IND vs ENG: વિરાટ કોહલી, શુભમન ગિલ કે રોહિત શર્મા… લોર્ડ્સમાં 47 વર્ષના દુષ્કાળનો અંત કોણ લાવશે?
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી અને નિર્ણાયક વનડે લોર્ડ્સમાં રમાશે. આ ઐતિહાસિક મેદાન પર ભારતીય ટીમે અનેક યાદગાર મેચો રમી છે, પરંતુ એક અનોખી સિદ્ધિ હજુ પણ અધૂરી છે. છેલ્લા 47 વર્ષમાં કોઈ ભારતીય બેટ્સમેન અહીં વનડે સદી ફટકારી શક્યો નથી. હવે ફરી એકવાર આ દુષ્કાળ ખતમ કરવાની તક ટીમ ઈન્ડિયા સામે છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રણ મેચની વનડે શ્રેણીની અંતિમ મેચ 19 જુલાઈએ ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. શ્રેણી હાલમાં 1-1થી બરાબરી પર છે, તેથી આ મેચ બંને ટીમો માટે નિર્ણાયક બનવાની છે. ટીમ ઈન્ડિયા માત્ર શ્રેણી જીતવા જ નહીં, પરંતુ એક જૂના અધૂરા રેકોર્ડને પણ પૂર્ણ કરવાની તક સાથે મેદાનમાં ઉતરશે.

લોર્ડ્સ ક્રિકેટનું સૌથી પ્રતિષ્ઠિત મેદાન માનવામાં આવે છે. ભારતે અહીં 1983નો વર્લ્ડ કપ જીત્યો હતો અને ટેસ્ટ ક્રિકેટમાં પણ કેટલીક યાદગાર જીત મેળવી છે. જોકે, વનડે ક્રિકેટમાં આ મેદાન ભારતીય બેટ્સમેનો માટે ખાસ સફળ રહ્યું નથી.

ભારતે 1975માં લોર્ડ્સ ખાતે પોતાની પ્રથમ વનડે મેચ રમી હતી. ત્યારથી અત્યાર સુધી અહીં કુલ નવ વનડે મેચ રમાઈ છે, પરંતુ એક પણ ભારતીય બેટ્સમેન સદી ફટકારી શક્યો નથી. એટલે કે છેલ્લા 47 વર્ષથી આ મેદાન પર ભારતની પહેલી વનડે સદીની રાહ હજુ પણ યથાવત છે.

લોર્ડ્સમાં ભારતીય બેટ્સમેનનો સર્વોચ્ચ વ્યક્તિગત વનડે સ્કોર સૌરવ ગાંગુલીના નામે છે. ગાંગુલીએ 2004માં ઈંગ્લેન્ડ સામે 90 રનની શાનદાર ઇનિંગ રમી હતી. એ જ મેચમાં ભારતે લોર્ડ્સ ખાતે પોતાની છેલ્લી વનડે જીત પણ નોંધાવી હતી. રાહુલ દ્રવિડ, યુવરાજ સિંહ અને એમએસ ધોનીએ પણ અહીં બે-બે અડધી સદી ફટકારી છે.

હવે તમામની નજર વિરાટ કોહલી, રોહિત શર્મા અને શુભમન ગિલ જેવા દિગ્ગજ બેટ્સમેનો પર રહેશે. જો આમાંથી કોઈ ખેલાડી લોર્ડ્સમાં સદી ફટકારવામાં સફળ રહેશે, તો તે માત્ર ભારતને શ્રેણી જીતાડવામાં મદદ નહીં કરે, પરંતુ 47 વર્ષથી ચાલતો એક અનોખો દુષ્કાળ પણ સમાપ્ત કરીને નવો ઈતિહાસ રચશે. (PC:PTI/X)
IND vs ENG: ટીમ ઈન્ડિયા માટે શ્રેણી જીતવી આસાન નથી, લોર્ડ્સમાં 22 વર્ષનો દુષ્કાળ ખતમ કરવો પડશે
