આણંદના નાવલીમાં ભૂપેન્દ્ર પટેલના હસ્તે, NCC લીડરશીપ એકેડમીનું કરાશે લોકાર્પણ, બીજા ફેઝના નિર્માણ બાદ 600 કેડેટ્સ લઈ શકશે તાલીમ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, 25 જુલાઇ 2025ના રોજ આણંદના નાવલી ખાતે નવનિર્મિત NCC લીડરશીપ એકેડમીનું ઉદ્ઘાટન કરશે. ગુજરાતમાં અમદાવાદ અને રાજપીપળામાં અત્યારે 1-1 એકેડમી કાર્યરત છે. હવે રાજ્યમાં ત્રીજી NCC લીડરશીપ એકેડમીનું નિર્માણ થયું છે, જેનું સંચાલન વલ્લભ વિદ્યાનગર ગ્રુપ હેડક્વાર્ટર અંતર્ગત કરવામાં આવશે.

આણંદના નાવલીમાં NCC લીડરશીપ એકેડમીનું નિર્માણ થયું છે, જેમાં પ્રથમ ફેઝ અંતર્ગત રૂપિયા 5 કરોડના ખર્ચે 200 કેડેટ્સ માટે આધુનિક નિવાસ તેમજ તાલીમની સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. બીજા ફેઝ અંતર્ગત રૂપિયા 25 કરોડના ખર્ચે સુવિધાઓ વિકસિત કરવામાં આવશે. બીજા ફેઝની કામગીરી પૂર્ણ થયા બાદ આ એકેડમીમાં 600 NCC કેડેટ્સ સામેલ થઇ શકશે. અહીં રૉક ક્લાઇમ્બિંગ વૉલ, અવરોધ માર્ગ, ફાયરિંગ રેન્જ, ડિજીટલ ક્લાસરૂમ્સ તેમજ ડ્રીલ ગ્રાઉન્ડની સુવિધાઓ ઉપલબ્ધ છે.

25 જુલાઇ 2025ના રોજ ઉદ્ઘાટન બાદ 28 જુલાઇથી આ એકેડમીમાં ‘યુવા આપદા તાલીમ કેમ્પ’ અને ‘કમ્બાઇન્ડ એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પ’ શરૂ થશે. ત્યારબાદ સમયાંતરે NCC કેમ્પ્સનું કેમ્પસમાં આયોજન કરવામાં આવશે. આ એકેડમી કુલ 15 એકર વિસ્તારમાં ફેલાયેલી છે. ગુજરાતમાં NCC તાલીમને નવી ઉંચાઇએ લઇ જવા માટે આ એકેડમી મહત્પૂર્ણ બની રહેશે.

NCC બટાલિયન, વલ્લભવિદ્યાનગરના કમાન્ડિંગ ઓફિસર કર્નલ મનીષ ભોલાએ જણાવ્યું હતું કે “600ની સ્ટ્રેન્થ થયા બાદ સંખ્યાની દૃષ્ટિએ આ ગુજરાતની સૌથી મોટી NCC લીડરશીપ એકેડમી બની જશે. ગુજરાતની ઘણી બટાલિયનના કેમ્પ અહીં જ આયોજિત થશે અને રિપબ્લિક ડે પરેડ માટેના યુવાનોની પસંદગી પણ અહીંથી થશે. અત્યારે ગુજરાતમાં 75 હજારની કેડેટ સ્ટ્રેન્થ છે, જેને આવનારા દિવસોમાં 85 હજાર સુધી લઇ જઇશું.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોના ઘડતરમાં NCCના મહત્વને હંમેશા પ્રકાશિત કર્યું છે. તેમણે જણાવ્યું છે કે NCC કેડેટ્સ ભારતની યુવા પેઢી તરીકે દેશની અમૃત પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે. આ અમૃત પેઢી આવનારા 25 વર્ષમાં દેશને નવી ઉંચાઈ પર લઈ જશે અને ભારતને આત્મનિર્ભર અને વિકસિત બનાવશે.

ગુજરાતમાં NCC દ્વારા યુવાનોમાં આ ગુણો વિકસિત કરવા માટે વિવિધ સ્તરે કામગીરી કરવામાં આવે છે. અત્યાર સુધી ગુજરાતમાં 135થી વધુ મિલિટરી કેમ્પ અને 45થી વધુ સામાજિક જાગરૂકતા માટેના કેમ્પ આયોજિત કરવામાં આવ્યા છે. આ કેમ્પમાં 1.9 લાખથી વધુ વિદ્યાર્થીઓ સામેલ રહ્યાં છે. રાજ્યમાંથી 20 કેડેટ ઓફિસર તરીકે કમિશન્ડ થયા છે અને 213 અગ્નિવીર એનરોલ થયા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો