તમને પણ સેવિંગ એકાઉન્ટમાં ગમે તેટલા રૂપિયા જમા કરવી દો છો? જાણો વર્ષમાં કેટલા અને કેટલી વાર જમા કરવી શકીએ
બચત ખાતામાં પૈસા રાખવાની કોઈ મહત્તમ મર્યાદા ભલે ન હોય, પરંતુ કેશ ડિપોઝિટ અને ટ્રાન્ઝેક્શનને લઈને આવકવેરા વિભાગના અમુક ચોક્કસ નિયમો છે. જો તેનું ધ્યાન ન રાખવામાં આવે તો મુશ્કેલી વધી શકે છે.

આજના સમયમાં ડિજિટલ બેંકિંગ અને ઓનલાઇન ટ્રાન્ઝેક્શનનો વ્યાપ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. નોકરીયાત વર્ગના પગારથી લઈને નાના-મોટા બિઝનેસની કમાણી સુધી, મોટાભાગના લોકો પોતાના પૈસા જમા રાખવા માટે સેવિંગ બેંક એકાઉન્ટનો જ ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં, અવારનવાર સામાન્ય લોકોના મનમાં એ સવાલ થાય છે કે બચત ખાતામાં વધુમાં વધુ કેટલા રૂપિયા રાખી શકાય? એક દિવસમાં કેટલી રોકડ જમા કરાવી શકાય અને ખાતામાં વધુ રકમ આવી જાય તો શું ઇનકમ ટેક્સ વિભાગની નજર તેના પર પડી શકે છે?

બેંકિંગ અને આવકવેરા વિભાગના નિયમો અનુસાર, સામાન્ય લોકો માટે સેવિંગ એકાઉન્ટમાં પૈસા રાખવાની કોઈ ફિક્સ કાયદાકીય મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી નથી. તમે તમારી જરૂરિયાત અને કાયદેસરની આવક મુજબ ગમે તેટલી રકમ ખાતામાં રાખી શકો છો. પરંતુ, કેશ ડિપોઝિટ કરવા માટે ચોક્કસ લિમિટ અને રિપોર્ટિંગના નિયમો લાગુ પડે છે. જો આ નિયમોની અવગણના કરવામાં આવે તો તમારા બેંક ટ્રાન્ઝેક્શન સીધા તપાસના દાયરામાં આવી શકે છે.

આવો જાણીએ કેશ જમા કરાવવા અંગેના કડક નિયમો કયા છે:

1 દિવસમાં કેટલા રૂપિયા રોકડા જમા કરાવી શકાય?, બેંકિંગ નિયમો અનુસાર, જો કોઈ વ્યક્તિ પોતાના ખાતામાં એક જ વારમાં ₹50,000 કે તેથી વધુની રોકડ જમા કરાવે છે, તો તેના માટે પાન કાર્ડની વિગતો આપવી ફરજિયાત બને છે. જો પાન કાર્ડ ન હોય તો ફોર્મ 60 કે 61 જમા કરાવવું પડે છે. આ ઉપરાંત, અલગ-અલગ બેંકોની પોલિસી અને એકાઉન્ટના પ્રકાર મુજબ રોજની કેશ ડિપોઝિટ લિમિટ અલગ હોઈ શકે છે. ઘણી બેંકોમાં સામાન્ય સેવિંગ એકાઉન્ટમાં પ્રતિદિન ₹1 લાખ સુધીની રોકડ જમા કરવાની મર્યાદા હોય છે.

વર્ષ દરમિયાન કેટલી રકમ જમા થાય તો નોટિસ આવી શકે?, ઇનકમ ટેક્સના નિયમો મુજબ, જો કોઈ વ્યક્તિના સેવિંગ એકાઉન્ટમાં એક નાણાકીય વર્ષ દરમિયાન કુલ ₹10 લાખ કે તેથી વધુની રોકડ જમા થાય છે, તો બેંકોએ તેની વિગત ફરજિયાતપણે ઇનકમ ટેક્સ વિભાગને મોકલવી પડે છે. આ રકમ તમે એકસાથે જમા કરાવો કે આખા વર્ષ દરમિયાન કટકે-કટકે જમા કરાવો, બંને સ્થિતિમાં આ નિયમ લાગુ પડે છે.

અહીં એ સમજવું જરૂરી છે કે ₹10 લાખ જમા થતાં જ સીધો ટેક્સ લાગી જતો નથી. પરંતુ, જો તમારી આ જમા રકમ તમારા ટેક્સ રિટર્ન (ITR) માં જાહેર કરેલી આવક સાથે મેળ ખાતી ન હોય, તો આવકવેરા વિભાગ તમને નોટિસ મોકલીને આ નાણાંનો સોર્સ પૂછી શકે છે.

ક્યારે વધી શકે છે મુશ્કેલી?, જો બેંક ખાતામાં જમા થયેલી મોટી રકમ તમારી જાહેર કરેલી વાર્ષિક આવક અને નાણાકીય પ્રોફાઇલ મુજબ યોગ્ય હોય, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પરંતુ જો ખાતામાં મોટી રકમ આવી રહી હોય અને યુઝર પાસે તેની કમાણીના સાચા રેકોર્ડ કે સત્તાવાર દસ્તાવેજો ઉપલબ્ધ ન હોય, તો ઇનકમ ટેક્સ વિભાગ કડક કાનૂની કાર્યવાહી અથવા દંડ કરી શકે છે. આથી, બેંક ખાતામાં મોટી રકમની લેવડ-દેવડ કરતી વખતે આવકના પાકા પુરાવા રાખવા હિતાવહ છે.
સ્માર્ટ ટીવીને ઓફ કર્ચા પછી પણ લાલ લાઈટ કેમ શરૂ રહે છે? મોટાભાગના લોકો કંપનીની આ ચાલાકી થી હોય છે અજાણ
