Breaking News: ચૂંટણી પૂરી થતા જ ‘મોંઘવારીનો ડામ’ ! પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારાની આશંકા
દેશભરમાં અત્યારે ચૂંટણીનો ગરમાવો છે અને નેતાઓ મતોની ગણતરીમાં વ્યસ્ત છે પરંતુ આ બધાની વચ્ચે પડદા પાછળ કંઈક એવું રંધાઈ રહ્યું છે કે, જે સીધું તમારા ખિસ્સાને અસર કરશે.

દેશમાં અત્યારે ચૂંટણીનો માહોલ છે. રેલીઓ ચાલી રહી છે, મતદાન થઈ રહ્યું છે અને રાજકીય નિવેદનબાજી તેજ બની છે. જો કે, આ રાજકીય શોરબકોર વચ્ચે એક એવી ચિંતા પણ વધી રહી છે કે, જે સીધી સામાન્ય માણસના ખિસ્સા સાથે જોડાયેલી છે. આ ચિંતા પેટ્રોલ અને ડીઝલના ભાવની છે. ઘરેલું બ્રોકરેજ ફર્મ કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝે મોટો સંકેત આપ્યો છે.

રિપોર્ટ અનુસાર, જો ક્રૂડ ઓઈલના ભાવ વર્તમાન સ્તરે જળવાઈ રહેશે, તો ચૂંટણી પૂરી થયા પછી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ₹25 થી ₹28 સુધીનો વધારો થઈ શકે છે. પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો છે, ખાસ કરીને હોર્મુઝની સામુદ્રધુનીમાં સ્થિતિ અસ્થિર છે. આ એ જ દરિયાઈ માર્ગ છે, જ્યાંથી વિશ્વના તેલ પુરવઠાનો મોટો હિસ્સો પસાર થાય છે. ખાસ વાત એ છે કે, જ્યારે પણ અહીં તણાવ વધે છે, ત્યારે તેલ બજારમાં ફફડાટ ફેલાય છે.

ઈરાન, અમેરિકા અને પશ્ચિમ એશિયા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષે સપ્લાયને લઈને ડર વધાર્યો છે. ભલે થોડા સમય માટે રસ્તો ખુલ્લો હોય પરંતુ બજારને વિશ્વાસ નથી કે, સ્થિતિ સામાન્ય રહેશે. આ જ કારણ છે કે, ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ભારત તેની જરૂરિયાતનો મોટો હિસ્સો વિદેશથી ખરીદે છે. ટૂંકમાં, જો આંતરરાષ્ટ્રીય બજારમાં તેલ મોંઘું થશે, તો ભારતનું આયાત બિલ વધવું નિશ્ચિત છે. રિપોર્ટ મુજબ, માર્ચ અને એપ્રિલમાં ભારતીય ક્રૂડ બાસ્કેટમાં મોટો ઉછાળો આવ્યો છે. રસપ્રદ વાત એ છે કે, આયાતનું પ્રમાણ 13 થી 15 ટકા ઘટ્યું છે, તેમ છતાંય કુલ આયાત બિલ દરરોજ અંદાજે 190 થી 210 મિલિયન ડોલર સુધી વધી ગયું છે.

સરળ રીતે જોઈએ તો, ઓછું તેલ ખરીદવા છતાં પણ વધુ પૈસા ચૂકવવા પડી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં હજુ સુધી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જેનો બોજ હવે રિફાઇનિંગ કંપનીઓ પર પડી રહ્યો છે. કોટકનો અંદાજ છે કે, કંપનીઓ પર દર મહિને લગભગ ₹270 અબજનું વધારાનું દબાણ આવી રહ્યું છે. સરકારે થોડી રાહત આપવા માટે એક્સાઈઝ ડ્યુટીમાં પ્રતિ લિટર ₹10નો ઘટાડો કર્યો હતો અને વિન્ડફોલ ટેક્સ પણ ફરીથી લાદવામાં આવ્યો હતો પરંતુ તેનાથી સમસ્યા સંપૂર્ણ રીતે હલ થઈ નથી. રિપોર્ટ કહે છે કે, ભાવ વધારવાની આર્થિક જરૂરિયાત મજબૂત છે પરંતુ આ નિર્ણય રાજકીય સમય જોઈને લેવામાં આવી શકે છે. મતદાનનો અંતિમ તબક્કો 29 એપ્રિલે હોવાથી ચૂંટણી પૂરી થયા પછી જ કોઈ મોટા નિર્ણયની શક્યતા માનવામાં આવી રહી છે. એકંદરે અત્યારે રાહત છે પણ આગળ જતાં મોટો ઝટકો મળી શકે છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જો ₹25-28નો વધારો થાય, તો તેની અસર માત્ર ખાનગી વાહનો સુધી મર્યાદિત નહીં રહે પરંતુ સમગ્ર અર્થતંત્ર પ્રભાવિત થશે. ભાવમાં આટલા મોટા ઉછાળાથી સૌથી પહેલા ટ્રાન્સપોર્ટ મોંઘું થશે, જેના કારણે શાકભાજી અને રાશન જેવી જરૂરી ચીજવસ્તુઓના પરિવહનનો ખર્ચ વધી જશે. આ સાથે ટેક્સી અને ઓટોના ભાડામાં પણ વધારો થવાની સંભાવના છે તેમજ એરલાઇન ટિકિટો પણ મોંઘી થઈ શકે છે.

ઈંધણના ભાવમાં આ વધારો મોંઘવારી પર નવું દબાણ ઊભું કરશે. હવે આ સાબિત કરે છે કે, પેટ્રોલ-ડીઝલ એ માત્ર બળતણ નથી પણ સમગ્ર અર્થતંત્રના ધબકારા છે. એવું પણ બની શકે કે, કિંમતો એકસાથે ન વધે. રિપોર્ટ અનુસાર, સરકાર ધીમે-ધીમે ભાવ વધારવાનો રસ્તો પસંદ કરી શકે છે, જેથી મોંઘવારી પર વધુ દબાણ ન આવે અને કંપનીઓનું નુકસાન પણ ઓછું થાય.
આ પણ વાંચો: સેવિંગ એકાઉન્ટ રાખતા લોકો ચેતી જજો, નહીંતર બેંક વસૂલશે ‘મોટો દંડ’
