સિલક્યારા ટનલમાંથી 41 શ્રમિકોની થઈ મુક્તિ, પરિવારો માટે અદમ્ય ખુશીની પળ, દિવાળી જેવો માહોલ- જુઓ તસ્વીરો
ઉત્તરકાશીની સિલક્યારા ટનલમાંથી 41 શ્રમિકોની મુક્તિ થઈ છે. તમામ 41 શ્રમિકોને સુરક્ષિત બહાર લાવવામાં આવ્યા છે. આજે સમગ્ર દેશ એ અનસંગ હિરોની પ્રશંકા કરી રહ્યો છે જેમણે સતત 17 દિવસ સુધી રાત દિવસ એક કરી દરેક શ્રમિકને જીવિત, સુરક્ષિત બહાર લાવવાનું ઓપરેશન પાર પાડ્યુ છે. જેવા શ્રમિકો બહાર આવવાની શરૂઆત થઈ તો જયકારા શરૂ થઈ ગયા અને લોકો આતશબાજી કરી ખુશી વ્યક્ત કરતા જોવા મળ્યા

આખરે એ ઘડી આવી જ પહોંચી જેની કાગડોળે રાહ જોવાઈ રહી હતી. 12 નવેમ્બરથી ઉત્તરકાશીની સિલક્યારા ટનલમાં ફસાયેલા એ તમામ 41 શ્રમિકોનું સફળ રેસક્યુ કરી તેમને સુરક્ષિત રીતે ટનલની બહાર લાવવામાં આવ્યા છે.

ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામીએ બહાર આવનાર દરેક શ્રમિકનું ફુલહાર પહેરાવી સ્વાગત કર્યુ. જનરલ વીકે સિંહ પણ દરેક શ્રમિકને મળ્યા હતા અને તેમની તબિયતના હાલચાલ જાણી રહ્યા હતા. સૌપ્રથમ શ્રમિક બહાર આવ્યા બાદ એક કલાકની અંદર જ તમામ શ્રમિકને સલામત રીતે સુરંગની બહાર લાવવામાં આવ્યા છે.

શ્રમિકો બહાર આવતા જ ટનલ પાસે હાજર તમામ લોકોએ ભારત માતાકી જય, હર હર મહાદેવ અને મોદી હૈ તો મુમકીન હે ના જયકારા લગાવ્યા હતા. લોકો આતશબાજી કરી રહ્યા હતા. અહીના સ્થાનિકો પણ સતત પરિવારજનોને શ્રમિકો સુરક્ષિત બહાર આવશે તેવુ આશ્વાસન આપી રહ્યા હતા.

સમગ્ર રેસક્યુ ઓપરેશન પર પીએમ મોદી પણ નજર સતત નજર રાખી રહ્યા હતા. ગત રોજ દેવદિવાળીનો તહેવાર પણ હતો અને પીએમ મોદીએ તમામ દેશવાસીઓને સુરંગમાં ફસાયેલા તમામ શ્રમિકો સુરક્ષિત સલામત જલ્દી બહાર આવે તેવી પ્રાર્થના કરવા માટે અપીલ કરી હતી. આજના રેસક્યુ ઓપરેશન દરમિયાન પણ મુખ્ય અધિકારીઓ સતત પીએમ મોદીને બ્રીફ કરી રહ્યા હતા.

સમગ્ર દેશમાંથી દુવાઓ અને પ્રાર્થનાઓ શરૂ થઈ ગઈ હતી અને દેવોની ભૂમિ ઉત્તરાખંડમાં હિમાલયે ખુદ 41 શ્રમિકોને તેમની ગોદમાં રાખ્યા છે આથી એ શ્રમિકો સુરક્ષિત રહેશે અને સલામત બહાર આવશે એ નિશ્ચિત મનાઈ રહ્યુ હતુ અને મંગળવારના દિવસે આજે એ મંગલ ઘડી, શુભ ઘડી આખરે આવી જ ગઈ. આ શ્રમિકોના પરિવારજનોએ એ દિવાળીનો તહેવાર ઉજવ્યો ન હતો. તેમના માટે આજે જ ખરી દિવાળી છે.

તમામ શ્રમિકો બહાર આવતા જ દરેકને મેડિકલ માટે મોકલાયા છે. ટનલ બહાર 41 શ્રમિકો માટે 41 એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી હતી. જેવા શ્રમિકો બહાર આવ્યા કે તમામને તુરંત એમ્બ્યુલન્સમાં લઈ ગ્રીન કોરિડોર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

આ તમામ રેસક્યુ ઓપરેશનને પાર પાડનાર રેટ માઈનર્સની કામગીરી મુખ્ય છે. આ રેટ માઈનર્સે શ્રમિકો સુધી પહોંચવાનો મેન્યુઅલ ડ્રિલીંગ કરી રસ્તો બનાવ્યો હતો. પોતાની જાન ખતરામાં નાખી આ રેટ માઈનર્સે 12 મીટરનો કાટમાળ હટાવ્યો તેના થકી જ NDRFની ટીમ સુરંગ સુધી પહોંચી શકી હતી.
