હેલ્થ ન્યૂઝ : ચમચી વડે ખાવાની આદત છે ? તો પહેલા જાણીલો હાથથી ખાવાના આ અઢળક ફાયદા
આધુનિક યુગમાં ઝડપથી બદલાતી સંસ્કૃતિ અને જીવનશૈલી વચ્ચે ખોરાક ખાવાની રીતોમાં પણ ફેરફાર જોવા મળે છે. અત્યારે મોટાભાગના લોકો હાથની જગ્યાએ ચમચીથી ખાવાનું પસંદ કરે છે. તો ન્યુટ્રિશન એક્સપર્ટના જણાવ્યા અનુસાર ચમચી વડે ખાવાની જગ્યાએ હાથ દ્વારા ખાવુ અત્યંત લાભકારક છે.

લાંબા સમય સુધી ચમચી કે કાંટા વડે ખોરાક આરોગવાથી શરીરને નુકસાન પહોંચી શકે છે. ચમચી અને કાંટા વડે ખોરાક ખાવાથી બ્લડ સુગરનું સંતુલન બગડવાનું જોખમ વધે છે.આવી સ્થિતિમાં ટાઇપ 2 ડાયાબિટીસ થવાની સંભાવના પણ વધે છે.તેથી વ્યક્તિએ ચમચીને બદલે હાથથી ખોરાક ખાવાનો આગ્રહ રાખવો જોઈએ.

આયુર્વેદ અનુસાર હાથ વડે ખાવાના અઢળક ફાયદા થાય છે.હાથ વડે ખોરાક ખાવાથી સ્વાદની અનુભૂતિ સારી થાય છે અને ખોરાક પણ સારી રીતે પચી શકે છે.

હાથ વડે ભોજન કરતી વખતે હાથના સ્નાયુઓની કસરત પણ સારી રીતે થાય છે.આ ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે હાથ વડે ખોરાક ખાવાથી રક્ત પરિભ્રમણ પણ સુધરે છે.ખાતી વખતે, મિશ્રણ કરતી વખતે અથવા ખોરાક બનાવતી વખતે, હાથના તમામ સાંધાઓને સારી રીતે કસરત મળે છે.

આપણી આંગળીઓના ઉપરના ભાગમાં હાજર ચેતાઓના વારંવાર સ્પર્શને કારણે આપણી પાચન શક્તિ પણ મજબૂત બને છે. તેમજ હાથ વડે વસ્તુઓ ખાતી વખતે તેની સુગંધ અને સ્વાદ વધુ સારી રીતે અનુભવી શકાય છે.

ખોરાક ખાતા પહેલા વ્યક્તિએ પોતાના હાથને સારી રીતે ધોવા જોઈએ. કોઈપણ કામ કરતી વખતે, બેક્ટેરિયા અને કીટાણુઓ આપણા હાથ પર ચોંટી જાય છે. જે ખોરાકની સાથે પેટ, ગળા, મોં અને આંતરડા સુધી પહોંચી શકે છે અને સમસ્યાઓનું કારણ બને છે. તેથી કંઈપણ ખાતા પહેલા હાથ ધોવા જોઈએ તો સારું રહેશે.
