ધોરાજીથી ચોખલિયા સુધીના માર્ગની બિસ્માર હાલત પર સવાલ પૂછતા અકળાયા ધારાસભ્ય, કહ્યુ ‘હું કંઈ તમારો પટાવાળો નથી’- જુઓ વીડિયો
રાજકોટના ધોરાજીથી ચોખલિયા સુધીન રોડ અત્યંત બિસ્માર હાલતમાં છે. અનેકવાર આ અંગે રજૂઆત કરવા છતા રોડની સ્થિતિમાં કોઈ સુધાર ન થતા આખરે એક ગ્રામજને ધારાસભ્યને લગાવી દીધો ફોન અને રોડની કામગીરી અંગે સવાલોનો મારો ચલાવ્યો તો ધારાસભ્ય રીતસરના અકળાઈ ગયા.
રાજકોટના ધોરાજીથી ચોખલિયા સુધીના માર્ગ છેલ્લા લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે અને ગામલોકોને પારાવાર હાલાકી ભોગવવી પડી છે. તંત્ર સહિત ધારાસભ્યને અનેકવાર રજૂઆત કરવા છતા રોડની સ્થિતિમાં આજ દિન સુધી કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. રોડની કામગીરીની પૃચ્છા કરવા માટે ચોખલિયા ગામના સ્થાનિકે આખરે ધોરાજીના ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાને ફોન જોડ્યો અને રોડની કામગીરી વિશે સવાલ કર્યા.
ગ્રામજન અને ધારાસભ્ય વચ્ચે થયેલી વાતચીતના અંશો
- ગ્રામજન: ટેન્ડર પાસ થયું એના અમુક દિવસમાં કામ શરૂ થવું જોઇએ એવું અમને ખબર પડે છે
- ધારાસભ્ય: ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે, નેગોશિએશનની વિધિ સરકારમાં ચાલે છે, પતશે એટલે કામ ચાલુ થશે
- ગ્રામજન: ચૂંટણીની તારીખ જાહેર થઇ શકે તો પછી શું થશે
- ધારાસભ્ય: જુઓ એક એક વસ્તુનો મારે તમને રિપોર્ટ ન આપવાનો હોય, હું કંઇ તમારો પટાવાળો નથી
- ગ્રામજન: અમે તમને ક્યાં કહીએ છીએ કે તમે પટાવાળા છો
- ધારાસભ્ય: તમે તો એવી વાત કરો છો, પૂછો બધા કાર્યકરોને
- ગ્રામજન:મે બધા કાર્યકરોને મળી લીધુ, બધાને પૂછી લીધુ
- ધારાસભ્ય: ભાઇ તમારા કામ માટે હું માથાકૂટ કરૂ છું
- ગ્રામજન: કાર્યકરો જ કોઇ જવાબ નથી આપતા, એવું કે છે કે અમને જ નથી ખબર ક્યારે રોડનું કામ શરૂ થશે
- ધારાસભ્ય: કાર્યકરોને ખબર છે કે હું જ માથાકૂટ કરૂ છું, ક્યારે ચાલુ થશે એ તો મને પણ નથી ખબર
બે સવાલથી અકળાઈ ગયા ધારાસભ્ય પાડલિયા
આ વાતચીતમાં ચોખલિયા ગામના ગ્રામજને માત્ર ધારાસભ્યને રોડની કામગીરી ક્યારે શરૂ થશે તે અંગે પૃચ્છા કરતા જોઈ શકાય છે અને બે સવાલમાં તો ધારાસભ્ય અકળાઈ જાય છે અને એમને જાણે જવાબ આપવામાં પણ જોર પડતુ હોય તેમ ઉડાઉ જવાબો આપે છે. અહીં સવાલ એ છે કે માત્ર રોડની કામગીરી અંગેના બે સવાલથી આ માનનીય અકળાઈ જાય છે તો રોજેરોજ બિસ્માર ખખડધજ રસ્તા પરથી પસાર થનારા ગામલોકો કેટલા અકળાતા હશે તેનો વિચાર શું ધારાસભ્ય પાડલિયાએ કર્યો છે ક્યારેય ?
દેશના છેવાડાના માનવી સુધી વિકાસના લાભ પહોંચાડવાની મોટી મોટી ગુલબાંગો પોકારવામાં આવે છે પરંતુ શહેરના રસ્તાઓ જેવી જ સુવિધા ગામડાના લોકોને મળતી નથી. અનેક એવા ગામો છે જે અન્ય સુવિધાઓ તો છોડો સારા રસ્તાની સુવિધાથી પણ વંચિત છે અને જનતાના પ્રતિનિધિ, જેમને ચૂંટીને વિધાનસભામાં મોકલ્યા છે, જે તેમની સમસ્યાને વાચા આપે, તેમના વતી અવાજ ઉઠાવે એ પ્રતિનિધિ જ ધારાસભ્ય બની ગયા બાદ જનતાના જવાબ આપવામાં અકળાઈ જાય છે અને ઉડાઉ જવાબો આપે છે. આમા બાપડી જનતા કોને તેની સમસ્યા જણાવે !
Input Credit- Hussain Kureshi- Dhoraji
આ પણ વાંચો: ભાવનગર: વલભીપુરના પાટણા રાજગઢને જોડતો રોડ ગેરંટી પિરીયડમાં જ ખખડી ગયો, લોકો ત્રાહિમામ- Video