શું તમે જાણો છો કે મૃત્યુ પછી વ્યક્તિના નાક અને કાનમાં રૂ કેમ મૂકવામાં આવે છે?
આપણે ઘણીવાર શવના નાક-કાનમાં રૂ મૂકતા જોઈએ છીએ. ઘણા લોકો તેને માત્ર અંધશ્રદ્ધા માને છે, પરંતુ તેની પાછળ વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણો છુપાયેલા છે.

મૃત્યુ એ જીવનનું એક અટલ સત્ય છે, જેમાંથી દરેક વ્યક્તિએ એકને એક દિવસ પસાર થવું જ પડે છે. જ્યારે કોઈ વ્યક્તિનું અવસાન થાય છે, ત્યારે તમે અવારનવાર જોયું હશે કે અંતિમ સંસ્કાર પહેલાં મૃતદેહના નાક, કાન અને ક્યારેક મોઢામાં પણ રૂ મૂકવામાં આવે છે. આપણામાંથી ઘણા લોકો તેને માત્ર એક જૂની પરંપરા કે અંધશ્રદ્ધા માને છે, પરંતુ વાસ્તવમાં આ પ્રક્રિયા પાછળ કેટલાક મહત્વના વૈજ્ઞાનિક, તબીબી અને વ્યાવહારિક કારણો જવાબદાર છે.

મૃત્યુ પછી શરીરમાં શું બદલાવ થાય છે? વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો, મૃત્યુના થોડા કલાકો પછી જ માનવ શરીરમાં ઘણા પ્રકારના જૈવિક ફેરફારો શરૂ થઈ જાય છે. શ્વાસ બંધ થવાની સાથે જ શરીરની પાચન પ્રણાલીમાં રહેલી વસ્તુઓમાંથી મિથેન અને હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા વિવિધ વાયુઓ (Gases) બનવાનું શરૂ થાય છે. આ વાયુઓનું બહાર નીકળવું શરીર અને આસપાસના વાતાવરણ માટે નુકસાનકારક હોઈ શકે છે.

રૂ લગાવવાનું વૈજ્ઞાનિક કારણ: હિમાચલ પ્રદેશ યુનિવર્સિટી (શિમલા) ના ફોરેન્સિક સાયન્સ વિભાગના જુનિયર રિસર્ચ ફેલો ભાવેશ માલીના જણાવ્યા અનુસાર, મૃત્યુ પછી શરીરની અંદરના સ્નાયુઓ શિથિલ થઈ જાય છે અને કેટલાક પ્રવાહી પદાર્થો (Purge fluids) બને છે. આ દુર્ગંધયુક્ત પ્રવાહી નાક કે મોઢા વાટે બહાર નીકળી શકે છે, જેના કારણે બેક્ટેરિયા ખૂબ ઝડપથી ફેલાય છે અને શરીરમાં સોજો (Swelling) આવવા લાગે છે.

જ્યારે નાક અને કાનમાં રૂ મૂકવામાં આવે છે, ત્યારે: શરીરની અંદર બનતા વાયુઓ અને પ્રવાહી બહાર નીકળતા અટકે છે. બહારની હવા નાક-કાન વાટે અંદર જઈ શકતી નથી, જેથી શરીર ફૂલી જતું નથી. દુર્ગંધ ફેલાતી અટકે છે અને શવ પર બેસતી માખીઓ, કીડા કે અન્ય ચેપ (Infection) થી લાશ સુરક્ષિત રહે છે. આ પદ્ધતિ માત્ર ભારતમાં જ નહીં, પણ વિશ્વભરમાં અંતિમ સંસ્કારની તૈયારીઓમાં વપરાય છે.

ધાર્મિક અને પૌરાણિક મહત્વ: વૈજ્ઞાનિક કારણો ઉપરાંત હિન્દુ ધર્મમાં તેનું અલગ ધાર્મિક મહત્વ પણ છે. ગરુડ પુરાણ અને અન્ય ધાર્મિક ગ્રંથો અનુસાર, મૃત્યુ પછી શરીરના તમામ ખુલ્લા દ્વારોને બંધ કરવામાં આવે છે. પ્રાચીન સમયમાં આ સ્થાનો પર સોનાના કણો રાખવાની પરંપરા હતી, પરંતુ હવે તેના બદલે રૂ અથવા તુલસીના પાનનો ઉપયોગ થાય છે. તુલસીના પાન મૂકવા પાછળ એવી માન્યતા છે કે તે સૂક્ષ્મ વાયુઓને શુદ્ધ કરે છે અને આસપાસના વાતાવરણને પવિત્ર રાખવામાં મદદ કરે છે.
મચ્છર ભગાડવાનું લિક્વિડ બાળકો માટે કેટલું સુરક્ષિત? એક્સપર્ટ્સે આપી ચેતવણી
