પંખાની સ્પીડ પણ ધૂળને રોકી શકતી નથી ! ફૂલ સ્પીડમાં ફરતા બ્લેડસ પર કેવી રીતે જામી જાય છે કાળી પરત? જાણો આ પાછળના 2 મોટા કારણો
શું આ કોઈ જાદુ છે? જે પંખો ધૂળને દૂર ફેંકવો જોઈએ તે તેને પોતાની તરફ કેમ ખેંચે છે? જાણો સ્ટેટિક ઈલેક્ટ્રિસિટી અને બાઉન્ડ્રી લેયરનું રસપ્રદ વિજ્ઞાન.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઘરમાં દિવસ-રાત પંખાઓ ચાલતા હોય છે. આપણે જોયું હશે કે સતત ફરતા હોવા છતાં થોડા જ દિવસોમાં પંખાના પાંખિયા (બ્લેડ્સ) પર કાળી ધૂળની જાડી પરત જામી જાય છે. મનમાં સવાલ થાય કે જે પંખો આટલી ઝડપે હવામાં ફરે છે, તે ધૂળને પોતાની તરફ ખેંચીને ચિપકાવી કેવી રીતે લે છે? આ કોઈ રહસ્ય નથી પરંતુ વિજ્ઞાનનો એક ખાસ નિયમ છે.

પહેલું કારણ: સ્ટેટિક ઈલેક્ટ્રિસિટીનો જાદુ: જ્યારે પંખો હવામાં ઝડપથી ફરે છે, ત્યારે તેના પાંખિયા હવામાં રહેલા કણો સાથે સતત ઘર્ષણ (Friction) કરે છે. આ ઘર્ષણને કારણે પંખાના કિનારે એક પ્રકારનો ઈલેક્ટ્રિક ચાર્જ પેદા થાય છે, જેને વિજ્ઞાનની ભાષામાં 'સ્ટેટિક ઈલેક્ટ્રિસિટી' કહેવામાં આવે છે. હવામાં ઉડતા ધૂળના રજકણોમાં પણ પોતાનો ચાર્જ હોય છે. જેવો આ કણો પંખાના સંપર્કમાં આવે છે કે તરત જ તે ચુંબકની જેમ પાંખિયાના કિનારે ચોંટી જાય છે.

બીજું કારણ: બાઉન્ડ્રી લેયર ઈફેક્ટ: તમને જાણીને નવાઈ લાગશે કે પંખો ભલે ગમે તેટલી સ્પીડમાં ફરતો હોય, પરંતુ તેના પાંખિયાની એકદમ નજીકની હવાની પરત સ્થિર હોય છે. તેને 'બાઉન્ડ્રી લેયર' કહેવામાં આવે છે. આ પાતળી પરતમાં હવાની ગતિ નહિવત હોય છે. પરિણામે ધૂળના ઝીણા રજકણો આ પરતમાં ફસાઈ જાય છે. પંખાનું કેન્દ્રત્યાગી બળ (Centrifugal Force) પણ આ કણોને હટાવી શકતું નથી, અને ધીરે-ધીરે ત્યાં ધૂળનો થર જામતો જાય છે.

ભેજ પણ ભજવે છે મોટી ભૂમિકા: ભારત જેવા દેશમાં જ્યાં હવામાં ભેજ (Humidity) વધારે હોય છે, ત્યાં ધૂળ જામવાની પ્રક્રિયા વધુ ઝડપી બને છે. ભેજને કારણે ધૂળના રજકણો ચીકણા બની જાય છે. જ્યારે આ ચીકણા કણો ચાર્જ થયેલા પાંખિયા સાથે ટકરાય છે, ત્યારે તેઓ એટલી મજબૂતીથી ચોંટી જાય છે કે પંખાની ફૂલ સ્પીડ પણ તેમને હલાવી શકતી નથી.

આમ, માત્ર ગંદકીને કારણે જ નહીં પણ ભૌતિક વિજ્ઞાનના આ ચોક્કસ કારણોને લીધે પંખા પર ધૂળના થર જોવા મળે છે. પંખાને નિયમિત સાફ કરવા જરૂરી છે, કારણ કે જામી ગયેલી ધૂળ તેની હવાની સ્પીડ પર પણ અસર કરી શકે છે.
Breaking News : મૂવી લવર્સે સપને પણ નહીં વિચાર્યું હોય… મોટી ગેમ રમવા માટે યશ અને મેકર્સે લીધો ‘યુ-ટર્ન’
