300 યુનિટ સુધી ફ્રીમાં ચાલશે એસી, ટીવી, પંખા, કુલર, ફ્રિજ ! કમાલની છે આ સરકારી યોજના, આ રીતે કરો અપ્લાય
કેન્દ્ર સરકારની પીએમ સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજના દેશભરમાં ધૂમ મચાવી રહી છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 26 લાખથી વધુ ઘરો પર સોલર પેનલ લગાવી દેવામાં આવી છે.

ઉનાળાની ગરમી વચ્ચે જો તમારું વીજળી બિલ મોટું આવી રહ્યું હોય, તો કેન્દ્ર સરકારની 'પીએમ સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજના' તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી આ ફ્લેગશિપ યોજનાનો મુખ્ય હેતુ સામાન્ય લોકોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડવાનો છે. આ યોજનાની લોકપ્રિયતા એટલી ઝડપથી વધી રહી છે કે દેશભરમાં અત્યાર સુધીમાં 26.19 લાખથી વધુ ઘરોની છત પર સોલર પેનલ લગાવી દેવામાં આવી છે અને સરકારનો લક્ષ્યાંક આગામી સમયમાં 1 કરોડ ઘરો સુધી પહોંચવાનો છે. આ યોજના માત્ર વીજળી બિલ જ ઓછું નથી કરતી, પરંતુ ગ્રીડને વધારાની વીજળી વેચીને કમાણી કરવાની પણ ઉત્તમ તક આપે છે.

કેટલી મળશે સબસિડી અને લોન સુવિધા: આ યોજના હેઠળ સરકાર ઘરની છત પર સોલર પેનલ લગાવવા માટે મોટી આર્થિક સહાય આપે છે, 3 કિલોવોટ સુધીની સોલર સિસ્ટમ લગાવવા પર મહત્તમ 78,000 રૂપિયા સુધીની સબસિડી મળી શકે છે. 2 કિલોવોટ સુધીની સિસ્ટમ પર કુલ ખર્ચના 60 ટકા સુધીની સબસિડી આપવામાં આવે છે. જો કોઈ ગ્રાહક સોલર સિસ્ટમ લગાવવા માંગે છે તો સરકાર કોઈ પણ ગેરંટી વગર (કોલેટરલ ફ્રી) માત્ર 7 ટકાના વ્યાજ દરે લોનની સુવિધા પણ આપી રહી છે.

તમારા ઘર માટે કેટલા કિલોવોટની સિસ્ટમ જરૂરી છે, જો તમારા ઘરનો માસિક વીજ વપરાશ 150 યુનિટ સુધીનો હોય, તો તમારા માટે 1 થી 2 કિલોવોટની સિસ્ટમ યોગ્ય રહેશે. જો માસિક વપરાશ 150 થી 300 યુનિટની વચ્ચે હોય, તો 2 થી 3 કિલોવોટની સોલર સિસ્ટમ લગાવવી ફાયદાકારક રહેશે.

કોણ અરજી કરી શકે છે: આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ. તેની પાસે પોતાની છતવાળું ઘર અને સક્રિય વીજ જોડાણ (લાઇટ કનેક્શન) હોવું જરૂરી છે. આ ઉપરાંત, અરજદારે અગાઉ અન્ય કોઈ સરકારી સોલર સબસિડી યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ.

અરજી કરવાની સરળ રીત: સૌ પ્રથમ આ યોજનાના સત્તાવાર પોર્ટલ PM Surya Ghar Portal પર જાઓ. ત્યાં તમારા રાજ્યનું નામ, વીજ કંપનીનું નામ (DISCOM), ગ્રાહક નંબર (કન્ઝ્યુમર નંબર), મોબાઇલ નંબર અને ઇમેઇલ આઇડીની મદદથી રજિસ્ટ્રેશન કરો. રજિસ્ટ્રેશન થયા પછી લોગઇન કરીને રૂફટોપ સોલર માટેનું ફોર્મ ભરો. વીજ કંપની તરફથી મંજૂરી મળ્યા બાદ, તમે કોઈ પણ રજિસ્ટર્ડ વેન્ડર પાસેથી સોલર પેનલ લગાવી શકો છો. ઇન્સ્ટોલેશન પૂર્ણ થયા પછી, તેની વિગતો પોર્ટલ પર અપલોડ કરી નેટ મીટરિંગ માટે અરજી કરવાની રહેશે. તપાસ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સબસિડીની રકમ સીધી તમારા બેંક ખાતામાં જમા થઈ જશે.
મ્યુચ્યુઅલ ફંડમાં રેકોર્ડ રોકાણ વચ્ચે એલર્ટ, વર્ષ 2026માં SIP ઇન્વેસ્ટર્સની આ 5 મોટી ભૂલો કમાણી પર ફેરવી શકે છે પાણી
