ગુજરાતમાં નવા 10 હજારથી વધુ નંદઘર બનાવાશે, 9000 આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક પત્ર એનાયત કરાયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની આંગણવાડીઓમાં નવી નિમણૂક મેળવી રહેલી 9,000થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનિષાબેન વકીલની પ્રેરક ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે નિમણૂક પત્ર એનાયત કર્યા હતા. રાજ્યભરમાં આ નિમણૂક પત્ર વિતરણના ઝોન વાઈઝ યોજાયેલા કાર્યક્રમોમાં મંત્રીઓ અને પદાધિકારીઓએ નિમણૂક પત્ર એનાયત કર્યા હતા અને સૌએ ગાંધીનગરમાં યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમનું પ્રસારણ નિહાળ્યું હતું.

મુખ્યમંત્રીએ નવનિયુક્ત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, આંગણવાડી એ બાળકના ઘડતરનું પ્રથમ પગથિયું છે. દેશના ભવિષ્ય સમાન નાના ભૂલકાઓના સમૃદ્ધ વિકાસની અતિમહત્વપૂર્ણ જવાબદારી સૌ આંગણવાડીની બહેનોએ નિભાવવાની છે.

એક સમયે જૂના-પુરાણા મકાનો, પંચાયત ઘરો અને મંદિરોમાં ચાલતા બાળમંદિરોની સ્થિતિ બદલવા માટેનું વિઝન આપીને નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં સંપૂર્ણ સુવિધાયુક્ત આંગણવાડી-નંદઘરના નિર્માણ કરાવ્યા છે. તેના પરિણામે આજે રાજ્યમાં 53,000થી વધુ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે તેમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ વધુ 170 જેટલા નવા આંગણવાડી કેન્દ્રોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત આ સમારોહમાં કરતાં આવનારા વર્ષોમાં નવા 10 હજારથી વધુ નંદઘરો બનાવવાના રાજ્ય સરકારના આયોજનની વિગતો આપી હતી.

રાજ્ય સરકારે આદિજાતિ વિસ્તારોના બાળકો માટે દૂધ સંજીવની યોજના હેઠળ ફોર્ટીફાઈડ ફ્લેવર્ડ દૂધ ઉપરાંત સગર્ભા માતાઓને પ્રોટીનયુક્ત આહાર પૂરો પાડવા માટેની પોષણ સુધા યોજના, ટેક હોમ રાશન અને મુખ્યમંત્રી માતૃશક્તિ જેવી કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે

આંગણવાડીથી લઈને પ્રાથમિક શાળાના 41 લાખથી વધુ બાળકો માટે 'મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના' પણ શરૂ કરવામાં આવી છે, તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

બાળ વિકાસ મંત્રી ડૉ. મનિષાબેન વકીલે રાજ્યની આંગણવાડીઓમાં નિમણૂક મેળવનાર તમામ બહેનોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, તમે આજથી સરકારી સેવામાં નહીં પરંતુ બાળકોના ભવિષ્યને વધુ સશક્ત બનાવવાના મિશનમાં જોડાયા છો.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો