Travel with tv9 : ઉનાળાની રજાઓમાં મિત્રો સાથે બનાવો ફરવાનો પ્લાન, જૂનાગઢના આ સ્થળોની મુલાકાત લેવાનું ભૂલતા નહીં
ઉનાળાની રજાઓમાં મોટાભાગના લોકો ફરવા જવાનો પ્લાન કરતા હોય છે. કેટલાક લોકો પરિવાર સાથે ટ્રીપ પ્લાન કરતા હોય છે. તો કેટલાક લોકો મિત્રો સાથે ફરવા જવાનું વિચારતા હોય છે. તમે જૂનાગઢના આ સ્થળોની મુલાકાત લઈ શકો છો.

ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં આવેલું જુનાગઢ, ઇતિહાસ, સંસ્કૃતિ અને પ્રકૃતિનું મિશ્રણ છે. જેમાં એક જ દિવસમાં કેટલાક સ્થળોની મુલાકાત લઈ શકો છો. તમે જૂનાગઢ ટ્રેન, બસ અથવા કાર દ્વારા જઈ શકો છો. જો તમે જૂનાગઢમાં રાત્રિ રોકાણ કરવા માગતા હોવ તો પણ તમે કરી શકો છો.

જૂનાગઢના સૌથી પ્રસિદ્ધ સ્થળોમાંનું એક ગિરનાર પર્વતની મુલાકાત લઈ શકો છો. ગિરનાર પર્વત પર અંબાજી મંદિર સહિત આવેલા અનેક મંદિરોના દર્શન કરી શકો છો. આ પર્વત પર ચઢવા માટે 10,000 હજાર પગથિયાં ચઢવા પડે છે.

તમે જૂનાગઢમાં આવેલા કિલ્લાને પણ નિહાળી શકો છો. મૌર્ય કાળ દરમિયાન બાંધવામાં આવેલ ઐતિહાસિક કિલ્લો, ઉપરકોટ કિલ્લાની મુલાકાત લઈ શકો છો. કિલ્લામાં પ્રાચીન મહેલો, મસ્જિદો અને વાવ સહિત અનેક મહત્વપૂર્ણ બાંધકામો આવેલા છે.

ત્યારબાદ તમે નવાબ મહાબત ખાનને સમર્પિત કરવામાં આવેલા મકબરાની મુલાકાત લઈ શકો છો. આ રચના ઇસ્લામિક, હિન્દુ અને ગોથિક સ્થાપત્ય શૈલીઓનું મિશ્રણ છે, જે તેને જૂનાગઢના સૌથી આકર્ષક સ્મારકોમાંનું એક બનાવે છે.

ગિરનારની તળેટીમાં આવેલી બૌદ્ધ ગુફાઓની મુલાકાત પણ તમે લઈ શકો છો. આ પ્રાચીન ગુફાઓ ત્રીજી સદી બીસીઇની છે અને એક મહત્વપૂર્ણ પુરાતત્વીય સ્થળ છે. ગુફાઓમાં શિલાલેખ અને કોતરણી છે જે આ પ્રદેશમાં બૌદ્ધ પ્રભાવને પ્રતિબિંબિત કરે છે.

જૂનાગઢમાં નરસિંહ મહેતા ગાર્ડન પાસે રોકાઈ શકો છો. આ બગીચો પ્રખ્યાત ગુજરાતી કવિ, નરસિંહ મહેતાને સમર્પિત છે, અને મનોહર દૃશ્યો સાથે આરામદાયક અને શાંત વાતાવરણ જોવા મળે છે.
Tv9 ગુજરાતી પર તમે ઓછા ખર્ચમાં દેશ અને વિદેશના ક્યાં સ્થળોની મુલાકાત લઈ શકો છો તેની માહિતી આપવામાં આવે છે. જેની જાણકારી મેળવવા માટે Travel With Tv9ની સિરિઝ વાંચી શકો છો. આ સિરિઝ અંતર્ગત નિયમિત એક સ્ટોરી પ્રકાશિત કરવામાં આવે છે.
