Indian Railway Rule: રેલવે સ્ટેશન બ્રશ કરવું પડશે ભારે, આજે જ જાણી લો ટ્રેનમાં યાત્રાના નિયમો
ભારતીય રેલવેના નિયમો અનુસાર, પ્લેટફોર્મ પર દાંત સાફ કરવા કે વાસણ ધોવા જેવી પ્રવૃત્તિઓ ગુનો છે. રેલવે એક્ટ 1989 હેઠળ, આમ કરવાથી ગંદકી ફેલાય છે અને અન્ય મુસાફરોને અગવડ પડે છે.

Indian Railway Rule: ભારતીય રેલવે દેશના કરોડો મુસાફરો માટે સૌથી મહત્વપૂર્ણ પરિવહન વ્યવસ્થા છે. દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે, પરંતુ હજુ પણ ઘણા મુસાફરોને રેલવેના કેટલાક મહત્વપૂર્ણ નિયમોની જાણ નથી. ખાસ કરીને લાંબી મુસાફરી બાદ સ્ટેશન પર પહોંચતા જ પ્લેટફોર્મ પર દાંત સાફ કરવું અથવા વાસણ ધોવા જેવી બાબતો સામાન્ય માનવામાં આવે છે, પરંતુ રેલવે નિયમો અનુસાર આ વર્તન ગુનો ગણાય છે.

સવારના સમયે ઘણા મુસાફરો પ્લેટફોર્મ પરના નળ પાસે ભેગા થઈ દાંત સાફ કરતા અથવા વાસણો ધોતા જોવા મળે છે. કેટલાક લોકો તો ચા-નાસ્તા બાદ વાસણોની સફાઈ પણ પ્લેટફોર્મ પર જ કરે છે. જોકે, ભારતીય રેલવે દ્વારા આવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રેલવેનું માનવું છે કે આ પ્રકારની હરકતોના કારણે પ્લેટફોર્મ પર ગંદકી ફેલાય છે અને અન્ય મુસાફરોને મુશ્કેલી પડે છે.

રેલવે એક્ટ 1989 મુજબ, રેલવે પરિસરમાં નિયત કરાયેલા વિસ્તારો સિવાય દાંત સાફ કરવું, થૂંકવું, વાસણ ધોવા, કપડાં સાફ કરવું અથવા અન્ય પ્રકારની સફાઈ કરવી નિયમોના ભંગ સમાન છે. જો મુસાફરોને આવી જરૂરિયાત હોય, તો તેઓએ ફક્ત વોશરૂમ અથવા નિર્ધારિત વોશ એરિયામાં જ આ કામગીરી કરવી જોઈએ.

નિયમોનું ઉલ્લંઘન કરનાર મુસાફરો સામે રેલવે કાર્યવાહી પણ કરી શકે છે. જો કોઈ વ્યક્તિ પ્લેટફોર્મ અથવા અન્ય પ્રતિબંધિત જગ્યાએ દાંત સાફ કરતા કે વાસણો ધોતાં ઝડપાય, તો તેના પર ₹500 સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે. રેલવેનો વાણિજ્યિક વિભાગ સમયાંતરે આવા કિસ્સાઓમાં ચેકિંગ અને દંડની કાર્યવાહી કરે છે.

માત્ર દાંત સાફ કરવું જ નહીં, પરંતુ પ્લેટફોર્મ પર કચરો ફેંકવો, ખાલી જગ્યાઓમાં રેપર છોડી દેવા, ટ્રેન અથવા સ્ટેશનની દિવાલો પર લખાણ કરવું, પોસ્ટર અથવા સ્ટીકર ચોંટાડવા જેવી પ્રવૃત્તિઓ પણ નિયમોના ભંગ હેઠળ આવે છે. રેલવે દ્વારા સ્વચ્છતા જાળવવા માટે આવા કૃત્યો સામે સતત અભિયાન ચલાવવામાં આવે છે.

ટ્રેનમાં મુસાફરી કરતી વખતે મુસાફરોએ કેટલીક સામાન્ય બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પ્લેટફોર્મ પરના નળનો ઉપયોગ માત્ર પીવાના પાણી અથવા જરૂરી ઉપયોગ માટે જ કરવો જોઈએ. જાહેર સ્થળોને સ્વચ્છ રાખવી દરેક મુસાફરની જવાબદારી છે. નિયમોનું પાલન કરવાથી માત્ર દંડથી બચી શકાય છે એટલું જ નહીં, પરંતુ અન્ય મુસાફરોને પણ સ્વચ્છ અને સુવિધાજનક વાતાવરણ મળી શકે છે.
અમદાવાદથી ભાવનગરનું અંતર ઘટશે, ગુજરાતને મળશે દેશની પ્રથમ સેમી હાઈસ્પીડ રેલ
