શું સોના-ચાંદીની ખરીદી કરવાનો આ યોગ્ય સમય છે ? આગામી દિવસોમાં કિંમતો ‘વધશે’ કે ‘ઘટશે’? એક્સપર્ટે આપી ‘મોટી ચેતવણી’
જો તમે પણ સોના કે ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્વના છે. છેલ્લા કેટલાક સમયથી બજારમાં બંને કિંમતી ધાતુઓના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. એવામાં સવાલ એ જ છે કે, આગામી દિવસોમાં સોના-ચાંદીના ભાવ વધશે કે ઘટશે?

સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર નરમાઈ જોવા મળી શકે છે. તાજેતરમાં બંને કિંમતી ધાતુઓમાં ઘટાડા બાદ એશિયન બજારમાં થોડી ખરીદી ચોક્કસપણે પાછી ફરી છે પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે, અત્યારે તેજીનો માહોલ સંપૂર્ણપણે મજબૂત થયો નથી. બજારમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે અને રોકાણકારોની નજર હવે ડૉલરની ચાલ તેમજ આંતરરાષ્ટ્રીય બજારના સંકેતો પર ટકેલી છે.

માર્કેટ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, હાલમાં સોના અને ચાંદીમાં એક-બે મહિના સુધી દબાણનો માહોલ રહી શકે છે. આનું સૌથી મોટું કારણ અમેરિકન ડૉલરની મજબૂતી જણાવવામાં આવી રહ્યું છે. ડૉલર ઈન્ડેક્સ (Dollar Index) સતત 100 ની ઉપર કારોબાર કરી રહ્યો છે અને તેમાં આગળ 103 થી 104 ના સ્તર સુધી જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે જ્યારે ડૉલર મજબૂત થાય છે, ત્યારે સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓમાં રોકાણકારોનો રસ ઓછો થઈ શકે છે. આવી સ્થિતિમાં એક્સપર્ટની સલાહ છે કે, જો સોના કે ચાંદીમાં અચાનક તેજી આવે છે, તો તેને ખરીદીના બદલે પ્રોફિટ બુકિંગ (નફો વસૂલવા) ની તક તરીકે જોઈ શકાય છે.

એક્સપર્ટના મતે, ઘરેલું બજારમાં સોનાના ભાવમાં વધુ નરમાઈ જોવા મળી શકે છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર, 'સોનું' ફરીથી આશરે 1,43,000 રૂપિયાના સ્તર સુધી આવી શકે છે. વધુમાં આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના માટે 4,050 ડૉલરથી લઈને 4,000 ડૉલર પ્રતિ ઔંસ સુધીના સ્તર મહત્વપૂર્ણ જણાવવામાં આવી રહ્યા છે. જો કે, સોનામાં લાંબા સમય માટે રોકાણ કરનારા લોકો માટે બજારની દિશા પર નજર રાખવી જરૂરી રહેશે, કારણ કે વૈશ્વિક ઘટનાઓની અસર તેના ભાવ પર ઝડપથી પડે છે.

ચાંદીના ભાવને લઈને પણ એક્સપર્ટે સાવચેત રહેવાની સલાહ આપી છે. હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી આશરે 65 ડૉલરની આસપાસ કારોબાર કરી રહી છે પરંતુ જે સ્તરથી તેમાં તેજી શરૂ થઈ હતી, તે આશરે 50 ડૉલરનું સ્તર હતું. એક્સપર્ટનું માનવું છે કે, ચાંદી ફરીથી 57 થી 55 ડૉલરની રેન્જ સુધી આવી શકે છે. ઘરેલું બજારમાં પણ ચાંદીમાં ઘટાડો જોવા મળી શકે છે અને તે આશરે 2,20,000 રૂપિયાથી 2,15,000 રૂપિયાના સ્તર સુધી પહોંચી શકે છે.

બજારના નિષ્ણાતોનું કહેવું છે કે, વર્તમાન સમયમાં સોના અને ચાંદીમાં ઉતાવળમાં ખરીદી કરવાનું ટાળવું વધુ સારું રહેશે. જો ભાવમાં તીવ્ર ઉછાળો આવે છે, તો ત્યાં થોડું પ્રોફિટ બુકિંગ કરી શકાય છે. એકંદરે મજબૂત ડૉલર, નબળી માંગ અને વૈશ્વિક બજારના સંકેતોને કારણે આગામી સમયમાં સોના-ચાંદીમાં ઉતાર-ચઢાવ ચાલુ રહી શકે છે. રોકાણકારોએ કોઈ પણ નિર્ણય લેતા પહેલા બજારના ટ્રેન્ડ અને મુખ્ય સ્તરો પર નજર રાખવી જોઈએ.
સોનાના બજારમાં ચીને ખેલ્યો ‘મોટો દાવ…’ આ એક નિર્ણયથી વૈશ્વિક માર્કેટમાં ‘ભારે હલચલ’, રોકાણકારોની વધી ‘ચિંતા’
