Rajkot: ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણના કામમાં લાગ્યા ભ્રષ્ટાચારના આરોપ, વિજિલન્સ તપાસની ઉઠી માગ
રાજકોટના ધોરાજીમાં સ્મશાનના 81 લાખના નવિનીકરણમાં ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાના મટીરીયલના ઉપયોગના ગંભીર આરોપ લાગ્યા છે. ટેન્ડર શરતોના ભંગ અને હલકી ગુણવત્તાવાળા કામની સ્થાનિકો અને કોંગ્રેસે ફરિયાદ કરી છે. ભાજપના આગેવાને પણ ગેરરીતિ સ્વીકારી મુખ્યમંત્રીને વિજિલન્સ તપાસ માટે રજૂઆત કરી છે, જેથી મામલો ગરમાયો છે.
રાજકોટના ધોરાજીમાં ભ્રષ્ટાચારીઓએ હવે સ્મશાનને પણ ભ્રષ્ટાચાર કરવામાંથી બાકાત નથી રાખ્યું. ધોરાજી નગરપાલિકા સંચાલિત સ્મશાનના નવીનીકરણ માટે રાજ્ય સરકારે 81 લાખની ગ્રાન્ટ ફાળવી હતી. તે અંતર્ગત પેવર બ્લોક, કમ્પાઉન્ડ વોલ, RCC તેમજ લાઈટિંગ સહિતના કાર્યો હાથ ધરાયા હતા. પરંતુ, આ કામોમાં ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાના મટીરીયલના ઉપયોગના ગંભીર આરોપ લાગ્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે, સ્મશાનના નવીનીકરણનું કાર્ય ટેન્ડરની શરતો મુજબ નથી કરાયું. તેમજ સિમેન્ટ, રેતી તેમજ કપચી જેવી સામગ્રી હલકી ગુણવત્તાની વપરાઈ છે.
સ્થાનિકોની સાથે કોંગ્રેસે તો નબળી કામગીરી પર સવાલ ઉઠાવ્યા. પરંતુ, ધોરાજી ભાજપના આગેવાન જયસુખ ઠેસીયાએ પણ વિકાસ કાર્યોમાં ગેરરીતિ થયાની વાત સ્વીકારી અને જણાવ્યું કે, પાલિકા સભ્યો અને સ્થાનિક આગેવાનો દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી વિજિલન્સ તપાસની માગ કરાઈ છે.
ભાજપના આગેવાન દ્વારા જ વિકાસના કામોમાં ગેરરીતિની કબૂલાત થતા સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો છે. તો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ પાલિકાના શાસક પક્ષ સામે આક્ષેપો કરતા જણાવ્યું કે, ધોરાજીમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કામોમાં વ્યાપક ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર થયો છે. તેની ઉચ્ચસ્તરીય તપાસની માગ કરી છે.
ધોરાજીના સ્મશાનના નવીનીકરણમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ મામલે સ્થાનિક રાજકારણ ગરમાયું છે. ત્યારે હવે જોવું રહ્યું કે, રાજ્ય સરકાર અને તપાસ એજન્સીઓ કાર્યવાહી કરે છે કે પછી કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓને છાવરવામાં આવે છે.