30 વર્ષની ઉંમર પછી સ્નાયુઓની મજબૂતી અને ઊર્જા જાળવવા ખાઓ આ 7 પ્રોટીનથી ભરપૂર ખોરાક
30 વર્ષની ઉંમર પછી ઘણા લોકોને શરીરમાં થાક, નબળાઈ અને ઊર્જાની કમી અનુભવાઈ શકે છે. આવી સ્થિતિમાં રોજિંદા આહારમાં પ્રોટીનથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવાથી શરીરને જરૂરી પોષણ અને ઊર્જા જાળવવામાં મદદ મળી શકે છે.

30 વર્ષની ઉંમર પછી શરીરના સ્નાયુઓની શક્તિમાં ધીમે ધીમે ઘટાડો થવા લાગે છે. તેના કારણે સીડીઓ ચઢવામાં તકલીફ, હાથની પકડ નબળી થવી અથવા સામાન્ય કામ કરવામાં થાક લાગવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. સ્નાયુઓમાં થતો આ ઘટાડો સાર્કોપેનિયા તરીકે ઓળખાય છે. આ સ્થિતિમાં પૂરતું પ્રોટીન લેવું મહત્વપૂર્ણ બની શકે છે. પ્રોટીન શરીરના કોષોના સમારકામમાં મદદ કરે છે, સ્નાયુઓને મજબૂત રાખે છે અને શરીરને જરૂરી ઊર્જા પૂરી પાડે છે. તેથી, રોજિંદા આહારમાં પ્રોટીનથી ભરપૂર કેટલાક પૌષ્ટિક ખોરાકનો સમાવેશ કરવો લાભદાયક બની શકે છે.

કાળા ચણા પ્રોટીનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. આશરે 100 ગ્રામ કાળા ચણામાં લગભગ ૨૨ ગ્રામ પ્રોટીન મળી શકે છે. તેમાં આયર્ન પણ હોય છે, જે શરીરમાં હિમોગ્લોબિનના સ્તરને જાળવવામાં મદદરૂપ થાય છે. ચણાને વધુ સરળતાથી પચાવવા માટે લગભગ 50 ગ્રામ ચણાને રાત્રે પાણીમાં પલાળી રાખી શકાય અને બીજા દિવસે સવારે તેને બાફીને ખાઈ શકાય.

ઈંડા પોષક તત્વોથી ભરપૂર હોવાથી તેને પ્રોટીનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. તેમાં શરીર માટે જરૂરી વિવિધ એમિનો એસિડ મળી આવે છે, જે સ્નાયુઓની જાળવણી અને મજબૂતીમાં મદદરૂપ થાય છે. સાથે જ, ઈંડાનું સેવન શરીરને જરૂરી ઊર્જા મેળવવામાં પણ મદદ કરી શકે છે.

જો પાચનતંત્ર નબળું હોય અથવા ખોરાક પચવામાં તકલીફ થતી હોય, તો મગની દાળ એક સારો વિકલ્પ બની શકે છે. 100 ગ્રામ મગની દાળમાં આશરે 24 ગ્રામ પ્રોટીન મળે છે. મગની દાળ અન્ય કેટલીક દાળોની સરખામણીમાં સરળતાથી પચી જાય છે. તેથી ગેસ કે પેટની તકલીફ રહેતી હોય, તો ચણાની જગ્યાએ મગની દાળને આહારમાં સામેલ કરી શકાય છે.

કોટેજ ચીઝ એટલે કે પનીર શાકાહારી લોકો માટે પ્રોટીન મેળવવાનો સારો વિકલ્પ છે. તેમાં પ્રોટીન ઉપરાંત કેલ્શિયમ જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો પણ હોય છે. તેનું સેવન હાડકાંની મજબૂતી જાળવવામાં અને સ્નાયુઓના સ્વાસ્થ્યને ટેકો આપવામાં મદદરૂપ થઈ શકે છે.

સોયાબીન પ્રોટીનથી ભરપૂર ખાદ્યપદાર્થ છે. 100 ગ્રામ સોયાબીનમાંથી આશરે 36 ગ્રામ પ્રોટીન મળી શકે છે. તે વનસ્પતિમાંથી મળતા પ્રોટીનનો સારો સ્ત્રોત છે અને તેમાં શરીર માટે જરૂરી એમિનો એસિડ પણ હોય છે. તેથી શાકાહારી લોકો માટે સોયાબીનને પ્રોટીનની જરૂરિયાત પૂરી કરવા માટે આહારમાં સામેલ કરી શકાય છે.

દહીંમાં પ્રોટીન ઉપરાંત પ્રોબાયોટિક્સ જેવા ફાયદાકારક બેક્ટેરિયા પણ હોય છે. તેનું નિયમિત સેવન પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. સાથે જ, દહીંમાં રહેલા પોષક તત્વો શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત બનાવવામાં પણ સહાયક બની શકે છે. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.)
નિયમિત રીતે યોગ કરવાથી ઘણા લાભ થાય છે. જેમ કે મનને શાંતિ મળે છે, તણાવ મુક્ત જીવન, શરીરનો થાક દૂર થાય છે, શરીર રોગ મુક્ત બને છે, વજન પર કંટ્રોલ કરી શકાય છે. યોગના વધારે ન્યૂઝ વાંચવા માટે આ પેજ સાથે જોડાયેલા રહો.
