મોંઘા સોફા, બેડ અને એસી સાવ નજીવા ભાવે ક્યાં મળે છે ?, વિદેશી જહાજોનો સામાન સાવ સસ્તા ભાવે કઈ રીતે પહોંચે છે બજાર સુધી
લાખો રૂપિયાનું મોંઘુંડાટ ફર્નિચર અને હોટેલ જેવો સામાન સાવ સસ્તામાં ખરીદવા લોકો કેમ અલંગ પહોંચે છે? જાણો આંતરરાષ્ટ્રીય સ્તરે 35.4 ટકા હિસ્સા સાથે વિશ્વમાં ડંકો વગાડતા ગુજરાતના આ શિપિંગ યાર્ડ વિશે.

જો તમને કોઈ એમ કહે કે પરદેશના આલીશાન વિદેશી જહાજોમાં વપરાયેલા મોંઘાદાટ સોફા, બેડ, ડાઇનિંગ ટેબલ, એસી, ટીવી, સ્ટીલના વાસણો કે કિંમતી સાગનું ફર્નિચર સાવ નજીવી કિંમતે મળી શકે છે, તો ચોક્કસ તમને આશ્ચર્ય થશે. પરંતુ આ તદ્દન સાચું છે. ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલું અલંગ યાર્ડ આ વસ્તુઓ માટે આખા દેશમાં જાણીતું છે. અલંગ માત્ર ભારતનું જ નહીં પણ સમગ્ર વિશ્વનું સૌથી મોટું શિપ રિસાઇક્લિંગ સેન્ટર છે.

સામાન્ય રીતે લોકોને એવું લાગે છે કે નકામા બનેલા જહાજોમાંથી માત્ર લોખંડનો ભંગાર જ નીકળતો હશે, પરંતુ વાસ્તવિકતા અલગ છે. એક મોટું વિદેશી જહાજ કે ક્રૂઝ એક ચાલતી-ફરતી ફાઇવ સ્ટાર હોટેલ જેવું હોય છે. જ્યારે આ જહાજોને ભાંગવામાં આવે છે ત્યારે તેમાંથી અત્યંત મજબૂત અને પ્રીમિયમ ક્વોલિટીનું ફર્નિચર, ઇલેક્ટ્રોનિક્સ અને ઘરવખરીનો સામાન નીકળે છે.

જહાજ માલિકોનો મુખ્ય હેતુ જહાજને સુરક્ષિત રીતે તોડીને તેમાંથી સ્ટીલ અને ધાતુઓ અલગ કરવાનો હોય છે, ન કે ફર્નિચર વેચીને કમાણી કરવાનો. આ સામાનને લાંબો સમય ગોડાઉનમાં રાખવાથી સાચવણીનો ખર્ચ વધી જાય છે, તેથી વેપારીઓ તેને ખૂબ જ ઓછા ભાવે ઝડપથી વેચી દે છે. આ સિવાય સેકન્ડ હેન્ડ હોવાને કારણે પણ તેની કિંમત નવી વસ્તુઓ કરતા આઠથી દસ ગણી ઓછી હોય છે.

આ સસ્તો અને ટકાવ સામાન ખરીદવા માટે દેશભરમાંથી હોટેલ, રિસોર્ટ, ઓફિસ, ફાર્મહાઉસના માલિકો અને ઇન્ટિરિયર ડિઝાઇનર્સ અલંગ પહોંચે છે. વેપારીઓ અનુસાર, લોકો ખાસ કરીને વિદેશી ક્રૂઝમાંથી નીકળેલું મજબૂત ફર્નિચર વધુ પસંદ કરે છે.

મેરિટાઇમ ઇન્ડિયા વિઝન 2030 હેઠળ સરકારે જે લક્ષ્યાંક 2030 સુધીમાં પ્રાપ્ત કરવાનો હતો, તે ભારતે પાંચ વર્ષ પહેલાં જ હાસિલ કરી લીધો છે. યુનાઇટેડ નેશન્સની સંસ્થા યુએનસીટીએડી (UNCTAD) ના અહેવાલ મુજબ, ગ્લોબલ માર્કેટમાં 35.4 ટકા હિસ્સા સાથે ભારત શિપ રિસાઇક્લિંગ ક્ષેત્રે દુનિયામાં પ્રથમ નંબરે પહોંચી ગયું છે, જેમાં સૌથી મોટો ફાળો અલંગનો છે.

અલંગમાં હાલ 115 જેટલા શિપ રિસાઇક્લિંગ યાર્ડ કાર્યરત છે. જ્યારે અહીં પૂરજોશમાં કામ ચાલે છે ત્યારે તેનો વાર્ષિક કારોબાર 10,000 કરોડ રૂપિયા સુધી પહોંચી જાય છે, જેનાથી સરકારને દર વર્ષે 1,500 કરોડ રૂપિયાથી વધુની આવક થાય છે. આ ઉદ્યોગ સાથે 15,000 થી 20,000 લોકોને સીધી રોજગારી મળે છે, જ્યારે આસપાસના વિસ્તારોમાં હજારો નાના વેપારીઓ આ સામાનનું સમારકામ કરીને તેને નવું રૂપ આપીને વેચે છે.

હવે પર્યાવરણની સુરક્ષા માટે ભારત સરકાર દ્વારા શિપ રિસાઇક્લિંગ એક્ટ 2019 અને હોંગકોંગ ઇન્ટરનેશનલ કન્વેન્શનના કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. 53.5 કરોડ રૂપિયાના ખર્ચે અલંગનું આધુનિકીકરણ કરાતાં હવે યુરોપિયન દેશો પણ પોતાના નકામા જહાજો રિસાઇક્લિંગ માટે ભારત મોકલી રહ્યા છે. અહીં જહાજનો 0.05 ટકાથી પણ ઓછો કચરો એળે જાય છે, બાકીની તમામ વસ્તુઓનો પુનઃઉપયોગ કરવામાં આવે છે.
LIC એ ફગાવ્યો ₹60 લાખનો ક્લેમ, કોર્ટે આપ્યો આદેશ – ₹61.5 લાખ સાથે 9% વ્યાજ ચૂકવો
