કન્ફર્મ ટિકિટ હોવા છતાં એકલી મુસાફરી કરતી મહિલાને અડધી રાત્રે ટ્રેનમાંથી ઉતારી દીધી, માનવાધિકાર પંચે વળતર ચૂકવવા આપ્યો આદેશ
રેલવે ક્લાર્કની ભૂલ અને ટીટીઈની બેદરકારીને કારણે કન્ફર્મ ટિકિટ ધરાવતી એકલી મુસાફર મહિલાને અડધી રાત્રે ટ્રેનમાંથી ઉતારી આરપીએફને સોંપી દેવાઈ હતી. કેસ દાખલ થતાં મહિલાની સરકારી કોન્ટ્રાક્ટની નોકરી પણ છૂટી ગઈ હતી. રેલવેને દોષિત ઠેરવી પીડિતાને વળતર ચૂકવવાનો આદેશ.

રેલવે કર્મચારીની એક ગંભીર ભૂલના લીધે ટ્રેનમાં એકલી મુસાફરી કરી રહેલી મહિલાને અડધી રાત્રે એક્સપ્રેસ ટ્રેનમાંથી નીચે ઉતારી દેવામાં આવી હતી. આટલું જ નહીં, રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ મહિલાની ધરપકડ કરી ગુનો પણ દાખલ કર્યો હતો. કેસ નોંધાતાની સાથે જ મહિલાએ પોતાની નોકરી ગુમાવવી પડી હતી. આખરે મામલો માનવાધિકાર પંચ સમક્ષ પહોંચ્યો, જ્યાં પંચે રેલવે પ્રશાસનને સખત ફટકાર લગાવી છે.

રેલવે ચૂકવશે બે લાખનું વળતર: કેરળ રાજ્ય માનવાધિકાર પંચના અધ્યક્ષ જસ્ટિસ એલેક્ઝાન્ડર થોમસે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પંચે ભારતીય રેલવેને આદેશ આપ્યો છે કે તે પીડિત મહિલા મુસાફરને ₹2 લાખનું વળતર ચૂકવે. આ ઉપરાંત પંચે સ્પષ્ટ કર્યું છે કે જો છ સપ્તાહની અંદર આ રકમ ચૂકવવામાં નહીં આવે, તો રેલવેએ 8 ટકા વાર્ષિક વ્યાજ સાથે નાણાં ચૂકવવા પડશે.

શું હતી સમગ્ર ઘટના? કેરળના ત્રિશૂર જિલ્લાના એરુમાપેટ્ટીની રહેવાસી કે. જયસ્મિતાએ 30 જુલાઈ 2023 ના રોજ વડક્કનચેરીથી ત્રિવેન્દ્રમ જવા માટે મંગલુરુ સેન્ટ્રલ-ત્રિવેન્દ્રમ સેન્ટ્રલ એક્સપ્રેસ (16348) માં રેલવે રિઝર્વેશન કાઉન્ટર પરથી ટિકિટ કઢાવી હતી. તેમને કોચ S4 માં બર્થ નંબર 41 કન્ફર્મ મળ્યો હતો. રાત્રે નવ વાગ્યા પછી ટ્રેન સ્ટેશને આવી અને જ્યારે તેઓ પોતાની સીટ પર પહોંચ્યા ત્યારે ત્યાં અન્ય પેસેન્જર બેઠેલો જોવા મળ્યો હતો. જ્યારે તેમણે ટીટીઈ (TTE) ને સીટ અપાવવા કહ્યું, ત્યારે ટીટીઈએ જણાવ્યું કે 'અસલી મુસાફર આ જ છે, તમારી ટિકિટ ઓનલાઇન કેન્સલ થઈ ચૂકી છે.' આ સાંભળી મહિલાએ સ્પષ્ટતા કરી કે તેમણે તો સ્ટેશન કાઉન્ટર પરથી રોકડ આપીને ટિકિટ લીધી છે અને ક્યારેય કેન્સલ કરાવી નથી, તો આવું કેવી રીતે બને?

અડધી રાત્રે ટ્રેનમાંથી ઉતારી દીધી: ટીટીઈ સાથે દલીલોમાં આશરે બે કલાકનો સમય વીતી ગયો. આ દરમિયાન ટીટીઈએ કહ્યું કે જો બીજી સીટ જોઈતી હોય તો ₹500 નો દંડ ભરવો પડશે. મહિલા પાસે તે સમયે આટલી રકમ નહોતી. ત્યારબાદ રાત્રે આશરે 11 વાગ્યે અલુવા રેલવે સ્ટેશન પર મહિલાને બળજબરીપૂર્વક ઉતારી દેવામાં આવી અને આરપીએફને સોંપી દેવાઈ. આરપીએફ દ્વારા મહિલાની ધરપકડ કરવામાં આવી અને બાદમાં કેસ નોંધીને જામીન પર મુક્ત કરવામાં આવી હતી.

તપાસમાં બહાર આવી રેલવેની ભૂલ: મામલાની તપાસ રેલવેના ડીઆરએમ (DRM) દ્વારા કરવામાં આવી ત્યારે સત્ય સામે આવ્યું. ટિકિટ પર જે મોબાઈલ નંબર પ્રિન્ટ થયો હતો તે નંબર પરથી જ ટિકિટ ઓનલાઈન રદ કરાઈ હતી. વાસ્તવમાં મહિલાએ રિઝર્વેશન ફોર્મમાં પોતાનો સાચો નંબર લખ્યો હતો, પરંતુ રેલવે બુકિંગ ક્લાર્કે સિસ્ટમમાં ભૂલથી ખોટો નંબર એન્ટર કરી દીધો હતો. ટિકિટ બુક થતાં જ જે અજાણ્યા વ્યક્તિને મેસેજ ગયો, તેણે તે ટિકિટ રદ કરાવી દીધી હતી.

મહિલાની નોકરી છૂટી ગઈ: રેલવેએ આંતરિક તપાસ બાદ ભૂલ સ્વીકારી કેસ પરત ખેંચી લીધો હતો, પરંતુ પોલીસ ફરિયાદ નોંધાઈ જવાના કારણે મહિલાની નોકરી જતી રહી હતી. તે એક સરકારી વિભાગમાં કોન્ટ્રાક્ટ બેઝ પર ફરજ બજાવતી હતી.

માનવાધિકાર પંચનો આદેશ: અન્યાય સામે પીડિતાએ માનવાધિકાર પંચના દ્વાર ખખડાવ્યા હતા. જસ્ટિસ થોમસે નોંધ્યું કે કન્ફર્મ ટિકિટ ધરાવતી એકલી મહિલાને અડધી રાત્રે ટ્રેનમાંથી ઉતારી દેવી એ રેલવે એક્ટની કલમ 137 અને 139 નું ઉલ્લંઘન છે, સાથે જ મહિલાના સન્માનપૂર્વક જીવવાના મૂળભૂત અધિકારનું પણ હનન છે.

પંચે રેલવેને ₹2 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. સાથે જ મહિલાને પોતાની નોકરી પર પુનઃસ્થાપિત કરવા માટે અરજી કરવાની છૂટ આપી છે અને લઘુમતી કલ્યાણ વિભાગને એક મહિનાની અંદર આ અરજી પર હકારાત્મક નિર્ણય લેવા નિર્દેશ આપ્યો છે.
વંદે ભારતમાં કમાલની ટેકનોલોજી: બ્રેક મારતાં જ બનશે વીજળી, 30% સુધી પાવર બચાવશે આ ખાસ બ્રેકિંગ સિસ્ટમ
