T20 WC Breaking : સુપર 8 માં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાંથી અભિષેક શર્મા સહિત આ 3 ખેલાડીઓ થશે બહાર!
2026 ના T20 વર્લ્ડ કપના સુપર 8 તબક્કાની શરૂઆત સાથે ટીમ ઈન્ડિયા માટે પડકારો વધુ કઠિન બનવાના છે. ગ્રુપ સ્ટેજમાં ચારેય મેચ જીતી ટોચ પર રહેલી ભારતીય ટીમ હવે મજબૂત ટીમો સામે ટકરાશે. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરવા વિચાર કરી શકે છે, અને કેટલાક ચોંકાવનારા નામો બહાર થઈ શકે છે.

સુપર 8 તબક્કો 21 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યો છે અને 22 ફેબ્રુઆરીએ ભારત પોતાનો પહેલો મુકાબલો રમશે. કેપ્ટન સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ટીમે ગ્રુપ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. છતાં, યુએસએ અને નેધરલેન્ડ્સ જેવી ટીમોએ ભારતીય બોલિંગ સામે સારી બેટિંગ કરી હતી, જેના કારણે ટીમ કોમ્બિનેશન અંગે ફરી વિચારણા થઈ રહી છે.

સૌથી વધુ ચર્ચામાં અભિષેક શર્માનું નામ છે . 2025 માં 859 રન બનાવનાર આ યુવા બેટ્સમેન 2026 ના વર્લ્ડ કપમાં અત્યાર સુધી સંપૂર્ણ નિષ્ફળ રહ્યો છે. પ્રથમ ત્રણ ઇનિંગ્સમાં ખાતું પણ ન ખોલી શકનાર અભિષેક પર ભારે દબાણ છે. સુપર 8 માં પ્રતિસ્પર્ધા વધુ કઠિન બનવાની હોવાથી ટીમ મેનેજમેન્ટ વિકલ્પ પર વિચાર કરી શકે છે.

બીજું નામ છે રિંકુ સિંહનું. ગ્રુપ સ્ટેજની ચારેય મેચમાં રમ્યા છતાં તેને બેટિંગમાં પૂરતો સમય મળ્યો નથી. નીચલા ક્રમે ઉતરતા તે અસરકારક પ્રદર્શન આપી શક્યો નથી. ટીમ મેનેજમેન્ટ જો બેટિંગ સાથે વધારાનો બોલિંગ વિકલ્પ શોધે તો તેની જગ્યાએ ઓલરાઉન્ડર વિકલ્પ પસંદ કરી શકે છે.

બોલિંગ વિભાગમાં અર્શદીપ સિંહની પસંદગી પણ પીચ પર આધારિત રહી શકે છે. અત્યાર સુધી જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યા મુખ્ય પેસ બોલર તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. જો ટીમ વધારાના સ્પિનર સાથે મેદાનમાં ઉતરવા ઈચ્છે, તો અર્શદીપને આરામ આપવામાં આવી શકે છે.

ભારતની પહેલી સુપર 8 મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે, જ્યારે બીજી મેચ ચેન્નાઈમાં રમાશે, જ્યાં સ્પિનરોને મદદરૂપ પીચ મળતી હોય છે. આવી પરિસ્થિતિમાં ટીમ કોમ્બિનેશનમાં ફેરફાર થવાની સંભાવના નકારી શકાય નહીં.

ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં છે, પરંતુ સુપર 8 માં નાની ભૂલ પણ ભારે પડી શકે છે. તેથી પ્લેઇંગ ઇલેવન અંગેનો અંતિમ નિર્ણય ટીમના સંતુલન અને પીચની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે. (PC: PTI/X)
T20 WC Breaking : T20 વર્લ્ડ કપમાં 17 વર્ષ પછી આવું બન્યું, ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો ખતરો
