રથમવાર જામનગર ખાતે દરિયાકાંઠા- કિચડીયા પક્ષીઓની ગણતરી હાથ ધરવામાં આવી હતી.

વૈશ્વિક પક્ષીઓના આવાગમન માટે ગુજરાત પસંદગીનું રાજ્ય પ્રસ્થાપિત થયું છે ત્યારે ધાર્મિક અને પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 456 પક્ષી પ્રજાતિઓની વિવિધતા નોંધાઈ છે.

સરહદી કચ્છ જિલ્લામાં 161 પ્રજાતિઓના 4.56 લાખ જેટલા પક્ષીઓ જોવા મળ્યા છે. જામનગર વિવિધ 221 પ્રજાતિઓની સાથે 4 લાખથી વધુ પક્ષીઓની સંખ્યા ધરાવે છે.

ગુજરાતમાં નળ સરોવર, નડા બેટ, બોરીયા બેટ, થોળ વગેરે જેવા સ્થળો અંદાજે 50 હજારથી પણ વધુ સ્થાનિકો તથા યાયાવર એટલે કે વિદેશી પક્ષીઓના ‘હોટસ્પોટ’ તરીકે જાણીતા થયા છે.

અમદાવાદ પણ રાજ્યના પક્ષી જીવનમાં નોંધપાત્ર યોગદાન આપે છે. જેમાં 3.65 લાખથી વધુ પક્ષીઓની વસ્તી સાથે 250થી વધુ વિવિધ પ્રજાતિઓ હોવાનું ગૌરવ અમદાવાદ ધરાવે છે.

સરહદી એવા નડા બેટ વેટલેન્ડ કોમ્પ્લેક્સમાં એક લાખ કરતા વધુ પક્ષીઓ વસે છે. ‘રામસર સાઈટ’ની વાત કરીએ તો કચ્છના છારી ઢંઢની કુલ 22,700 હેક્ટર જમીનમાં 150થી વધુ પ્રજાતિઓના 30,000 થી વધુ પક્ષીઓ માટે સુરક્ષિત નિવાસ્થાન સાબિત થયું છે.

પોરબંદરમાં આવેલી મોકરસાગર ‘રામસર સાઈટ’ 100થી વધુ પ્રજાતિઓના અંદાજે 30,000 પક્ષીઓનું નિવાસ્થાન બન્યું છે.

વર્ષ 2010માં થોળ પક્ષી અભયારણ્યમાં 31380 પક્ષીઓનું આગમન થયું હતું જે વર્ષ 2024માં વધીને 1.11 લાખથી વધુ યાયાવર પક્ષીઓનું આગમન થયું છે.

પક્ષીઓના ‘હોટસ્પોટ’ એવા નળ સરોવર ખાતે વર્ષ 2010માં 1.31 લાખથી વધુ યાયાવર પક્ષી નોંધાયા હતા જ્યારે વર્ષ 2024માં 3.62 લાખથી વધુ પક્ષીઓ નોંધાયા છે.

છેલ્લા 14 વર્ષમાં થોળ અને નળસરોવર પક્ષી અભયારણ્યમાં જળ પ્લાવિત વિસ્તારના યાયાવર પક્ષીઓનું અનુક્રમે 355 અને 276 ટકાનો વધારો નોંધાયો છે. આ ઉપરાંત ખીજડિયામાં પક્ષી અભ્યારણમાં 1.50 લાખથી વધુ પક્ષીઓ નોંધાયા છે.

રાજ્યની ‘રામસર સાઇટ્સ’માં નળ સરોવર અને ખીજડિયા પક્ષી અભયારણ્ય મુખ્ય ભાગ ભજવે છે. પક્ષી ગણતરી દરમિયાન નળ સરોવર ખાતે પ્રભાવશાળી 228 વિવિધ પક્ષીઓની પ્રજાતિઓનું તથા ખીજડિયા પક્ષી અભયારણ્યમાં 200થી વધુ પ્રજાતિઓનું તલસ્પર્શી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ( તમામ તસવીરો સૌજન્ય- ગુજરાત માહિતી વિભાગ, ગાંધીનગર)
ગુજરાતના વિવિધ જિલ્લાઓના સમાચાર જાણવા માટે તમે અમારા ગુજરાત ટોપિક પર ક્લિક કરો