ITR ફાઇલ કરતી વખતે ન કરો આ નાની ભૂલો, નહીં તો અટકી જશે ‘રિફંડ’ અને આવી શકે છે ‘ટેક્સ નોટિસ’
પગારદાર વર્ગ માટે હવે આઈટીઆર (ITR) ભરવું ઘણું સરળ બની ગયું છે. જો કે, તેમ છતાંય દર વર્ષે કરદાતાઓ જાણે-અજાણ્યે એવી નાની ભૂલો કરી બેસે છે કે, જેને લીધે પાછળથી મુશ્કેલી ઊભી થાય છે.

પગારદાર વર્ગના મોટાભાગના લોકો માટે હવે આઈટીઆર (ITR) ભરવું પહેલા કરતાં ઘણું સરળ બની ગયું છે. ફોર્મ 16 (Form 16), ફોર્મ 26AS (Form 26AS) અને પહેલેથી ભરેલી વિગતોના કારણે આખી પ્રક્રિયા ડિજિટલ થઈ ચૂકી છે. જો કે, તેમ છતાંય દર વર્ષે ઘણા ટેક્સપેયર્સ (કરદાતાઓ) કેટલીક ભૂલો કરી બેસે છે. આ ભૂલોના કારણે રિફંડ અટકી જાય છે, વધારાનો ટેક્સ ચૂકવવો પડે છે અથવા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ (આવકવેરા વિભાગ) ની નોટિસ આવી જાય છે.

ઘણા લોકો એવું માની લે છે કે, ફોર્મ 16 માં ITR માટે જરૂરી બધી જ માહિતી હોય છે પરંતુ એવું નથી હોતું. આમાં ફક્ત સેલેરી (પગાર) અને કંપની તરફથી કાપવામાં આવેલ ટીડીએસ (TDS) જ દેખાય છે. જો તમને બેંક વ્યાજ, એફડી (FD), આરડી (RD), ડિવિડન્ડ, ભાડું, કેપિટલ ગેઈન, ફ્રીલાન્સિંગ કે અન્ય કોઈ સ્ત્રોતમાંથી કમાણી થઈ હોય, તો તે ફોર્મ 16 માં જોવા મળશે નહીં. આવી આવક દર્શાવવાની રહી જાય તો પાછળથી મુશ્કેલી ઊભી થઈ શકે છે.

ઘણા ટેક્સપેયર્સ ફોર્મ 16 ડાઉનલોડ કરે છે અને સીધું જ ITR ભરી દે છે. જો કે, આ એક બાબત પણ મોટી ભૂલ સાબિત થઈ શકે છે. ફોર્મ 26AS માં TDS, TCS અને જમા કરાયેલા ટેક્સની માહિતી હોય છે. એવામાં જ્યારે AIS માં તમારી આવક અને નાણાકીય વ્યવહારોનો ઘણો વિગતવાર રેકોર્ડ મળે છે. જો આ દસ્તાવેજો અને ITR માં તફાવત રહી જાય, તો રિફંડ પર અસર પડી શકે છે અથવા વધારાના ટેક્સની માંગ આવી શકે છે.

દરેક ટેક્સપેયર માટે એક જ સરખું ITR ફોર્મ હોતું નથી. તમારી આવકના સ્ત્રોત મુજબ ફોર્મ બદલાય છે. જો તમારી પાસે કેપિટલ ગેઈન, વિદેશી એસેટ (મિલકત), એક કરતાં વધુ મકાન કે બિઝનેસ ઇન્કમ હોય, તો અલગ ITR ફોર્મ લાગુ થઈ શકે છે. ખોટું ફોર્મ પસંદ કરવા પર રિટર્નને ડિફેક્ટિવ ગણવામાં આવી શકે છે અને પછીથી તેમાં સુધારો કરવો પડી શકે છે.

ઘણા લોકો વિચારે છે કે, કંપનીએ સેલેરીમાંથી TDS કાપી લીધો છે, એટલે તેમનો ટેક્સ પૂરો થઈ ગયો પરંતુ આ હંમેશા સાચું હોતું નથી. જો બેંક વ્યાજ, ભાડું, ડિવિડન્ડ કે રોકાણમાંથી વધારાની કમાણી થઈ હોય, તો કુલ ટેક્સની જવાબદારી વધી શકે છે. આવા કિસ્સાઓમાં એડવાન્સ ટેક્સ (Advance Tax) ચૂકવવો પડી શકે છે. જો આ સમયસર ચૂકવવામાં ન આવે, તો વ્યાજ પણ આપવું પડી શકે છે.

80C, 80D, હોમ લોન વ્યાજ કે HRA જેવી કરમુક્તિ (ડિડક્શન) નો દાવો કરતી વખતે જરૂરી દસ્તાવેજો તમારી પાસે ચોક્કસ રાખો. જો કે, ITR ની સાથે દસ્તાવેજો અપલોડ કરવાના હોતા નથી પરંતુ જરૂર પડ્યે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તેની માંગણી કરી શકે છે. ખોટો દાવો કરવા પર વધારાનો ટેક્સ અને વ્યાજ ચૂકવવું પડી શકે છે.

મોટાભાગના કિસ્સાઓમાં ટેક્સને લગતી સમસ્યાઓ કોઈ જટિલ નિયમોના કારણે નહીં પરંતુ નાની-નાની ભૂલોને લીધે ઊભી થતી હોય છે. એવામાં તમારી તમામ આવકની સાચી વિગતો આપવી, AIS અને ફોર્મ 26AS સાથે વિગતોની ચકાસણી કરવી તેમજ યોગ્ય ITR ફોર્મની પસંદગી કરવી ખૂબ જરૂરી છે. આ સાવચેતી તમને આવકવેરા વિભાગની નોટિસ, રિફંડમાં થતો વિલંબ અને વધારાના ટેક્સની મોટી માંગણીઓથી બચાવી શકે છે.
ITR ફાઇલિંગમાં આ ’10 ભૂલ’થી બચો, જો ચૂક્યા તો ખિસ્સા પર પડશે ‘ભાર’ અને આવી શકે છે ‘નોટિસ’
