રાજ્યમાં અતિ ભારે વરસાદની સ્થિતિને લઈને રાજ્ય સરકાર એલર્ટ, PM મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો
ગુજરાતમાં હાલ ભારે વરસાદની સ્થિતિ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટીંગ કરી રહ્યા છે. નવસારી, વલસાડની સ્થિતિ વધુ વિકટ બની છે. આ સ્થિતિમાં વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાાથે ટેલિફોનિક વાતચીત કરી સ્થિતિની જાણકારી મેળવી હતી.
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યુ છે. દક્ષિણ ગુજરાત પર રીતસરના જાણે મેઘરાજા કોપાયમાન થયા હોય તે રીતે વરસી રહ્યા છે. વલસાડ, નવસારીના કેટલાક તાલુકાઓમાં આભ ફાટવા જેવી સ્થિતિ છે. જેને લઈને વાહન વ્યવહાર અને રેલ વ્યવહાર પણ ખોરવાયો છે. રાજ્યના અનેક માર્ગો બંધ પડ્યા છે. હવામાન વિભાગ દ્વારા પણ 48 કલાક ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ તમામ સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી રાત્રે 10 વાગ્યે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રિવ્યૂ બેઠક યોજશે અને સ્થિતિનો તાગ મેળવશે. CM તમામ જિલ્લાના વહીવટીતંત્ર સાથે સંકલનમાં છે.
આ તરફ PM મોદીએ પણ હોમ સ્ટેટ ગુજરાત અંગે ચિંતા વ્યક્ત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી સ્થિતિની જાણકારી મેળવી હતી. ગૃહમંત્રી અમિત શાહ પણ રાજ્યના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. રાહત કમિશનર ગૌરાંગ મકવાણાના જણાવ્યા અનુસાર રાજ્યમાં કોઇ પણ સ્થિતને પહોંચી વળવા NDRF અને SDRFની ટીમો તૈનાત રખાઈ છે. કેન્દ્ર સરકારની 4 ટીમ સુરત પહોંચશે. જે વલસાડમાં 2, નવસારી અને સુરતમાં 1-1 ટીમ ને તૈનાત કરાશે.
હાલ રાજ્યમાં ભારે વરસાદને પગલે 1200 રસ્તા બંધ થયા છે. દક્ષિણ ગુજરાતમાં આર્મીની ટૂકડી રવાના કરી દેવાઈ છે. વડોદરા અને ગાંધીનગરથી બે આર્મીની ટૂકડી રવાના કરાઈ છે.
Input Credit- Kinjal Mishra- Gandhinagar
