વર્ષ 2026 ના અંતમાં નિફ્ટી કયા સ્તરે હશે? JPMorgan એ કરી ‘મોટી આગાહી’
ભારતીય શેરબજારમાં રોકાણ કરનારાઓ માટે ગ્લોબલ બ્રોકરેજ ફર્મ JPMorgan તરફથી એક મોટો અને મહત્વનો અહેવાલ સામે આવ્યો છે. બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે JPMorgan એ ભારતીય ઇક્વિટીના રેટિંગમાં ફેરફાર કરવાની સાથે વર્ષ 2026 ના અંત સુધીના નવા ટાર્ગેટ પણ જાહેર કર્યા છે.

ભારતીય શેરબજાર અંગે ગ્લોબલ બ્રોકરેજ JPMorgan એ પોતાનું અનુમાન જાહેર કર્યું છે. બ્રોકરેજે ભારતીય ઇક્વિટીના રેટિંગને 'ઓવરવેટ' થી ઘટાડીને 'ન્યૂટ્રલ' કરી દીધું છે. આ નિર્ણય HSBC દ્વારા રેટિંગ ઘટાડ્યાના એક દિવસ પછી આવ્યો છે. JPMorgan એ આ પાછળ ભારતનું હાઈ વેલ્યુએશન દર્શાવ્યું છે અને કહ્યું છે કે, તે અન્ય ઉભરતા બજારો (EM peers) ની સરખામણીમાં વધારે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતની લોન્ગ-ટર્મ ગ્રોથ સ્ટોરી મજબૂત બની રહી છે પરંતુ વર્તમાન સમયમાં કેટલાક ટેક્ટિકલ પડકારોને કારણે રોકાણકારોએ સાવચેતી રાખવી જોઈએ અને હાલમાં ધીરજ રાખવી વધુ સારી રહેશે. સાથે જ અન્ય ઉભરતા બજારો (EM) માં વધુ સારી તકો જોવાની વાત કરવામાં આવી છે.

JPMorgan એ નિફ્ટી 50 અંગે જણાવ્યું છે કે, વર્ષ 2026 ના અંત સુધીમાં નિફ્ટી-50 બેયર કેસ એટલે કે ખરાબ પરિસ્થિતિમાં 20,500 ના સ્તર સુધી ગબડી શકે છે. ટૂંકમાં, બેયર કેસ ટાર્ગેટને 24,000 થી ઘટાડીને 20,500 કરવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે, નિફ્ટી વર્તમાન સ્તરથી 14 ટકાથી વધુ ઘટી શકે છે. આ સિવાય બુલ-કેસ એટલે કે સારી સ્થિતિમાં નિફ્ટી 30,000 ના સ્તરને સ્પર્શી શકે છે. બેઝ કેસની સ્થિતિમાં નિફ્ટી 50 માટે 27,000 નો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે.

નિફ્ટી-50 માટે વર્ષ 2026 ના અંત સુધીના લક્ષ્યાંકો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં બજારની સ્થિતિ મુજબ બેયર કેસમાં 20,500 અને બેઝ કેસમાં 27,000 નો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. જો તેજી જળવાઈ રહે તો બુલ કેસમાં નિફ્ટી 30,000 ની સપાટી વટાવી શકે છે.

રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, નિફ્ટી-સેન્સેક્સ આ વર્ષે 8.5 ટકા અને 10 ટકા ઘટી ચૂક્યા છે તેમજ તે તેમના રેકોર્ડ હાઈ સ્તરોથી લગભગ 9.3 ટકા અને 11 ટકા નીચે ટ્રેડ કરી રહ્યા છે, જે વર્ષ 2025 ના અંતમાં અને વર્ષ 2026 ની શરૂઆતમાં બન્યા હતા.

રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, નાણાકીય વર્ષ 2027 ના અર્નિંગ એસ્ટિમેટમાં 2 ટકાથી 10 ટકા સુધીનો કાપ મૂકવામાં આવ્યો છે. સાથે જ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) દ્વારા રેકોર્ડ સ્તરની વેચવાલીને પણ એક મોટું દબાણકારક પરિબળ માનવામાં આવ્યું છે. ભારતના મોટા ઈન્ડેક્સમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ડેટા સેન્ટર અને સેમિકન્ડક્ટર જેવા નેક્સ્ટ જનરેશનના ટેક સેક્ટરની ઓછી ભાગીદારીને પણ એક નબળાઈ તરીકે જોવામાં આવી છે. વધુમાં હવામાન અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

આમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં વર્ષ 2026 માં મોન્સૂન સામાન્ય કરતા માત્ર 92 ટકા રહેવાનો અંદાજ છે અને અલ નીનો વિકસિત થવાની આશંકા છે, જેનાથી ગ્રામીણ આવક અને ખાદ્ય મોંઘવારી પર અસર પડી શકે છે. ગ્લોબલ બ્રોકરેજના એશિયા વ્યુમાં કોરિયા, તાઈવાન, ચીન, ઊર્જા, મટિરિયલ અને ટેક સેક્ટરને ઓવરવેટ કરવામાં આવ્યા છે, જ્યારે ફાયનાન્શિયલ સેક્ટર પર સકારાત્મક વલણ યથાવત છે. બીજી તરફ ભારત, ડિસ્ક્રિશનરી, ઇન્ડસ્ટ્રીયલ અને કોમ્યુનિકેશન સર્વિસીસને ન્યૂટ્રલમાં ડાઉનગ્રેડ કરવામાં આવ્યા છે. પ્રોપર્ટી અને યુટિલિટીઝને ન્યૂટ્રલમાં અપગ્રેડ કરવામાં આવ્યા છે, જ્યારે ASEAN, હેલ્થકેર અને સ્ટેપલ્સને અંડરવેટ કરવામાં આવ્યા છે.
શુક્રવારના કડાકા બાદ 27 એપ્રિલે માર્કેટ કેવું રહેશે ? આ પરિબળો નક્કી કરશે બજારની દિશા
