T20 WC Breaking : જયસૂર્યાનો માસ્ટર સ્ટ્રોક, બે ભારતીય દિગ્ગજોની તૈયારીથી ઓસ્ટ્રેલિયા પર શ્રીલંકાની ધમાકેદાર જીત
2026 ના T20 વર્લ્ડ કપમાં શ્રીલંકાએ એવી જીત નોંધાવી છે, જે ટૂર્નામેન્ટ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. 2021 ના ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હરાવીને શ્રીલંકાએ સુપર 8 માં ક્વોલિફાય કર્યું અને ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપમાંથી બહાર ફેંકી દીધું છે. આ જીત માત્ર સ્કોરબોર્ડની નથી, પરંતુ આયોજન, આત્મવિશ્વાસ અને કોચિંગ સ્ટાફની વ્યૂહરચનાનું પરિણામ છે અને શ્રીલંકાની આ જીતમાં બે ભારતીયનો મોટો હાથ છે.

T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં શ્રીલંકાના બોલરોએ શરૂઆતથી જ દબદબો જમાવ્યો હતો. ઓસ્ટ્રેલિયાની મજબૂત બેટિંગ લાઇનઅપને 181 રન સુધી મર્યાદિત રાખવી સહેલી બાબત નહોતી. પરંતુ શિસ્તબદ્ધ બોલિંગ અને દમદાર ફિલ્ડિંગના કારણે વિરોધી ટીમ મોટો સ્કોર ઉભો કરી શકી નહીં. દરેક ઓવરમાં સ્પષ્ટ યોજના નજરે પડતી હતી.

હેડ કોચ સનથ જયસૂર્યાએ મેચ બાદ જીતનો શ્રેય કોચિંગ સ્ટાફને આપ્યો. ખાસ કરીને ફિલ્ડિંગ કોચ આર. શ્રીધર અને બેટિંગ કોચ વિક્રમ રાઠોરના વખાણ કર્યા. જયસૂર્યાએ જણાવ્યું કે ખેલાડીઓની તૈયારીમાં બંને ભારતીય કોચનો મોટો ફાળો રહ્યો.

પ્રેક્ટિસ સેશન દરમિયાન ફિલ્ડિંગ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ગ્રાઉન્ડ ફિલ્ડિંગ, કેચિંગ અને ડાયરેક્ટ હિટ જેવી બાબતો પર નિયમિત મહેનત કરાવવામાં આવી. તેનો ફાયદો મેચમાં સ્પષ્ટ જોવા મળ્યો, જ્યાં શ્રીલંકાના ખેલાડીઓએ એક પણ તક હાથમાંથી જવા દીધી નહીં.

બેટિંગ વિભાગમાં પણ આત્મવિશ્વાસ જાળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. વિક્રમ રાઠોડે બેટ્સમેનોને દબાણની પરિસ્થિતિમાં શાંતિ રાખવાની સલાહ આપી. લક્ષ્યનો પીછો કરતી વખતે કોઈ ગભરાટ દેખાયો નહીં અને ટીમે સંયમ સાથે જીત હાંસલ કરી.

આ જીતથી શ્રીલંકાની ટીમનું મનોબળ ઘણું ઊંચું ગયું છે. સુપર 8 માં પ્રવેશ સાથે હવે ટીમ વધુ મજબૂત દેખાઈ રહી છે. જયસૂર્યાના માર્ગદર્શન અને કોચિંગ સ્ટાફની તૈયારીથી શ્રીલંકાએ સાબિત કર્યું છે કે યોગ્ય વ્યૂહરચના અને ટીમવર્કથી કોઈપણ મોટી ટીમને પરાજિત કરી શકાય છે. (PS: PTI/X)
T20 WC Breaking : ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપ 2026 માંથી બહાર ફેંકાયું, ઝિમ્બાબ્વે પહેલીવાર સુપર 8 માં પહોંચ્યું
