આટલા દેશોમાં કોરોનાનો ‘પગપેસારો’, જાણો ભારતના કયા રાજ્યમાં કેટલા કેસ નોંધાયા
કોરોના વાયરસનો નવો વેરિયન્ટ JN-1, વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. COVID-19ના આગમને વિશ્વમાં લોકોની ચિંતા વધારી છે. ખાસ કરીને એવા દેશોમાં કે જ્યાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં મુસાફરી કરે છે.

કોરોના વાયરસ JN-1 વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. હોંગકોંગ, થાઇલેન્ડ અને સિંગાપોરમાં કોવિડ-19નો એક નવો વેરિયન્ટ સામે આવ્યો છે પરંતુ ત્યાં આગળ હાલમાં કોઈ પ્રતિબંધ કે લોકડાઉન જેવી પરિસ્થિતિ સર્જાઈ નથી. તો ચાલો જાણીએ કે, કોવિડના આ નવા વેરિયન્ટે કયા કયા પગપેસારો કર્યો.

ચીન: ગયા અઠવાડિયાથી ચીનમાં કોરોનાના કેસ બમણા થઈ ગયા છે. ચીનના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર કોરોનાના કેસ ગયા ઉનાળાના આંકડા કરતાં વધી ગયા છે.

થાઈલેન્ડ: પ્રવાસીઓની પહેલી પસંદગી થાઈલેન્ડ છે. જો કે, આ વખતે થાઇલેન્ડમાં પણ કોરોનાના કેસ વધ્યા છે. સોંગક્રાન ફેસ્ટિવલ પછી ત્યાં બે મુખ્ય વિસ્તારોમાં કોવિડના કેસ નોંધાયા છે. જણાવી દઈએ કે, રજાઓના દિવસે મોટી સંખ્યામાં ભારતીયો થાઇલેન્ડ ફરવા જાય છે.

હોંગકોંગ: હોંગકોંગમાં કોવિડ પોઝિટિવિટી દર 1.7 થી વધીને 11.4 ટકા થયો છે. અહીં કોરોનાને કારણે 30 લોકોના મોત થયા છે જેમાં મોટાભાગના લોકો વૃદ્ધ છે. ચીન પ્રશાસિત હોંગકોંગમાં કોરોનાને કારણે થયેલા આટલા મોત એક ચિંતાજનક વિષય બન્યો છે.

સિંગાપોર: એક અઠવાડિયામાં કોરોના વાયરસના કેસ વધીને લગભગ 14,200 થઈ ગયા છે. અહીં આશરે 100 થી 133 જેટલા કેસ વધી રહ્યા છે. કોરોનાના 'LF.7' અને 'NB.1.8' જેવા નવા વાયરસ અહીં ફેલાઈ રહ્યા છે.

ભારતમાં કોરોનાના કેટલા કેસ: ભારતમાં 2025માં કોરોનાના 257 કેસ મળી આવ્યા છે. આ કેસ ઓરિસ્સા, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, કેરળ અને ગુજરાત જેવા રાજ્યમાંથી મળી આવ્યા છે. જો કે, સારી વાત એ છે કે દર્દીઓમાં કોરોનાના કોઈ ગંભીર લક્ષણો ફેલાયા નથી.

ફરીદાબાદ-ગુરુગ્રામમાં પણ કોરોનાના 3 નવા કેસ નોંધાયા છે. આ સિવાય મહારાષ્ટ્રમાં 26 અને ગુજરાતમાં 15 નવા દર્દીઓ મળી આવ્યા છે. જણાવી દઈએ કે, કોરોનાનો નવો વેરિયન્ટ JN-1 વધારે જોખમી સાબિત થયો નથી.

ગુરુગ્રામમાં મુંબઈથી પરત આવેલી 31 વર્ષીય મહિલા કોરોના વાયરસથી ચેપગ્રસ્ત મળી આવી હતી. તદુપરાંત 62 વર્ષના એક વડીલમાં પણ કોરોનાનો નવો વેરિયન્ટ જોવા મળ્યો છે. હાલ બંને દર્દીઓને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. ફરીદાબાદમાં એક સિક્યોરિટી ગાર્ડ પણ કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાતમાં ઓમિક્રોન વેરિઅન્ટના 15 નવા કોવિડ કેસ મળી આવ્યા છે. આમાંથી અમદાવાદમાં 13 અને રાજકોટમાં એક કેસ નોંધાયો છે. ગુજરાત આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, સિંગાપોર, થાઈલેન્ડ અને ચીન જેવા દેશોમાં કેસોમાં વધારો જોવા મળ્યો છે, જેના પગલે આવા કેટલાક દર્દીઓ ભારતમાં પણ મળી આવ્યા છે. જો કે તમામ દર્દીઓની હાલત હાલ સામાન્ય છે. જાન્યુઆરીથી મહારાષ્ટ્રમાં 132 કેસ નોંધાયા છે, જ્યારે 126 દર્દીઓ મુંબઈના છે.
કોવિડ-19, જેને કોરોના વાયરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક ચેપી વાયરલ રોગ છે. આ વાયરસ 2019માં ચીનના વુહાનમાં પહેલીવાર જોવા મળ્યો હતો. હવે ફરી વિદેશમાં હાહાકાર મચાવી રહ્યો છે. કોરોનાના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
