ગોલ્ડ-સિલ્વર રેશિયોમાં ઉલટફેર ! Tata ના રિપોર્ટમાં થયો ‘મોટો ખુલાસો’, આ 5 ફેક્ટર્સ સોનાને પહોંચાડશે ‘આસમાને’
દુનિયામાં ચાલી રહેલા તણાવ અને બજારની અનિશ્ચિતતા વચ્ચે સોના-ચાંદીના ભાવમાં સતત ફેરફાર થઈ રહ્યા છે. આવા સમયે રોકાણકારો માટે મૂંઝવણ છે કે, અત્યારે સોનું ખરીદવું જોઈએ કે નહીં? જો કે, ટાટા મ્યુચ્યુઅલ ફંડે તેના નવા રિપોર્ટમાં આ અંગે મહત્વની વાત કરી છે.

મિડલ ઇસ્ટમાં વધતા તણાવ અને વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. આવા માહોલમાં રોકાણકારો સામે સવાલ એ છે કે, શું અત્યારે સોનામાં રોકાણ કરવું જોઈએ કે રાહ જોવી વધુ સારી રહેશે?

ટાટા મ્યુચ્યુઅલ ફંડે તેના તાજેતરના આઉટલૂકમાં જણાવ્યું કે, મજબૂત પાયાના પરિબળો, કેન્દ્રીય બેંકોની વધતી જતી ખરીદી અને જીઓ-પોલિટિકલ જોખમ વચ્ચે આગામી વર્ષોમાં સોનું તેમજ ચાંદી મજબૂત રહી શકે છે.

ફંડ હાઉસના જણાવ્યા અનુસાર, વર્તમાન વૈશ્વિક આર્થિક સ્થિતિ સોના અને ચાંદીના ભાવને ટેકો આપી શકે છે. આની પાછળ ઘણા પાયાના કારણો પણ કામ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, જો ભાવમાં ઘટાડો થાય છે, તો રોકાણકારો ધીમે-ધીમે ખરીદી કરવા પર વિચાર કરી શકે છે. ટાટા મ્યુચ્યુઅલ ફંડનું માનવું છે કે, લાંબાગાળા માટે પોર્ટફોલિયોમાં સોનામાં રોકાણનો માહોલ હજુ પણ અનુકૂળ રહી શકે છે.

ટાટા મ્યુચ્યુઅલ ફંડે તેની નોંધમાં જણાવ્યું હતું કે, ઐતિહાસિક તેજી બાદ ભાવમાં સુધારો (કરેક્શન) આવવો સ્વાભાવિક છે પરંતુ તેનાથી કિંમતી ધાતુઓના લાંબાગાળાના તેજીના વલણ પર કોઈ અસર પડતી નથી. સોનાને ટેકો આપનારા મૂળભૂત પરિબળો અત્યારે પણ મજબૂત બનેલા છે.

સૌથી પહેલું કારણ એ કે, વિશ્વના ઘણા હિસ્સાઓમાં દેશો વચ્ચે તણાવ યથાવત છે. આ કારણે જીઓ-પોલિટિકલ સ્થિતિ હજુ પણ અસ્થિર બનેલી છે. બીજું કારણ એ કે, સોનું રોકાણકારો માટે એક સુરક્ષિત વિકલ્પ માનવામાં આવે છે. તેથી વૈશ્વિક રોકાણ પોર્ટફોલિયોમાં તેની મહત્વની ભૂમિકા જળવાઈ રહી છે. રોકાણકારો આર્થિક અનિશ્ચિતતાના સમયે તેનો ઉપયોગ સુરક્ષાના સાધન તરીકે કરે છે.

ત્રીજું કારણ એ કે, વધતી જતી રાજકોષીય ખાધ (Fiscal deficit) અને ડી-ડૉલરાઇઝેશનના વલણો વચ્ચે ચલણને લઈને અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. જો કે, ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો અને અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કાપની શક્યતા ઓછી હોવાથી ડૉલરમાં મજબૂતીના સંકેતો પણ દેખાઈ રહ્યા છે.

ચોથું કારણ એ કે, સપ્લાયમાં અવરોધોને કારણે બજારમાં નવા સોનાની ઉપલબ્ધતા મર્યાદિત રહી છે. પાંચમું કારણ એ છે કે, વિશ્વના ઘણા દેશો પોતાના વિદેશી મુદ્રા ભંડારને ફક્ત ફિએટ કરન્સી (Fiat currencies) પર નિર્ભર રાખવા માંગતા નથી. આથી કેન્દ્રીય બેંકો પોતાના ભંડારમાં સોનાનું પ્રમાણ વધારી રહી છે. આ જ કારણસર છેલ્લા 10 વર્ષમાં વિશ્વભરની કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ખરીદી લગભગ બમણી થઈ ગઈ છે.

રિપોર્ટ અનુસાર, ગોલ્ડ-સિલ્વર રેશિયો તાજેતરના વર્ષોના તેના સૌથી નીચલા સ્તરે પહોંચ્યા બાદ સારી રિકવરી દર્શાવી રહ્યો છે. આ રેશિયો વધીને 56 સુધી પહોંચી ગયો છે, જે ચાંદીની સરખામણીમાં સોનાના ચડિયાતા પ્રદર્શનનો સંકેત આપે છે. વર્તમાન સ્તરેથી આ રેશિયો ફરીથી સરેરાશ સ્તર (mean reversion) તરફ વધતા 70-72 ની રેન્જ સુધી જઈ શકે છે. આનું મુખ્ય કારણ જીઓ-પોલિટિકલ અને વ્યાપારી તણાવ વચ્ચે સોનાની માંગમાં થયેલો વધારો માનવામાં આવે છે.

ટૂંકમાં જ્યારે જીઓ-પોલિટિકલ તણાવ અથવા નાણાકીય અનિશ્ચિતતા વધે છે, ત્યારે સોનું સામાન્ય રીતે વધુ સારું પ્રદર્શન કરે છે, જેનાથી ગોલ્ડ-સિલ્વર રેશિયો વધી જાય છે. આનાથી વિપરીત, જ્યારે ઔદ્યોગિક માંગ મજબૂત હોય છે અને અર્થતંત્રને લઈને આશાવાદ વધે છે, ત્યારે ચાંદીને વધુ ફાયદો મળે છે. આવા સમયે ગોલ્ડ-સિલ્વર રેશિયો ઘટી જાય છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
આ પણ વાંચો: બજારમાં કડાકો છતાં અદાણીના શેરોમાં તેજી! શું રિલાયન્સની જેમ જ કોઈ ‘ગુડ ન્યૂઝ’ બહાર આવશે?
