ઈરાન યુદ્ધની સીધી અસર ખેતી પર : ગુજરાતના મુંદ્રા અને મુંબઈ પોર્ટ પર ફ્રૂટ-શાકભાજીના કન્ટેનર્સ ફસાયા
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ભારતથી ખાડી દેશોમાં થતી ફળ અને શાકભાજીની નિકાસ ઠપ થઈ છે. મુંદ્રા અને જેએનપીટી પોર્ટ પર કરોડોનો માલ અટવાતા ખેડૂતો અને નિકાસકારો મુશ્કેલીમાં મુકાયા છે.
મધ્ય પૂર્વમાં ઈરાન અને અન્ય દેશો વચ્ચે સર્જાયેલી યુદ્ધની ભયાનક સ્થિતિએ ભારતના કૃષિ ક્ષેત્ર પર મોટી આર્થિક અસર પહોંચાડી છે. ખાસ કરીને ખાડી દેશોમાં નિકાસ થતા તાજા ફળો અને શાકભાજીના કન્ટેનર્સ વિવિધ બંદરો પર અટવાઈ પડ્યા છે. આ કટોકટીમાં ખેડૂતો અને નિકાસકારોને પાયમાલ થતા બચાવવા માટે સરકાર દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.
ગુજરાતના મુંદ્રા પોર્ટ પર 150 કન્ટેનર્સ અટવાયા
કૃષિ નિકાસ માટેના મુખ્ય કેન્દ્ર ગણાતા ગુજરાતના મુંદ્રા પોર્ટ પર યુદ્ધના કારણે સૌથી વધુ અસર જોવા મળી રહી છે. અહીં ફળ અને શાકભાજીથી ભરેલા આશરે 150 જેટલા કન્ટેનર્સ છેલ્લા કેટલાય દિવસોથી ફસાયેલા છે. દરિયાઈ માર્ગે અવરોધ આવતા આ કન્ટેનર્સ આગળ વધી શકતા નથી, જેના કારણે તેમાં રહેલો લાખોની કિંમતનો માલ બગડી જવાની ભીતિ સેવાઈ રહી છે. ગુજરાતના નિકાસકારો અત્યારે આ મામલે કેન્દ્ર સરકારની દખલગીરીની રાહ જોઈ રહ્યા છે.
મુંબઈના જવાહરલાલ નહેરુ પોર્ટ (JNPT) પર મોટી રાહત
બીજી તરફ, મુંબઈના જવાહરલાલ નહેરુ પોર્ટ પર સ્થિતિ વધુ ગંભીર છે, જ્યાં 250 જેટલા કન્ટેનર્સ અટકી પડ્યા છે. આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકાર અને પોર્ટ ઓથોરિટીએ નિકાસકારો માટે મોટી રાહત જાહેર કરી છે:
ચાર્જ માફી: ફસાયેલા કન્ટેનર્સ પર લાગતો સ્ટોરેજ અને ડિટેન્શન ચાર્જ સંપૂર્ણપણે માફ કરવામાં આવ્યો છે.
વીજળીમાં છૂટ: કોલ્ડ સ્ટોરેજ કન્ટેનર્સ (Reefer Containers) માં માલ સુરક્ષિત રહે તે માટે વીજ કનેક્શન ચાર્જમાં 80 ટકાની માતબર છૂટ આપવામાં આવી છે.
સરકારના આ પગલાથી મુંદ્રા અને મુંબઈ બંને પોર્ટના નિકાસકારોને મોટી આર્થિક હળવાશ મળશે. જોકે, યુદ્ધ લાંબુ ચાલશે તો આગામી સમયમાં નિકાસના ઓર્ડર અને ખેડૂતોના ભાવ પર વધુ વિપરિત અસર પડી શકે છે તેવી શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
