શેરબજારના બદલાશે નિયમો: SEBI ને મળશે મનસ્વી તપાસના અધિકારો પણ 180 દિવસમાં આપવો પડશે ચુકાદો, જાણો રોકાણકારોને શું થશે ફાયદો
ભારતીય શેરબજાર માટે આવી રહેલા નવા કાયદાથી SEBI ની શક્તિઓ અને જવાબદારીઓ બંને વધશે. તપાસ માટે સમયમર્યાદા નક્કી થવાથી રોકાણકારોની સુરક્ષા મજબૂત થશે.

ભારતીય શેરબજારમાં રોકાણ કરતા કરોડો રોકાણકારો માટે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. સરકાર દ્વારા લાવવામાં આવી રહેલો નવો કાયદો સેક્યુરિટીઝ માર્કેટ્સ કોડ 2025 શેરબજારની નિયમનકારી સંસ્થા સેબી એટલે કે સ્મોલ એન્ડ લાર્જ ઇન્વેસ્ટર્સના હિતોનું રક્ષણ કરતી SEBI ની તાકાતમાં મોટો વધારો કરવા જઈ રહ્યો છે. આ નવા કોડથી સેબી પાસે તપાસના વ્યાપક અધિકારો આવશે પણ સાથે સાથે તેની જવાબદારી પણ પહેલા કરતાં ઘણી વધી જશે.

અત્યાર સુધી ભારતીય શેરબજારમાં અલગ અલગ ત્રણ કાયદા સેબી એક્ટ 1992, સેક્યુરિટીઝ કોન્ટ્રેક્ટ્સ રેગ્યુલેશન એક્ટ 1956 અને ડિપોઝિટરીઝ એક્ટ 1996 લાગુ થતા હતા. આ નવો કાયદો જૂના તમામ અલગ અલગ નિયમોને એક જ છત્ર હેઠળ લાવશે, જેથી નિયમો વધુ સ્પષ્ટ અને મજબૂત બનશે.

સેબીની કઈ નવી જવાબદારીઓ વધશે: નવા કાયદા હેઠળ સેબી માત્ર માર્કેટ પર દેખરેખ રાખવા પૂરતી સીમિત નહીં રહે. સેબીએ પોતાના નિયમોની અસરોની સમીક્ષા કરવી પડશે, કર્મચારીઓની કાર્યક્ષમતા વધારવી પડશે અને માર્કેટ રિસર્ચને પ્રોત્સાહન આપવું પડશે. આ ઉપરાંત કોઈ પણ નવો નિયમ બનાવતા પહેલાં સેબીએ સામાન્ય જનતા અને રોકાણકારોની સલાહ લેવી ફરજિયાત બનશે, જેથી પારદર્શિતા જળવાઈ રહે.

તપાસ માટે સમયમર્યાદા નક્કી કરાઈ: નવા કાયદામાં સૌથી મોટો ફેરફાર તપાસ પ્રક્રિયામાં કરવામાં આવ્યો છે. હવે સેબીએ કોઈ પણ કેસની તપાસ સામાન્ય રીતે 180 દિવસની અંદર પૂરી કરવી પડશે. આ સિવાય 8 વર્ષ જૂના કેસમાં નવી તપાસ શરૂ કરી શકાશે નહીં. આનાથી લાંબા સમય સુધી ચાલતી અસુરક્ષિતતાનો અંત આવશે.

અન્યાય રોકવા માટે ફેરફાર: હવે જે અધિકારી કેસની તપાસ કરશે તે પોતે આખરી ચુકાદો આપી શકશે નહીં. તપાસ કરનાર અને નિર્ણય લેનાર અધિકારી અલગ અલગ રાખવામાં આવશે જેથી નિર્ણય એકદમ નિષ્પક્ષ અને પારદર્શક રહે.

રોકાણકારોની સુરક્ષા અને ફરિયાદ નિવારણ: રોકાણકારોની સુરક્ષા માટે સેબીએ ઇન્વેસ્ટર ચાર્ટર જાહેર કરવું પડશે. આ સિવાય ફરિયાદોના ઝડપી ઉકેલ માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. સેબી લોકપાલ એટલે કે ઓમ્બડ્સપર્સનની નિમણૂક કરશે, જેના નિર્ણયો સામે સેબી એપેલેટ ટ્રિબ્યુનલમાં અપીલ પણ કરી શકાશે.

નવી ટેકનોલોજી અને ફિનટેકને પ્રોત્સાહન: બદલાતા સમય સાથે નવા નાણાકીય પ્રોડક્ટ્સ અને ટેકનોલોજીના પરીક્ષણ માટે સેબી રેગ્યુલેટરી સેન્ડબોક્સની સ્થાપના કરશે. આનાથી નવી ફિનટેક કંપનીઓને સુરક્ષિત વાતાવરણમાં પોતાની ટેકનોલોજી ચકાસવાની તક મળશે. આ નવા સુધારાથી સેબી એક આધુનિક, જવાબદાર અને રોકાણકારો માટે વધુ ભરોસાપાત્ર સંસ્થા બનશે અને ભારતીય શેરબજાર વૈશ્વિક સ્તરના ધોરણો સાથે વધુ મજબૂત થશે.
ફ્લાઇટમાં ‘Airplane Mode’ ઓન નહીં કરો તો શું થશે? જાણો કેમ વારંવાર આપવામાં આવે છે આ સલાહ
