SEBI એ મ્યુચ્યુઅલ ફંડના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રોકાણકારોના ખિસ્સા પર સીધી અસર થવાની શક્યતા
સેબીએ મ્યુચ્યુઅલ ફંડના નિયમોમાં ઐતિહાસિક ફેરફાર કર્યા છે, જેનો મુખ્ય હેતુ રોકાણકારો માટે ખર્ચ ઘટાડવા, પ્રક્રિયા સરળ બનાવવા અને પારદર્શિતા વધારવાનો છે.

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા માટે આ એક મહત્વપૂર્ણ સમાચાર છે. સેબીના નવા નિયમોનો હેતુ ખર્ચ ઘટાડવો, નિયમોને સરળ બનાવવું અને નાણાકીય વ્યવસ્થામાં વધુ પારદર્શકતા લાવવાનો છે. તેથી, દરેક રોકાણકાર માટે આ ફેરફારોને સમજવું ખૂબ જ જરૂરી બની જાય છે.

SEBIએ મ્યુચ્યુઅલ ફંડ અને સ્ટોકબ્રોકર્સ સંબંધિત નિયમોમાં વ્યાપક સુધારા મંજૂર કર્યા છે. આ સુધારાઓને છેલ્લા કેટલાય વર્ષોમાંનો સૌથી મોટો નિયમનકારી ફેરફાર માનવામાં આવી રહ્યો છે. નવા નિયમો દ્વારા રોકાણકારોના ખર્ચમાં ઘટાડો થશે અને રોકાણ પ્રક્રિયા વધુ સરળ અને સ્પષ્ટ બનશે.

મ્યુચ્યુઅલ ફંડ માટે SEBI એક સંપૂર્ણપણે નવું નિયમપુસ્તક રજૂ કરવાની તૈયારીમાં છે. ‘SEBI (Mutual Fund) Regulations, 2026’ નામે નવા નિયમો લાગુ કરવામાં આવશે. અત્યાર સુધી અલગ-અલગ પરિપત્રોમાં ફેલાયેલા નિયમોને એક જ જગ્યાએ એકીકૃત કરવામાં આવશે, જેથી રોકાણકારોને માહિતી સરળ ભાષામાં અને સ્પષ્ટ રીતે મળી શકે. SEBIએ સ્પષ્ટ કર્યું છે કે રોકાણકાર સુરક્ષાના મૂળભૂત નિયમોમાં કોઈ ફેરફાર નહીં થાય, માત્ર રજૂઆત વધુ સરળ બનાવાશે.

ખર્ચ ગુણોત્તર એટલે કે એક્સપેન્સ રેશિયોમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે તેને ‘બેઝ એક્સપેન્સ રેશિયો’ કહેવામાં આવશે. GST, સ્ટેમ્પ ડ્યુટી અને ટ્રાન્ઝેક્શન ટેક્સ જેવા સરકારી ચાર્જ અલગથી દર્શાવવામાં આવશે. આ બદલાવથી રોકાણકારોને તેમના પૈસા ક્યાં અને કેટલા ખર્ચાઈ રહ્યા છે તેની સંપૂર્ણ જાણકારી મળશે.

કેટલાક પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ્સ માટે બેઝ એક્સપેન્સ રેશિયોની મર્યાદા પણ ઘટાડવામાં આવી છે. ક્લોઝ્ડ-એન્ડેડ ઇક્વિટી ફંડ્સ, ડેટ ફંડ્સ, ઇન્ડેક્સ ફંડ્સ અને ETF માટે મેનેજમેન્ટ ફી હવે અગાઉ કરતાં ઓછી રહેશે. લાંબા ગાળે આ બદલાવ રોકાણકારોના વળતરમાં વધારો કરી શકે છે.

SEBIએ રોકડ અને ડેરિવેટિવ્સ માર્કેટમાં બ્રોકરેજ ચાર્જની મહત્તમ મર્યાદા પણ ઘટાડી છે. હવે બ્રોકર્સ શેર ખરીદી-વેચાણ તેમજ ફ્યુચર્સ અને ઓપ્શન ટ્રેડિંગ પર વધુ ફી વસૂલ નહીં કરી શકે. આ નિર્ણયથી નાના અને રિટેલ રોકાણકારો માટે ટ્રેડિંગ ખર્ચ ઘટશે અને બજારમાં ભાગ લેવાનો વિશ્વાસ વધશે.

IPOમાં રોકાણ કરનારા માટે પણ સારા સમાચાર છે. SEBI હવે ટૂંકું અને સરળ પ્રોસ્પેક્ટસ લાવશે, જેથી સામાન્ય રોકાણકાર કંપનીના બિઝનેસ અને જોખમોને ઝડપથી સમજી શકે. લાંબા અને જટિલ દસ્તાવેજો વાંચવાની ઝંઝટ ઘટશે.

કોર્પોરેટ બોન્ડ માર્કેટને પ્રોત્સાહન આપવા માટે SEBIએ નવા પગલાં લીધા છે. ચોક્કસ રોકાણકારોને વધારાનું વ્યાજ અથવા ડિસ્કાઉન્ટ આપવાની મંજૂરી આપવામાં આવશે. આથી રિટેલ રોકાણકારો બોન્ડમાં રોકાણ કરવા તરફ વધુ આકર્ષાઈ શકે છે.

ડીમેટ અને શેર ટ્રાન્સફરની પ્રક્રિયા પણ વધુ ઝડપી અને સરળ બનશે. ઘણા કેસોમાં હવે કન્ફર્મેશન લેટરની જરૂર નહીં રહે અને શેર સીધા જ ડીમેટ ખાતામાં જમા થઈ જશે. જે પ્રક્રિયામાં પહેલા મહિના લાગી જતા હતા, તે હવે માત્ર થોડા અઠવાડિયામાં પૂર્ણ થઈ શકશે.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.
વેદાંતાનું મોટું પગલું, પાંચ નવી કંપનીઓ માટે બનાવી મર્જર અને ડિમર્જર યોજના, જાણો
