Breaking News: નીતિશ રેડ્ડી બહાર થતા આ યુવા સ્ટારની લાગી લોટરી, આયર્લેન્ડ-ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં થયો સમાવેશ
ભારતના આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા ટીમમાં મોટો ફેરફાર થયો છે. અફઘાનિસ્તાન સામેની શ્રેણી દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા નીતિશ કુમાર રેડ્ડી હવે બંને પ્રવાસમાંથી બહાર થઈ ગયા છે. તેમની જગ્યાએ એક એવા યુવા ઓલરાઉન્ડરને તક મળી છે, જેણે તાજેતરમાં ઈન્ડિયા A માટે શાનદાર પ્રદર્શન કરીને પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું હતું.

ભારતના આયર્લેન્ડ પ્રવાસની શરૂઆત પહેલા જ BCCI એ નીતિશ કુમાર રેડ્ડીના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી દીધી છે. શ્રીલંકા પ્રવાસ દરમિયાન ઈન્ડિયા A સાથે રમાયેલી ત્રિકોણીય શ્રેણીમાં ધમાલ મચાવનાર સૂર્યાંશ શેડગેને નીતિશ કુમાર રેડ્ડીના સ્થાને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે.

સૂર્યાંશ શેડગે પણ નીતિશ કુમાર રેડ્ડીની જેમ ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર છે. આયર્લેન્ડ પ્રવાસ ઉપરાંત સૂર્યાંશ શેડગે ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન રમાનારી સફેદ બોલ શ્રેણી માટે પણ ટીમ ઈન્ડિયામાં રહેશે. આનો અર્થ એ થયો કે આયર્લેન્ડમાં T20 શ્રેણી પછી નીતિશ કુમાર રેડ્ડી ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન સફેદ બોલ શ્રેણીમાં પણ નહીં રમે.

ઓલરાઉન્ડર સૂર્યાંશ શેડગે તાજેતરમાં શ્રીલંકામાં ત્રિકોણીય શ્રેણી જીતનારી ઈન્ડિયા A ટીમનો ભાગ હતો. તેણે પાંચ મેચમાં 147 રન બનાવ્યા હતા, જેમાં છ છગ્ગા અને છ ચોગ્ગાનો સમાવેશ થાય છે. તેનો શ્રેષ્ઠ સ્કોર 72 રન હતો. બેટિંગ ઉપરાંત શેડગેએ શ્રેણીમાં બે વિકેટ પણ લીધી હતી.

BCCIએ એક નિવેદનમાં નીતીશ કુમાર રેડ્ડીની ઈજા અને તેના સ્થાને સૂર્યાંશ શેડગેના સમાવેશની જાહેરાત કરી હતી. BCCIએ જણાવ્યું હતું કે નીતીશને અફઘાનિસ્તાન સામેની ત્રીજી T20I માં ઈજા થઈ હતી અને તે રિહેબિલિટેશનમાંથી પસાર થશે. નીતીશ આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસમાંથી બહાર રહેશે. હવે સૂર્યાંશ શેડગે ભારતીય ટીમમાં તેનું સ્થાન લેશે.

સૂર્યાંશ શેડગે મુંબઈ માટે ઘરેલુ ક્રિકેટ રમે છે. તેણે સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીમાં મિડલ ઓર્ડરમાં રમતા 252.92 ના સ્ટ્રાઈક રેટથી 131 રન બનાવ્યા હતા. સૂર્યાંશ IPL 2026 દરમિયાન પણ હેડલાઈન્સમાં રહ્યો હતો, જ્યાં તેણે પંજાબ કિંગ્સ માટે સાત મેચ રમી હતી અને 175 થી વધુના સ્ટ્રાઈક રેટથી 158 રન બનાવ્યા હતા, જેમાં 12 છગ્ગાનો સમાવેશ થાય છે. (PC:PTI/X/BCCI)
Breaking News: વિરાટ કોહલીએ ફિટનેસ ટેસ્ટ કર્યો પાસ, હવે ઈંગ્લેન્ડમાં 15 વર્ષનો દુકાળ થશે સમાપ્ત?
