કેનેડામાં હજારો ભારતીય વિદ્યાર્થીઓ પર ડિપોર્ટેશનની તલવાર, નવો કાયદો ‘બિલ C-12’ બન્યો કાળ
કેનેડા સરકારે ઇમિગ્રેશનના નિયમોમાં ધરખમ ફેરફાર કરતા હજારો ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. ‘બિલ C-12’ કાયદો અમલી બનતા જ શરણ (Refugee) માંગનારાઓની મુશ્કેલી વધી છે. જે વિદ્યાર્થીઓ અભ્યાસ બાદ ત્યાં જ સેટલ થવા માટે શરણાર્થી સુરક્ષાની મદદ લેતા હતા, તેમને હવે દેશનિકાલનો સામનો કરવો પડી શકે છે.

30 હજારથી વધુ અરજીઓ અમાન્ય થવાની ભીતિ; સ્ટડી પરમિટ પર જઈને શરણ લેનારા યુવાનો ફસાયા, જાણો નવા કાયદાની ડરામણી શરતો અને ડેડલાઇનનું ગણિત...

બિલ C-12 શું છે અને કેમ ખતરનાક છે?: કેનેડા સરકારે તાજેતરમાં ‘સ્ટ્રેન્થનિંગ કેનેડા ઇમિગ્રેશન સિસ્ટમ એન્ડ બોર્ડર્સ એક્ટ’ એટલે કે બિલ C-12 ને કાયદાકીય મંજૂરી આપી દીધી છે. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય શરણાર્થી પ્રણાલી પર વધી રહેલા ભારને ઓછો કરવાનો અને ખોટી રીતે કેનેડામાં ઘૂસતા લોકોને રોકવાનો છે. આ બિલ 26 માર્ચ, 2026 ના રોજ સત્તાવાર રીતે કાયદો બની ગયો છે, પરંતુ તેની અસરો વર્ષો જૂની અરજીઓ પર પણ થવાની છે.

વિદ્યાર્થીઓ કેવી રીતે આ શકંજામાં ફસાયા?: કેનેડામાં મોટી સંખ્યામાં ભારતીય યુવાનો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ તરીકે જાય છે. જ્યારે તેમના સ્ટડી પરમિટ પૂરા થાય અને પીઆર (PR) ના અન્ય રસ્તાઓ બંધ લાગે, ત્યારે ઘણા વિદ્યાર્થીઓ કેનેડામાં ટકી રહેવા માટે ‘શરણાર્થી સુરક્ષા’ (Refugee Claim) માટે અરજી કરતા હોય છે. IRCC ના ડેટા મુજબ, આ નવા કાયદાથી પ્રભાવિત થનારા 30,000 લોકોમાં સૌથી મોટી સંખ્યા આવા જ વિદ્યાર્થીઓની છે.

એક વર્ષની ડેડલાઇનનું નવું શિખંડ: નવા કાયદામાં સૌથી મોટો ફેરફાર ‘સમય મર્યાદા’ નો છે. હવેથી જે લોકો 24 જૂન, 2020 પછી કેનેડામાં પ્રવેશ્યા છે, તેમણે કેનેડામાં પ્રવેશના પ્રથમ એક વર્ષમાં જ શરણ માટે અરજી કરવી પડશે. જો કોઈ વ્યક્તિ એક વર્ષ વીતી ગયા પછી અરજી કરે છે, તો તેની અરજી ‘ઇમિગ્રેશન એન્ડ રેફ્યુજી બોર્ડ’ (IRB) દ્વારા અયોગ્ય જાહેર કરવામાં આવશે. આનો અર્થ એ છે કે તે વ્યક્તિને કોર્ટમાં પોતાનો પક્ષ રાખવાની તક પણ મળશે નહીં.

પાછલી તારીખથી કાયદો લાગુ થતા ફફડાટ: આ કાયદાની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે તેને ‘રેટ્રોએક્ટિવલી’ એટલે કે પાછલી તારીખથી લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમો 3 જૂન, 2025 પછી કરવામાં આવેલા તમામ દાવાઓ પર લાગુ થશે, ભલે કાયદો માર્ચ 2026 માં પાસ થયો હોય. જે વિદ્યાર્થીઓ લાંબા સમયથી કેનેડામાં છે અને હવે શરણ માટે વિચારી રહ્યા હતા, તેમના માટે દરવાજા લગભગ બંધ થઈ ગયા છે. નિષ્ણાતોના મતે, આ કાયદાના કડક પાલનથી આગામી દિવસોમાં હજારો ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
પહેલા તો AC-કૂલર નહોતા, તો રાજા-મહારાજાઓ કાળઝાળ ગરમીમાં મહેલોને કેવી રીતે રાખતા ઠંડા?
