Breaking News: ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજુ સેમસનનો મોટો નિર્ણય, અચાનક ટૂર્નામેન્ટમાંથી ખસી ગયો
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજુ સેમસને એક એવો નિર્ણય લીધો છે, જેણે ક્રિકેટ ચાહકોને ચોંકાવી દીધા છે. વ્યક્તિગત કારણોસર તેણે એક મોટી ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પરત ખેંચી લીધું છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે, જ્યારે તે ભારતીય ટીમમાં વાપસીની રાહ જોઈ રહ્યો છે.

ભારતીય વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસને કેરળ ક્રિકેટ લીગ (KCL) 2026 માંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. વ્યક્તિગત કારણોસર તેણે આ સિઝનમાં ભાગ નહીં લેવાની જાણકારી લીગના આયોજકો અને પોતાની ફ્રેન્ચાઈઝી કોચી બ્લુ ટાઈગર્સને આપી છે.

ગયા વર્ષે કોચી બ્લુ ટાઈગર્સે સંજુ સેમસનને ₹26.80 લાખમાં ખરીદ્યો હતો, જેના કારણે તે KCL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. KCL 2025માં તેણે માત્ર પાંચ ઈનિંગમાં 368 રન ફટકારીને પોતાની બેટિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

એક અહેવાલ મુજબ, KCL ગવર્નિંગ કાઉન્સિલના ચેરમેન નજર માચને જણાવ્યું કે સંજુએ અગાઉથી જ ટૂર્નામેન્ટમાં નહીં રમવાનો નિર્ણય જણાવી દીધો હતો. ત્યારબાદ કોચી બ્લુ ટાઈગર્સે તેને પોતાની ટીમમાંથી મુક્ત કર્યો હતો. KCL 2026ની શરૂઆત 20 ઓગસ્ટથી થશે અને ફાઈનલ 5 સપ્ટેમ્બરે રમાશે.

બીજી તરફ સંજુ સેમસન હાલમાં પોતાના ખરાબ ફોર્મને કારણે ટીકાનો સામનો કરી રહ્યો છે. આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની છેલ્લી ત્રણ ઈનિંગમાં તે કુલ છ રન જ બનાવી શક્યો હતો. આ પ્રદર્શન બાદ તેને ઈંગ્લેન્ડ સામેની ત્રીજી T20માંથી બહાર કરવામાં આવ્યો હતો.

જોકે, ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે સ્પષ્ટ કર્યું છે કે સંજુની બાદબાકી કાયમી નથી. ટીમ મેનેજમેન્ટ હજુ પણ તેના પર વિશ્વાસ રાખે છે અને એવી શક્યતા છે કે બ્રિસ્ટલમાં રમાનારી ચોથી T20 મેચમાં તેને ફરીથી પ્લેઇંગ ઇલેવનમાં તક મળી શકે. (PC:PTI/X)
